અમદાવાદઃ
બજાજ ફાયનાન્સે ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા બાદ તેના શેરમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો છે. માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં બજાજ ફાયનાન્સે રૂ. 3,158 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ માર્ચ-2022 ક્વાર્ટરમાં રૂ. 2,419 કરોડનો નફો નોંધાવ્યો હતો, આમ વાર્ષિક ધોરણે કંપનીનો નફો 30% વધ્યો છે. બજાજ ફાયનાન્સના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ રૂ. 30ના ડિવિડન્ડની ભલામણ કરી છે. 27 એપ્રિલ, 2023ના રોજ રિઝલ્ટના દિવસે બજાજ ફાયનાન્સનો શેર રૂ.6,200ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
બજાજ ફાયનાન્સના શેર માટે મોર્ગન સ્ટેન્લીએ 8,000 રૂપિયાનો, મોતીલાલ ઓસવાલે 7,080 રૂપિયાનો જ્યારે પ્રભુદાસ લીલાધરે 7,835 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
માર્ચ-2022 ક્વાર્ટરમાં બજાજ ફાયનાન્સની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) રૂ. 6,061 કરોડ હતી, જે 28 ટકા વધીને રૂ. 7,771 કરોડ થઈ છે. કંપનીનો ઓપરેટિંગ ખર્ચ 34.1 ટકા હતો, જે માર્ચ-203 ક્વાર્ટરમાં 34.5 ટકા રહ્યો હતો. કંપનીની ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ અનુક્રમે 0.94 ટકા અને 0.34 ટકા નોંધાઈ હતી, જે 31 માર્ચ, 2022માં 1.60 ટકા અને 0.68 ટકા હતી. ક્વાર્ટર દરમિયાન બુક કરાયેલી નવી લોનની સંખ્યા 60.28 લાખની તુલનાએ 20 ટકા વધીને 7.56 મિલિયન થઈ છે. 31 માર્ચ, 2023 સુધીમાં ગ્રાહક ફ્રેન્ચાઇઝી 6.9 કરોડ હતી જે 31 માર્ચ, 2022 સુધીમાં 5.75 કરોડ સામે 20 ટકા વધી છે.
બજાજ ફાઈનાન્સની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) માર્ચ ત્રિમાસિકમાં 29 ટકા વધી રૂ. 247,379 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 192087 કરોડ હતી. ચોથા ત્રિમાસિકમાં એયુએમ ગ્રોથ સૌથી વધુ રૂ. 16,537 કરોડ નોંધાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો