Money9 Gujarati:
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ આઠમું પગાર પંચની લાગુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ કર્મચારીઓની આ આશાને સરકારે મોટો ઝટકો આપ્યો છે. આઠમા પગાર પંચની રચના અંગે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. રાજ્યકક્ષાનાં નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું છે.
રાજ્યસભાના સભ્ય રામનાથ ઠાકુરે નાણામંત્રીને પૂછ્યું કે સાતમા પગાર પંચના પેરા 1.22 પર વિચારણા અને મંજૂરી ન આપવાનું કારણ શું છે અને શું સરકારે તેની ફાઇલમાં આ માહિતી આપી છે? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે સાતમા પગાર પંચના આધારે પગાર અને ભથ્થામાં સુધારાને મંજૂરી આપતી વખતે આ બાબત પર વિચાર કર્યો નથી. સાતમા પગાર પંચના અહેવાલના પેરા 1.22માં, 5 વર્ષ પછી ફિટમેન્ટ ફેક્ટરની સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે, જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે.
સરકારને ગૃહમાં એ પણ પૂછવામાં આવ્યું છે કે શું સરકાર આઠમા પગાર પંચની રચના એટલા માટે નથી કરી રહી કારણ કે સરકાર આઠમા પગાર પંચનો બોજ ઉઠાવવાની સ્થિતિમાં નથી? સરકારને એ પણ પૂછવામાં આવ્યું હતું કે જો સરકાર વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનો દાવો કરી રહી છે, તો પછી છેલ્લા 30 વર્ષથી મોંઘવારીનો સામનો કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા માટે આઠમા પગાર પંચની રચના કેમ નથી કરી રહી? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે આ અંગેનો કોઈ પ્રસ્તાવ હજુ સુધી સરકાર સમક્ષ આવ્યો નથી, સરકાર પણ આ અંગે વિચાર કરતી નથી.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ વધતી મોંઘવારી વચ્ચે સતત આઠમા પગાર પંચની રચનાની માંગ કરી રહ્યા છે. વાસ્તવમાં, સરકાર દર 10 વર્ષે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા માટે નવા પગાર પંચની રચના કરે છે. આ માટે, પગાર પંચ 18 મહિનાના આપેલા સમયની અંદર પોતાનો અહેવાલ અને ભલામણો જમા કરાવે છે, ત્યારબાદ આયોગની રચના કરવામાં આવે છે. સાતમા પગારપંચની રચના 2014માં કરવામાં આવી હતી અને તેની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો