Money9: વોડાફોન આઈડિયા લિમિટેડે શુક્રવાર એટલે કે 12 એપ્રિલે 18,000 કરોડ રૂપિયાના FPOની જાહેરાત કરી છે. માહિતી અનુસાર, આ FPO સામાન્ય રોકાણકારો માટે 18 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સની ઓફર 16 એપ્રિલે મંજૂર કરવામાં આવશે. એફપીઓની પ્રાઇસ બેન્ડ 10 રૂપિયા થી 11 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેની લોટ સાઈઝ 1298 શેર હશે.FPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 14,278 રૂપિયાની જરૂર પડશે. તો કંપની 15 એપ્રિલથી એક રોડ શો પણ શરૂ કરશે, જેમાં રોકાણકારો અને એનાલિસ્ટને મળશે. આ રોડ શો ઓફર બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. મહત્વનું છે કે વોડાફોન આઈડિયાએ 45,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. તેમાંથી 20,000 કરોડ રૂપિયા ઇક્વિટી દ્વારા એકત્ર કરવામાં આવશે. જ્યારે 25,000 કરોડ રૂપિયાની રકમ ડેટ દ્વારા એકત્ર કરવામાં આવશે.
વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે ટેસ્લાના માલિક એલોન મસ્ક પોતાની કંપનીને ભારતમાં લાવવા માટે રિલાયન્સ સાથે ડીલ કરી શકે છે. ભારત દુનિયાના સૌથી મોટા વ્હીકલ માર્કેટમાંનું એક છે અને ટેસ્લા તેનો લાભ લેવા માંગે છે. ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંભવિત સંયુક્ત સાહસ અંગે ચર્ચા કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે પ્રારંભિક તબક્કામાં એક મહિના કરતાં વધુ સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને આ પહેલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પ્રવેશ તરીકે ન જોવી જોઈએ. સૂત્રોએ જણાવ્યું કે સંયુક્ત સાહસમાં રિલાયન્સનો ઉદ્દેશ્ય ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષમતા વિકસાવવાનો છે.
સેબીએ પ્રભુ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે PSIL અને તેના પ્રમોટરોને નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ કુલ રૂ. 12 લાખનો દંડ ફટકાર્યો છે. પીએસઆઈએલ અને તેના પ્રમોટર્સ હરીશ ગંગારામ અગ્રવાલ, દિનેશ ગંગારામ અગ્રવાલ અને અક્ષિતા હરીશ અગ્રવાલ પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ બુધવારે બહાર પાડેલા આદેશમાં જણાવ્યું હતું. આ સાથે સેબીએ આ દંડ 45 દિવસની અંદર જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. સમાચાર અનુસાર, બજાર નિયામક સેબીએ પ્રભુ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના પ્રમોટર્સ પર નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ કુલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ઉડ્યન ઓપરેશનમાં અસ્થિરતાનો સામનો કરી રહેલી વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કન્નને ગુરુવારે એરલાઇનના કર્મચારીઓને જણાવ્યું હતું કે “સૌથી ખરાબ સમય હવે વીતી ચૂક્યો છે” અને કામગીરી સ્થિર થઈ છે. પાઇલોટ્સની સમસ્યાઓને કારણે ટાટા જૂથની આ એરલાઇનને અસ્થાયી રૂપે તેની ક્ષમતામાં 10 ટકા અથવા દિવસમાં 25-30 ફ્લાઇટ્સ ઘટાડવાની ફરજ પડી હતી. કન્નને કહ્યું કે નવા નાણાકીય વર્ષની શરૂઆત પડકારજનક રહી છે. એરલાઇનને 31 માર્ચથી 2 એપ્રિલ સુધી નોંધપાત્ર ઓપરેશનલ વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. આનો સ્વીકાર કરતા તેમણે કહ્યું કે ચીજોને વધુ સારી રીતે સંભાળવાનું આયોજન કરવું જોઈએ એવું અમને આમાંથી શીખવા મળ્યું.
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે NCLAT એ પાર્શ્વનાથ લેન્ડમાર્ક ડેવલપર્સની સબ્સિડિયરી કંપની સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે પાશ્વનાથ લેંડમાર્ક ડેવલપર્સના ચાર યુનિટના ખરીદનારાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. એપેલેટ ટ્રિબ્યુનલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુખ્ય બેન્ચના ચુકાદાને જાળવી રાખ્યો છે. જેણે 17 ઓક્ટોબર, 2023 ના રોજ તેમની અરજીને ટેક્નિકલ આધારો પર ફગાવી દીધી હતી કારણ કે અરજદારોની સંખ્યા માત્ર ચાર હતી, જ્યારે પાર્શ્વનાથ લેન્ડમાર્ક દ્વારા કુલ ફાળવણીઓની સંખ્યા 488 છે. આ મામલો રિયલ એસ્ટેટ કંપનીના દિલ્હી સ્થિત પ્રોજેક્ટ લા ટ્રોપિકાના ખૈબર પાસ સાથે સંબંધિત છે. તદુપરાંત, એપેલેટ ટ્રિબ્યુનલે ફ્લેટ ખરીદનારાઓની એવી અરજીને પણ ફગાવી દીધી હતી કે જેમાં તેઓએ દલીલ કરી હતી કે તેઓ એક અલગ વર્ગના છે અને દિલ્હી RERAના એક આદેશમાં ડેવલપરને 22 ઓક્ટોબર, 2022ના રોજ વ્યાજ સાથે રકમ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
રિયલ એસ્ટેટ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન પીરોજશા ગોદરેજે નાણાકીય વર્ષ 2024-25 માટે બિઝનેસ પ્લાન વિશે વિગતવાર માહિતી આપી છે. પિરોજશા ગોદરેજે કહ્યું છે કે કંપની ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 25,000 કરોડનું સેલ્સ બુકિંગ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. નોંધનીય છે કે હાઉસિંગ સેક્ટરની મજબૂત માંગના કારણે, ગોદરેજ કંપનીનું સેલ્સ બુકિંગ ગયા નાણાકીય વર્ષ 2023-24માં 84 ટકાના વધારા સાથે રેકોર્ડ 22,500 કરોડ રૂપિયાનું રહ્યું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો