Money9: જીવનના અંતિમ વર્ષોમાં કેટલાક લોકોની આર્થિક હાલત ખરાબ થઇ જાય છે. તેમની પાસે કમાણીનું કોઇ સાધન નથી હોતું. હાલત તો ત્યારે વધારે ખરાબ થઇ જાય છે જ્યારે પતિ-પત્ની ઘરમાં એકલા રહેતા હોય છે. પરિવારમાં તેમનું ધ્યાન રાખનારુ કોઇ નથી હોતું. જો હોય છે તે તો બોજ સમજીને તેમનાથી અંતર વધારી દે છે. આવા ઉંમરલાયક લોકો માટે રિવર્સ મોર્ગેજ સ્કીમ ઉપયોગી સાબિત થઇ શકે છે. રિવર્સ મોર્ગેજ સ્કીમ બેંક અને ફાઇનાન્સ કંપનીઓની હોમલોન સ્કીમથી બિલકુલ વિરુદ્ધ દિશામાં કામ કરે છે.
જ્યારે આપણે બેંકમાંથી હોમ લોન લઇએ છીએ ત્યારે બેંક પ્રોપર્ટી ખરીદવા માટે એકસામટી રકમ આપે છે. જો કે તેના બદલામાં તે પ્રોપર્ટીના દસ્તાવેજ પોતાની પાસે રાખી લે છે. આ લોનને ચુકવવા માટે આપણે દર મહિને હપ્તેથી ચુકવણી કરીએ છીએ. બીજી તરફ રિવર્સ મોર્ગેજ સ્કીમમાં ઘરને ગીરવે મુકીને એકસાથે કે દર મહિને એક નિશ્ચિત રકમ બેંક પાસેથી લઇ શકાય છે. સાથે જ અરજદારને તે જ ઘરમાં રહેવાની મંજૂરી પણ બેંક આપે છે. આ રીતે વૃદ્ધાવસ્થામાં તમારુ ઘર તમને દર મહિને નિશ્ચિત કમાણી કરાવી શકે છે.
ફક્ત ભારતીય નાગરિકો માટે
આવા સંજોગોમાં તમારે પૈસા માટે કોઇના પર આશ્રિત નહીં રહેવું પડે. બેંક પાસેથી મળનારી આ રકમ ટેક્સ ફ્રી હોય છે. રિવર્સ મોર્ગેજ યોજનાનો લાભ ફક્ત ભારતીય નાગરિકોને જ મળે છે. જો તમે એકલા છો તો તમારી લઘુત્તમ ઉંમર 60 વર્ષ હોવી જોઇએ. જો સંયુક્ત રીતે લોન રહી રહ્યાં છો તો જીવનસાથીની લઘુત્તમ ઉંમર 58 વર્ષ હોવી જોઇએ. સામાન્ય રીતે આ લોન 20 વર્ષ માટે મળે છે. જે ઘરની કિંમતના 75 થી 90 ટકા સુધી હોઇ શકે છે. સામાન્ય રીતે રિવર્સ મોર્ગેજ લોન બેઝ રેટથી 2.5 થી 3 ટકા સુધી મોંઘી હોય છે.
આ લોન ત્યારે જ મળશે જ્યારે ઘર સારી સ્થિતિમાં હોય અને અરજદારનો તેના પર સંપૂર્ણ માલિકી હક હોય. કોમર્શિયલ પ્રોપર્ટી પર આ લોન નહીં મળે. હકીકતમાં ભારતમાં મોટાભાગના લોકો પાસે રિટાયરમેન્ટ બાદ આવકનું નિયમિત સાધન નથી હોતું. જે લોકોને રિટાયરમેન્ટ બાદ પેન્શન મળે છે તેને તો નાણાંકીય સુરક્ષા મળી જાય છે. પરંતુ ઘણીવાર આરોગ્ય સંબંધી કેટલીક ઇમરજન્સી જરૂરિયાતો માટે આ રકમ પણ અપૂરતી સાબિત થતી હોય છે.
એક્સપર્ટનો મત
રોકાણ સલાહકાર જિતેન્દ્ર સોલંકી કહે છે કે કેટલાક માતા-પિતા પોતાના સંતાનો પર બોજ બનવા નથી માંગતા. ઘણાં કિસ્સામાં સંતાનો પણ પેરન્ટ્સની અવગણના કરે છે. તેમને બોજ માનવા લાગે છે. આવા વરિષ્ઠ નાગરિકો માટે રિવર્સ મોર્ગેજ સ્કીમ સારો વિકલ્પ છે. હવે તો બેંક આ યોજના હેઠળ એન્યુઇટી ખરીદીને પણ આપી રહી છે. જેના પર આજીવન પેન્શન મળતું રહેશે. સાથે જ વ્યક્તિ આ ઘરનો ઉપયોગ રહેવા માટે પણ કરી શકે છે.
જો તમે રિવર્સ મોર્ગેજ લોન લેવા માંગો છો તો તમને આ અંગે પૂરી જાણકારી હોવી જોઇએ. તે કેવી રીતે કામ કરે છે અને તેના નફા-નુકસાન શું છે. જો આવકનું કોઇ સાધન નથી તો અને ઘરમાં એકલા રહો છો તો રિવર્સ મોર્ગેજ સ્કીમ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.
વારસાઇ પર અસર
હવે મોટો સવાલ એ કે રિવર્સ મોર્ગેજ સ્કીમથી કોઇ વારસ પર શું અસર પડે. સામાન્ય રીતે સંતાનો તેમના માતા-પિતાની વસિયત અનુસાર સંપત્તિ પ્રાપ્ત કરે છે. રિવર્સ મોર્ગેજ હેઠળ કોઇ સંતાન દ્વારા ત્યાં સુધી કોઇ સંપત્તિને વસિયત તરીકે પ્રાપ્ત ન કરી શકાય જ્યાં સુધી લોન કે મોર્ગેજને ક્લિયર ન કરી દેવામાં આવે. જો કોઇ સંતાન કાયદેસરનું વારસદાર છે તો તેણે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પહેલા લોન ચુકવવી પડશે. જો વારસદાર લોનની ચુકવણી નહીં કરે તો બેંક પ્રોપર્ટીને વેચીને પોતાની લોનની વસૂલાત કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો