Money9: રાજીવ ખુશ છે, પુત્રીનું એડમિશન થઇ ગયું છે. દિકરીના કોલેજ એડમિશન માટે રાજીવને બીજા 2 લાખ રૂપિયાની જરૂર છે. જે પૈસા બચાવ્યા હતા તે ઓછા પડ્યા. હવે રાજીવને લાગી રહ્યું છે કે પર્સનલ લોન લઇને બાકી બચેલા પૈસાની વ્યવસ્થા થઇ જશે. બેંક જવા માટે નીકળ્યા જ હતા કે તેમના દોસ્ત તિવારી પહોંચી ગયા અને તેમના એક સવાલે રાજીવને મોંઘી પર્સનલ લોન લેવાથી બચાવી લીધા.
દેશમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે. AMFIના આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે તેમાં જમા પૈસા 20.5 ટકા વધીને 44.55 લાખ કરોડ રૂપિયા થઇ ગયા છે. આ સમયગાળા દરમિયાન ઉદ્યોગમાં 31 લાખ નવા રોકાણકાર ઉમેરાયા છે અને તેમાંના એક રાજીવ પણ છે. જે રોકાણ તો કરી રહ્યા છે પરંતુ તેમને એ વાતની ખબર નથી કે મ્યુચ્યુઅલ ફંડ પર લોન પણ મળી શકે છે. મોંઘી પર્સનલ લોનથી રાજીવનું mutual fund રોકાણ તેમને બચાવી શકે છે.
પર્સનલ લોન અનસિક્યોર લોન હોય છે. જેમાં તમે કોઇ સિક્યોરિટી નથી આપતા. જેના કારણે આ લોન મોંઘી હોય છે. મ્યુચ્યુઅલ ફંડ પર લોનમાં રોકાણને ગિરવે રાખવામાં આવે છે. એટલે સસ્તી પડે છે.
લગભગ બધી સરકારી અને પ્રાઇવેટ બેંક આ સુવિધા આપી રહી છે. નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ પર લોન આપવામાં વધારે રસ દાખવી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેવા માટે નજીકની બેંક કે NBFCનો સપંર્ક કરી શકાય છે. તેની બ્રાન્ચમાં જઇને મેનેજર પાસેથી ડિટેલ પ્રાપ્ત કરી શકાય છે. આ લોનને ઓનલાઇન પણ લઇ શકાય છે. જો કે બેંકમાં જઇને તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને સમજવાનું સારુ રહેશે.
હવે રાજીવને મ્યુચ્યુઅલ ફંડ પર કેટલી લોન મળશે તે તેમના પોર્ટફોલિયોના કોર્પસ અને ફંડની સ્કીમ કેટેગરી પર આધાર રાખશે. મોટાભાગની સંસ્થા ઇક્વિટીમાં રોકાણ પર 50 ટકા અને ડેટ ફંડ પર 80 ટકા સુધી લોન આપે છે. રાજીવની પાસે ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણ છે અને 10 લાખ સુધીનું કોર્પસ છે. આવા સંજોગોમાં તેમને 5 લાખ રૂપિયાની લોન સહેલાઇથી મળી જશે. આ લોનને લંપસમ એટલે કે એકસાથે કે ઓવર ડ્રાફ્ટ એટલે કે ઓડી તરીકે લઇ શકાય છે. જો રાજીવ ODનો વિકલ્પ પસંદ કરે છે તો તેઓ પોતાની જરૂરિયાતના હિસાબે ODમાંથી રકમ કાઢી શકે છે. તેઓ જેટલી રકમ કાઢશે બેંક માત્ર તેની પર જ વ્યાજ વસૂલશે.
દેશની ટોચની બેંકો મ્યુચ્યુઅલ ફંડ પર વાર્ષિક 9 થી 11 ટકા સુધીના વ્યાજ પર લોન આપી રહી છે. NBFC 9 થી 10 ટકા સુધીનું વ્યાજ લઇ રહી છે. વ્યાજ દર લોન લેનારાના સિબિલ સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે.
NBFC ગોલ્ડ લોન પર 9 થી 22 ટકા સુધીનું વ્યાજ લઇ રહી છે. જ્યારે પર્સનલ લોનના દરો 11 થી 24 ટકા સુધીના છે. આ હિસાબે મ્યુચ્યુઅલ ફંડ પર લોન સસ્તી પડે છે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડની લોન એક વર્ષ માટે હોય છે. આ લોનની ચુકવણી માટે EMI ચુકવવાની જરૂરિયાત નથી હોતી. આ લોનને પણ ગમે ત્યારે ચુકવી શકાય છે. દર મહિને વ્યાજ ચૂકવવાનું ઝંઝટ પણ નથી હોતું. જો એક વર્ષમાં તમે લોન ન ચૂકવી શક્યા તો પછી તેને રિન્યૂ કરાવી શકો છો.
રાજીવ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેશે..તો ત્યાર બાદ પણ મ્યુચ્યુઅલ ફંડ્સની ઓનરશિપ રાજીવની પાસે જ રહેશે. આ રોકાણ પર તેમને પહેલાની જેમ જ રિટર્ન પણ મળતુ રહેશે. જો કોઇ સ્કીમમાં ડિવિડન્ડ મળી રહ્યું છે તો યૂનિટને ગિરવે રાખવા છતાં તેની ડિવિડન્ડ પર કોઇ અસર નહીં પડે. જો કે તેઓ લોન ચૂકવતા પહેલા આ રોકાણને રિડીમ નહીં કરી શકે. ગિરવે રાખેલી સિક્યોરિટીને બેંક લીન એટલે કે બ્લોક કરી દે છે. લોનની પૂરી ચૂકવણી થયા બાદ તેને રિડીમ કરાવી શકાય છે. જો કે તેની પર રિટર્ન તેમને પહેલાની માફક જ મળતું રહેશે.
ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે પર્સનલ લોન ઘણી મોંઘી પડે છે. જો તમારે જરૂરી કામ માટે લોન લેવી જ છે તો પર્સનલ લોનના બદલે કોલેટરલ લોન લેવી જોઇએ. જેમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોન પણ એક સારો વિકલ્પ છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઇ રહ્યા છો તો લંપસમ લોનના બદલે ODનો ઉપયોગ કરો. જો તમે લંપસમ લોન લો છો તો આ પૈસા તમારા બચત ખાતામાં આવી જશે. જો આ પૈસાનો ઉપયોગ બાદમાં કરો છો તો આ લોન પર પહેલા દિવસથી જ વ્યાજનું મીટર ફરતું થઇ જશે. OD લેવા પર જેટલા પૈસાનો ઉપયોગ કરશો તેની પર જ વ્યાજની ચૂકવણી કરવી પડશે.
તો આશા રાખીએ કે હવે તમે સમજી ગયા હશો કે મ્યુચ્યુઅલ ફંડ માત્ર રોકાણ માટે જ નથી પરંતુ લોન લેવા માટે પણ યોગ્ય છે. પૈસાની એવી જરૂરિયાત જે પર્સનલ લોનથી પૂરી થઇ શકે છે તેને તમે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઇને પૂરી કરી શકો છો. એટલે કે તમે એક સિક્યોર લોન લઇ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો