Money9: દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. સરકારના વિકસિત ભારત મિશનને જોતા આ સેક્ટરને વધુ ગતિ મળવાની સંભાવના છે. વિકસિત ભારત મિશનને આગળ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે વચગાળાના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લઇને ઘણા નીતિગત સુધારાની જાહેરાત કરી છે. આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે 11.11 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે GDPના અંદાજે 3.4 ટકા છે.
આ સતત ચોથુ વર્ષ છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનું બજેટ વધારવામાં આવ્યું છે. આની દૂરોગામી અસર રોકાણના વિકલ્પો પર પણ જોવા મળી છે. ઉદાહરણ તરીકે ઇક્વિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડે એક વર્ષમાં એવરેજ 60 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કે આ ફંડ દરેક માટે નથી. આ સેક્ટરના ફંડને લઇને રોકાણકારોએ કોઇ જાતની ઉતાવળ ન કરવી જોઇએ. પ્રથમ પ્રોડક્ટને સમજવી જોઇએ અને પછી રોકાણ કરવું જોઇએ. હવે તમને જણાવીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડ શું છે? અને શું તમારે આ ફંડમાં રોકાણ કરવું જોઇએ?
સેક્ટોરલ ફંડ..ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે જે કોઇ ખાસ સેક્ટરના શેરમાં 80 ટકા સુધી રોકાણ કરે છે. જેમાં બેંકિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્નોલોજી જેવા ઘણાં ક્ષેત્રો સામેલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના સ્ટોક્સમાં રોકાણ કરનારી સ્કીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કહેવાય છે. આમાં વીજળી, રેલવે, પોર્ટ સાથે સંબંધિત કંપનીઓ પણ સામેલ છે. સરકાર ઇન્ફ્રા સેક્ટરને ઘણું પ્રોત્સાહન આપી રહી છે. આવા સંજોગોમાં જો બજાર અને પરિસ્થિતિ અનુકૂળ રહે તો સેક્ટોરલ ફંડ શાનદાર રિટર્ન આપી શકે છે. જેવું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જોવા મળ્યું છે.
જો રિટર્ન્સની વાત કરીએ તો 28 ફેબ્રુઆરી સુધી સેક્ટોરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે છેલ્લા 1 વર્ષમાં 62 ટકા, 3 વર્ષમાં 31 ટકા અને 5 વર્ષમાં 25 ટકાનું સરેરાશ રિટર્ન આપ્યું છે. સેક્ટોરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જો બેંચમાર્ક સાથે તુલના કરવામાં આવે તો S&P BSE India Infrastructure Total Return Indexએ સમાન સમયગાળામાં 112 ટકા, 40 ટકા અને 29 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. સેક્ટરોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને લઇને આ વલણ રોકાણકારો માટે શુભ સંકેત છે. જે ઇન્ફ્રા સેક્ટરના પોઝિટિવ ગ્રોથ તરફ ઇશારો કરી રહ્યા છે.
હવે સવાલ એ આવે છે કે શું તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટોરલ ફંડમાં રોકાણ કરવું જોઇએ? તો તમે એ વાતને સારીરીતે સમજી લો કે સેક્ટોરલ ફંડ્સ ઘણાં જોખમથી ભરેલા હોય છે. કારણ કે આ સ્કીમના બધા પૈસા કોઇ એક સેક્ટરમાં રોકાણ કરવામાં આવે છે. અને મોટાભાગે કેટલીક કંપનીઓ પર ફોકસ હોય છે. જ્યારે સ્ટોક માર્કેટ સારુ પ્રદર્શન કરે છે તો સેક્ટોરલ ફંડ સારા રિઝલ્ટ આપે છે. પરંતુ જ્યારે શેર બજાર સારુ પ્રદર્શન નથી કરી રહ્યું હોતું તો તે એક ડિઝાસ્ટરમાં બદલાઇ શકે છે. એટલે કે ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.
Investographyના ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કે નવા રોકાણકાર સેક્ટોરલ ફંડ્સથી દૂર રહો. જો કે અનુભવી રોકાણકાર પોતાના પોર્ટફોલિયોનો 5 થી 10 ટકા હિસ્સો આમાં રોકાણ કરી શકે છે. સેક્ટોરલ ફંડ્સમાં તમારે ત્યારે જ રોકાણ કરવું જોઇએ જ્યારે તમને સેક્ટર અંગે સારી જાણકારી હોય અને ભારે જોખમ ઉઠાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવ. રોકાણકારોએ એ વાત સારીરીતે ધ્યાનમાં રાખવી જોઇએ કે સેક્ટરોરલ ફંડ્સનું પ્રદર્શન અને ઇકોનોમીનો ગ્રોથ..બન્ને એકસાથે નજીકથી જોડાયેલા છે.
હવે સવાલ એ છે કે સેક્ટોરલ ફંડથી કમાણી પર ટેક્સ કેવી રીતે લાગે છે. સેક્ટોરલ ફંડ ઇક્વિટી કેટેગરીમાં આવે છે..જો કોઇ ઇક્વિટી ફંડના યૂનિટને એક વર્ષ પહેલા વેચવામાં આવે છે તો તેના પર મળનારા રિટર્નને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવે છે. આ રિટર્ન પર 15 ટકાના દરે ટેક્સ લાગે છે. આ જ રીતે ઇક્વિટી ફંડના યૂનિટને ઓછામાં ઓછા એક વર્ષ બાદ વેચવા પર જે ફાયદો મળે છે. તે લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCG માનવામાં આવે છે. ઇક્વિટી ફંડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન થવા પર એકસામટો 10 ટકા ટેક્સ લાગે છે. પરંતુ તેમાં રાહતની વાત એ છે કે ટેક્સ ત્યારે લાગે છે જ્યારે કોઇ રોકાણકારને એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુનો ફાયદો થયો હોય. એટલે કે ઇક્વિટીમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સ ફ્રી છે.
સેક્ટોરલ ફંડ સૌથી જોખમકારક મ્યુચ્યુઅલ ફંડ પૈકીના એક છે. કારણ કે આ ફંડ ખાસ કરીને કોઇ એક સેક્ટરમાં રોકાણ કરે છે. તેમાં સેક્ટરની વિવિધતા નથી હોતી. જે તેમાં રહેલા મોટા જોખમનું એક કારણ છે. માત્ર અનુભવી અને જુના રોકાણકારોએ જ સેક્ટોરલ ફંડમાં રોકાણ કરવું જોઇએ. અને તેમના પોર્ટફોલિયોનો 10 ટકાથી વધુ હિસ્સો આ ફંડ્સમાં ન રોકવો જોઇએ. જો તમે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકાર છો તો સેક્ટોરલ ફંડથી દૂર રહેવામાં જ સમજદારી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો