Money9 Gujarati:
ગરમીના દિવસો શરૂ થતાંની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. આકાશમાંથી આગ વરસી રહી છે અને તેની સાથે સાથે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના સપ્લાય પર અસરને કારણે આગામી કેટલાક મહિનામાં ખાદ્ય ફુગાવાના દરમાં 0.4 ટકાથી 0.6 ટકાનો વધારો થવાની શક્યતા છે. હવે બધાની નજર ચોમાસા તરફ મંડાઈ છે. રિઝર્વ બેન્કના અધિકારીઓ પણ મોંઘવારીમાંથી રાહત આપવા અને વ્યાજ દર હળવા કરવા માટે ચોમાસા પર આધાર રાખીને બેઠા છે.
શાકભાજીના વધતા ભાવ બજેટ પર અસર કરી રહ્યા છે. દેશના ઘણા ભાગોમાં આકરી ગરમીના કારણે શાકભાજીના ઉત્પાદનને અસર થઈ રહી છે. ઓછા પુરવઠાને કારણે તેમના ભાવ વધી રહ્યા છે. દિલ્હીની આઝાદપુર મંડીમાં ભીંડા, તુરિયા અને કોબી જેવા શાકભાજીનો ભાવ ગયા વર્ષ કરતા ઊંચા ભાવે પહોંચી ગયો છે.
બજારના નિષ્ણાતો જણાવે છે કે, જથ્થાબંધ અને છૂટક બજારોમાં મોટા ભાગના લીલા શાકભાજીના ભાવ ગયા વર્ષની સરખામણીએ ઘણા વધારે છે. ગયા વર્ષે તુરિયાની કિંમત 60 રૂપિયા હતી, હવે તે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પરવળની કિંમત આ વખતે 100 રૂપિયા છે, જે ગયા વર્ષે 70 રૂપિયા હતી. કોબીજ 20ના બદલે 40 રૂપિયે અને લસણ 80ના બદલે 240 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. આ વર્ષે ભારે માંગ અને ગરમીના કારણે શાકભાજીના ભાવ સૌથી વધુ છે.
ETનું વિશ્લેષણ દર્શાવે છે કે શાકભાજીના વધતા ભાવ માત્ર ટામેટાં, ડુંગળી અને બટાકા પૂરતા મર્યાદિત નથી, પરંતુ અન્ય શાકભાજીના ભાવને પણ અસર કરશે. માર્ચ મહિનામાં બટાકાનો મોંઘવારી દર 12.4 ટકાથી વધીને 41 ટકા થયો છે, ડુંગળીનો ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 21.9 ટકાથી વધીને 36.9 ટકા થયો છે. માર્ચ મહિનામાં ગાજર 23.3 ટકા, આદુ 68.5 ટકા અને લસણ 150.7 ટકા મોંઘુ થયું છે.
સરકારી અંદાજ મુજબ, 2023-24 માટે ડુંગળીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 16 ટકા ઘટીને 2.54 કરોડ ટન થવાની ધારણા છે. 2023માં અનિયમિત ચોમાસાને કારણે ઉત્પાદનને અસર થશે. દેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકના ડુંગળી ઉગાડતા પટ્ટામાં જળાશયનું સ્તર બગડ્યું છે. કૃષિ મંત્રાલયના અગાઉના અંદાજ મુજબ, 2023-24માં બાગાયતનું ઉત્પાદન 35.52 કરોડ ટન પર સ્થિર થવાની સંભાવના છે જે ગયા વર્ષે 35.55 કરોડ ટન હતું.
હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે સામાન્ય કરતા વધુ ગરમી પડી શકે છે. એપ્રિલથી શરૂ થતી આ ઉનાળાની સિઝન જૂન સુધી ચાલશે. જોકે, IMDએ આ વર્ષે સામાન્ય કરતાં વધુ ચોમાસું રહેવાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં ચોમાસા સુધી શાકભાજીના ભાવ ઉંચા રહેશે તેવી નિષ્ણાતોને આશા છે. શાકભાજીની મોંઘવારીમાંથી માત્ર સારો વરસાદ રાહત આપી શકે છે. એટલે ચોમાસું બરાબર જામે નહીં ત્યાં સુધી શાકભાજીની મોંઘવારી પરેશાન કરતી રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો