Money9 Gujarati:
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ યાદ છે ને…? એક સમયે તે ફાયનાન્સિયલ સર્વિસિસમાં મોટું નામ ગણાતી હતી. પરંતુ, અનિલ અંબાણીનો સૂરજ આથમવાની સાથે આ કંપની પણ ખોવાઈ ગઈ છે. અત્યારે રિલાયન્સ કેપિટલ સામે નાદારીનો કેસ ચાલી રહ્યો છે અને તેના ભાગરૂપે શેરબજારમાં તેના શેરનું ડિલિસ્ટિંગ થશે. કંપનીના 98.49 ટકા શેર પબ્લિકના છે જ્યારે માલિકો પાસે માત્ર 0.88 ટકા શેર્સ છે. ડિલિસ્ટિંગ બાદ રિલાયન્સ કેપિટલની સંપૂર્ણ માલિકી હિન્દુજા ગ્રૂપની થઈ જશે અને પબ્લિક શેરહોલ્ડર્સના 98.49 ટકા શેરનું મૂલ્ય ઝીરો થઈ જશે. હિન્દુજા ગ્રૂપે 9,650 કરોડ રૂપિયા આપીને રિલાયન્સ કેપિટલનો કારોબાર પોતાને હસ્તક લીધો છે. છેલ્લે 26 ફેબ્રુઆરીએ તેનો શેર 11.79 રૂપિયાના ભાવ પર હતો. પાંચ વર્ષમાં તેનો શેર 95 ટકા તૂટ્યો છે. રિલાયન્સ કેપિટલમાં વહીવટના પ્રશ્નો ઊભા થયા હતા અને તે પેમેન્ટમાં પણ ડિફોલ્ટ થઈ હતી. ત્યારબાદ RBIએ નવેમ્બર 2021માં તેનું બોર્ડ પોતાને હસ્તક લઈ લીધું હતું અને કંપની સામે નાદારીની કાર્યવાહી કરી હતી.
paytmના બિઝનેસ પર અસર પડી છે. તેના અનેક મર્ચન્ટ હરીફ કંપનીઓ તરફ ખસી રહ્યાં છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટમાં પેટીએમની ખરાબ હાલત જોવા મળશે. વિદેશની બ્રોકર કંપની UBSએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગ્રાહકો પાછા મેળવવા માટે paytm એ માર્કેટિંગ પાછળ અઢળક ખર્ચ કરવો પડશે, જેના લીધે નાણાકીય વર્ષ 2024-25માં તેની ખોટમાં વધારો થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને paytmના શેરનો ટાર્ગેટ પ્રાઈસ ઘટાડવામાં આવ્યો છે. UBSએ અગાઉ 650 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો, જે ઘટાડીને 510 રૂપિયા કરી દીધો છે. 28 ફેબ્રુઆરીએ paytmનો શેર 5 ટકા લોઅર સર્કિટમાં 406.15ના ભાવે લોક થયો હતો. કંપની આ સમસ્યાનો સામનો કેવી રીતે કરે છે, તેના આધારે શેર આગળ વધશે. પરંતુ નજીકના મહિનાઓમાં તો કંપનીએ આર્થિક સંકટનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. પેમેન્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં પેટીએમનો 25 ટકા હિસ્સો છે અને તેમાં સાતેક ટકા ઘટાડો થઈ શકે છે. કંપનીએ મર્ચન્ટને પાછા ખેંચવા માટે નિયમો અને શરતો પણ હળવી કરવી પડશે.
બાબા રામદેવની કંપનીનો શેર 4 ટકા તૂટ્યો છે. સુપ્રીમ કોર્ટે બાબાની કંપની પતંજલિ ફૂડ્સને કોર્ટની અવમાનનાની નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ પતંજલિનો શેર 28 ફેબ્રુઆરીએ સવારમાં જ 4.28 ટકા તૂટીને 1,553 રૂપિયાએ પહોંચી ગયો હતો. એક જ દિવસમાં શેરમાં 69 રૂપિયાનો ઘટાડો થયો હતો. સુપ્રીમ કોર્ટે પતંજલિની દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. પતંજલિ તેની દવાઓથી બીમારીઓ દૂર થતી હોવાનો દાવો કરે છે, પરંતુ કંપની પાસે તેની સાબિતીના કોઈ પુરાવા નથી. તેની જાહેરાતોના ભ્રામક દાવા સામે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ચેતવણી ઉચ્ચારી હતી અને હવે જાહેરાતો પર પ્રતિબંધ મૂકી દીધો છે. પતંજલિ સામે નરમ વલણ રાખવા બદલ કેન્દ્ર સરકારને પણ જાટકવામાં આવી છે. જોકે, પતંજલિએ જણાવ્યું છે કે, તેની જાહેરાતો પર પ્રતિબંધની અસર કંપનીના કામકાજ પર નહીં થાય અને આવક પણ બેઅસર રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો