દેશમાં વધી રહેલી બેરોજગારી વચ્ચે નોકરીયાત લોકોનો એક મોટો વર્ગ એવો છે કે જેઓ પોતાની નોકરી ગુમાવવાનો ડર અનુભવી રહ્યા છે. દેશના 20 રાજ્યોના 115 જિલ્લાઓના પરિવારો પર થયેલા Money9ના પર્સનલ ફાઇનાન્સ સર્વે મુજબ, લગભગ 24 ટકા લોકોને સતત નોકરી ગુમાવવાનો ડર સતાવ્યા કરે છે જ્યારે 56 ટકા લોકો એવા છે જેમને પોતાની નોકરી ગુમાવવાનો થોડોઘણો ડર છે. એટલે કે દેશના 80 ટકા લોકો નોકરી ગુમાવવાના ડરમાં જીવી રહ્યા છે. માત્ર 20 ટકા લોકો એવા છે જેમને નોકરી ગુમાવવાનો ડર નથી.
હંમેશા નોકરીમાંથી કાઢી મૂકશે તેવા ડર સાથે જીવતા લગભગ 24 ટકા લોકોએ સર્વેમાં જણાવ્યું છે કે, તેમની પાસે પૂરતી બચત છે અને ધારો કે, નોકરી જતી રહે તોપણ 6 મહિના સુધી ઘર ચલાવવા પૂરતી બચત છે. 56 ટકા લોકોને નોકરી ગુમાવવાનો થોડોઘણો ડર છે તેમની પાસે નોકરી ગુમાવ્યા બાદ 2થી 3 મહિના ચાલે એટલી બચત પડી છે.
Money9ના સર્વે પરથી જાણવા મળે છે કે, મોટાભાગના ભારતીય પરિવારો આર્થિક રીતે સુરક્ષિત નથી, માત્ર 6 ટકા પરિવારો સંપૂર્ણપણે આર્થિક રીતે સુરક્ષિત છે, લગભગ 20 ટકા પરિવારો ઓછા સુરક્ષિત છે, 36 ટકા પરિવારો આર્થિક રીતે અસુરક્ષિત છે અને 38 ટકા પરિવારો કટોકટીમાં છે. સર્વેના આંકડા એ પણ દર્શાવે છે કે 7 ટકા ભારતીય પરિવારો એવા છે જેમની માસિક આવક તેમના માસિક ખર્ચને પહોંચી વળવા માટે પૂરતી નથી.
10 ભાષાઓમાં 35 હજારથી વધુ ભારતીય પરિવારોના આ સર્વેમાં જાણવા મળ્યું છે કે બિહાર, ઓડિશા, ઝારખંડ, આસામ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે જ્યાં ભારતીય પરિવારોની માસિક આવક સૌથી ઓછી છે. સર્વે અનુસાર ભારતમાં 39 ટકા પરિવારો એવા છે જેમની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે.
Published - December 28, 2023, 03:31 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો