Money9: માર્ચ મહિનો ચાલી રહ્યો છે…મોટાભાગના કરદાતા ટેક્સ બચાવવાના જુગાડમાં લાગ્યા છે. ઘણાં કરદાતા ITR ફાઇલ કરવા માટે ટેક્સ સેવિંગ દસ્તાવેજ ભેગા કરી રહ્યા છે. દરમિયાન ઇનકમ ટેક્સ સાથે જોડાયેલા એક મોટા સમાચાર બહાર આવ્યા છે. આવકવેરા વિભાગે હજારો કેસોને ઇ-વેરિફિકેશન માટે પસંદ કર્યા છે. ઘણાં કરદાતાઓને નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. ઇનકમ ટેક્સના આ પગલાએ કરદાતાઓની ચિંતા વધારી દીધી છે.
તમે વિચારી રહ્યા હશો કે છેવટે આવકવેરા વિભાગે અત્યારે નોટિસ મોકલવાની શી જરુર હતી?…આ નોટિસ કેવા લોકોને મોકલાઇ રહી છે? હકીકતમાં, ઇનકમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2019-20 માટે 68,000 કેસોને ઇ-વેરિફિકેશન માટે પસંદ કર્યા છે. આરોપ છે કે આવા કેસોમાં આવકવેરા રિટર્ન એટલે કે ITRમાં મોટી ઇનકમ છુપાવવામાં આવી છે અથવા તો ઓછી બતાવવામાં આવી છે. આ લેવડદેવડ વ્યક્તિગત અને કોર્પોરેટ બન્ને પ્રકારની છે. તેના એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS અને આવકવેરા રિટર્નમાં તફાવત જોવા મળ્યો છે. AISમાં કરદાતાની નાણાકીય લેવડદેવડની બધી વિગતો હોય છે. તેમાં બેંકમાં જમા ડિપોઝિટ અને શેરના ખરીદ-વેચાણ જેવી ચીજો સામેલ છે. આવો જાણીએ કે ઇ-વેરિફિકેશન શું હોય છે? આઇટીની આ નોટિસનો જવાબ નહીં આપો તો શું થશે?
ઇ-વેરિફિકેશન માટે પસંદ કરવામાં આવેલા 68,000 કેસોમાંથી અંદાજે 56 ટકા એટલે કે 35,000 કેસોમાં કરદાતા નોટિસનો જવાબ આપી ચૂક્યા છે કે અપડેટેડ રિટર્ન ફાઇલ કરી ચૂક્યા છે. બાકી 33 હજાર કેસોમાં કોઇ જવાબ નથી આવ્યો..FY2019-20 માટે જો કરદાતા 31 માર્ચ 2023 સુધી અપડેટેડ રિટર્ન ફાઇલ નથી કરતો કે નોટિસનો જવાબ નથી આપતો તો આવકવેરા વિભાગ એક્શન લઇ શકે છે. અત્યાર સુધી અંદાજે 15 લાખ અપડેટેડ રિટર્ન ફાઇલ થયા છે અને 1,250 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો છે…
ઇ-વેરિફિકેશન સ્કીમ 2021નો ઉદ્દેશ નાણાકીય સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત માહિતીને કરદાતાઓ તરફથી ITRમાં આપવામાં આવેલી માહિતી સાથે મેચ કરવાનો છે. નાણાકીય લેવડદેવડમાં મિસમેચ જણાય તો ઇ-વેરિફિકેશન પ્રક્રિયા શરુ થાય છે. કરદાતાને સેક્શન 133(6) હેઠળ કમ્પ્લાયન્સ પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રિક રીતે નોટિસ મોકલવામાં આવે છે. કરદાતા પાસે આ લેવડદેવડ રિટર્નમાં નહીં દર્શાવવા માટે સ્પષ્ટીકરણ કે સાક્ષી માંગવામાં આવે છે. કરદાતાએ કમ્લાયન્સ પોર્ટલ પર જ જવાબ આપવાનો હોય છે. વિભાગ જવાબથી સંતુષ્ટ નહીં થાય તો રિટર્ન અપડેટ કરવા માટે કહેશે..
ઇ-વેરિફિકેશન સ્કીમ હેઠળ મોકલવામાં આવેલી નોટિસ કમ્પ્લાયન્સ પોર્ટલ પર દેખાશે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ પર પણ તેનું એલર્ટ મોકલવામાં આવે છે. નોટિસ આવ્યા બાદ તમારે ઇનકમ ટેક્સના પોર્ટલ eportal.incometax.gov.in પર લોગ ઇન કરવું પડશે. ત્યારબાદ ‘Pending Actions’ ટેબ પર જઇને ‘કોમ્પ્લાયન્સ પોર્ટલ’ પર ક્લિક કરીને ‘eVerification’ સિલેક્ટ કરવું પડશે. પછી ફાઇનાન્સિયલ યર પર ક્લિક કરો. નોટિસ ડાઉનલોડ કરવા માટે ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર પર ક્લિક કરવું પડશે. જવાબ આપવા માટે સબમિટ લિંક પર ક્લિક કરો. અને સંબંધિત દસ્તાવેજ અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે. તમારો જવાબ પહોંચી જશે.
જો નાણાકીય વર્ષ 2019-20 એટલે કે એસેસમેન્ટ યર 2020-21 માટે તમને ઇ-વેરિફિકેશનની નોટિસ આવી છે તો 31 માર્ચ 2023 સુધી નોટિસનો જવાબ કે અપડેટેડ રિટર્ન ભરી દો. જો નોટિસ નથી મળી પરંતુ જો તમે કોઇ આવક દર્શાવવાનું ભુલી ગયા છો કે ઓરિજીનલ રિટર્ન નથી ભર્યું તો પણ એડિશનલ ટેક્સ ચૂકવીને અપડેટેડ રિટર્ન ભરી શકો છો. સંબંધિત એસેસમેન્ટ યર સમાપ્ત થયા બાદ પણ 2 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ભરી શકાય છે. 12 મહિનાની અંદર અપડેટેડ રિટર્ન ભરવા પર ટેક્સ અને વ્યાજના 25 ટકા જેટલો વધારાનો ટેક્સ આપવો પડશે. આ જ રીતે 12 મહિના બાદ અને 2 વર્ષ પહેલા અપડેટેડ રિટર્ન જમા કરવા પર 50 ટકા એડિશનલ ટેક્સ ભરવો પડશે. એસેસમેન્ટ યર 2021-22 માટે 31 માર્ચ 2024, એસેસમેન્ટ યર 2022-23 માટે 31 માર્ચ 2025 સુધી અપડેટેડ રિટર્ન ભરી શકાય છે…
જો તમે એસેસમેન્ટ યર 2021-22 કે ત્યારબાદના વર્ષોમાં ઇ-વેરિફિકેશનની નોટિસથી બચવા માંગો છો તો AIS અને ITRને મેચ કરીને ખોટુ જણાય તો અપડેટેડ રિટર્ન ફાઇલ કરી લો. સંબંધિત એસેસમેન્ટ યર માટે અપડેટેડ રિટર્ન ફક્ત એકવાર જ ભરી શકાય છે. ભૂલની કોઇ શક્યતા ન રહે તેના માટે તમે ટેક્સ એડવાઇઝર કે CAની મદદ લો. ઇ-વેરિફિકેશન અને આવકવેરા રિટર્નને ઇ-વેરિફાઇ કરવાને લઇને કન્ફ્યૂઝનમાં ન રહો. બન્ને અલગ-અલગ ચીજો છે. રિટર્ન ફાઇલ કરતાં પહેલા AIS જરૂર ચેક કરો જેથી ITR ભરતી વખતે કોઇપણ પ્રકારની ભૂલ ન થાય અને અપડેટેડ રિટર્ન ભરવાની નોબત ન આવે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો