Money9: શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ તેજીનો ટોન જળવાઈ રહ્યો છે. સોના-ચાંદીના ભાવ ફરી પાછા નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. મંગળવારે અમદાવાદમાં હાજર બજારમાં ચાંદીની કિંમત 1000 વધી 82 હજાર રૂપયિા પ્રતિ કિગ્રા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 700 વધી 74200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. એપ્રિલ મહિનામાં સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો 1 એપ્રિલે સોનું 71 હજાર, 3 એપ્રિલે 71,700, 4 એપ્રિલે 72,200, 6 એપ્રિલે 73,000, 8 એપ્રિલે 73,500 અને 9 એપ્રિલે 74,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ હતું. જ્યારે 1 એપ્રિલે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 75,500 રૂપિયા, 2 એપ્રિલે 76,000, 3 એપ્રિલે 78,500, 4 એપ્રિલે 79,000, 5 એપ્રિલે 80,000, 6 તારીખે 81,000 અને 9 એપ્રિલે 82,000 રૂપિયા હતો. બુલિયન એક્સપર્ટ્સના મતે ચાંદી હજુ 95 હજારના લેવલ સુધી જઇ શકે છે.
આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમને ફટકો પડ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIના ડેટા અનુસાર, UPI ટ્રાન્ઝેક્શન્સમાં Paytmનો હિસ્સો માર્ચ મહિનામાં ઘટીને 9 ટકા થઈ ગયો છે. એક મહિના પહેલા ફેબ્રુઆરીમાં, કુલ UPI ટ્રાન્ઝેક્શન્સમાં પેટીએમનો હિસ્સો 11 ટકા હતો. જાન્યુઆરીમાં, UPI ટ્રાન્ઝેક્શન્સમાં Paytmનો હિસ્સો 11.8 ટકા હતો. જાન્યુઆરી મહિનામાં, Paytm એ 1.4 અબજ UPI ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા જે ફેબ્રુઆરીમાં ઘટીને 1.3 અબજ થઈ ગયા. છેલ્લા ચાર વર્ષમાં આ સૌથી નીચો આંકડો છે.. Paytmની સમસ્યાઓનો સીધો ફાયદો તેના હરીફો ફોનપે અને Google Payને થઈ રહ્યો છે. છેલ્લા બે મહિના દરમિયાન, PhonePe એ તેની વોલ્યુમ માર્કેટ હિસ્સેદારી 50 ટકાને પાર કરી લીધી છે જ્યારે Google Pay બીજા સ્થાને છે.
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેનું નામ બદલી નાખ્યું છે… કંપની હવે સ્વિગી પ્રાઈવેટ લિમિટેડમાંથી સ્વિગી લિમિટેડ બની ગઈ છે… હકીકતમાં સ્વિગી ટૂંક સમયમાં તેનો IPO લઈને આવવાની છે..જેના કારણે કંપની હવે પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ કંપનીમાં બદલાઈ ગઈ છે. કંપનીએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને સબમિટ કરેલા તેના દસ્તાવેજોમાં આ માહિતી આપી છે…. એવું માનવામાં આવે છે કે કંપની આ વર્ષના અંત સુધીમાં બજારમાં તેનો IPO લોન્ચ કરી શકે છે…
સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી સફળ ઝુંબેશોએ દેશમાં નવા વિચારોને ખીલવવા માટે પૂરતી તકો પૂરી પાડી છે. પરંતુ સફળ સ્ટાર્ટઅપ્સની સંખ્યા, જે ગયા વર્ષ સુધી ઝડપી ગતિએ વધી રહી હતી, તેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. હુરુને મંગળવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં યુનિકોર્નની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ‘હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024’ અનુસાર, દેશમાં એક અબજ ડોલરથી વધુનું મૂલ્ય ધરાવતી ‘યુનિકોર્ન’ કંપનીઓની સંખ્યા ચાર વર્ષમાં પ્રથમ વખત ઘટીને 67 થઈ ગઈ છે. આ ઘટાડા છતાં, દેશે વિશ્વમાં યુનિકોર્નનું ત્રીજું સૌથી મોટું હબ બનવાનું સ્થાન હાંસલ કર્યું છે. યુનિકોર્ન એ એવા સ્ટાર્ટઅપ્સ છે જેનું મૂલ્ય 1 બિલિયન ડોલર કે તેથી વધુ હોય છે. રિપોર્ટ અનુસાર, ફૂડ એગ્રીગેટર સ્વિગી અને ફૅન્ટેસી ગેમિંગ ફર્મ ડ્રીમ 11 ભારતના સૌથી મૂલ્યવાન યુનિકોર્ન છે. તેમની વેલ્યુએશન 8-8 અબજ ડોલર છે.
અમદાવાદમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે બજારમાં લીંબુનો ઉપાડ વધતા તેના ભાવે ડબલ સેન્ચૂરી ફ્ટકારી છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 200 થી 220 રૂપિયાએ પહોંચ્યો છે. હજુ થોડા સમય પહેલાં જ હોલસેલમાં લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. જ્યારે રિટેઇલમાં રૂ.80 થી 100 કિલોનો ભાવ હતો. બીજી તરફ લીલા શાકભાજીની આવક વધતા હોલસેલના ભાવોમાં 5 થી 30 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. મરચાં હોલસેલમાં રૂ.20, ફુદીનો રૂ.20, કોથમીર 15 રૂપિયે કિલો મળી રહી છે. જો કે રિટેઇલમાં મરચાં રૂ.50, ફુદીનો રૂ.55 , કોથમીર રૂ.50 કિલોના ભાવે મળી રહી છે.
ગુજરાત IT વિભાગને વર્ષ ૨૩-૨૪માં ૩૧ માર્ચ સુધી એક લાખ કરોડનો ટેકસ મળ્યો જે ગત વર્ષે ૮૨,૯૦૦ કરોડનો હતો. ગુજરાતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યા ૪.૫ લાખ નોંધાઇ છે. ગુજરાતમાં દર વર્ષે કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કરોડપતિ કરદાતાની સંખ્યા 9300થી વધીને ૪.૫ થઇ છે. ગુજરાતમાં વ્યક્તિગત કરદાતાઓની સંખ્યામાંપણ વધારો જોવા મળ્યો છે. બાળકોને વિદેશ ભણવા જવા મોકલવાના હોવાથી રિટર્ન ફાઇલ કરવાનુ જરૂરી થઇ જતા રિર્ટન ફાઇલ કરવાની સંખ્યા પણ વધી છે.
ઓસ્ટ્રેલિયા અને કેનેડા બાદ હવે ન્યૂઝીલેન્ડે પણ દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર અંકુશ લાવવા વધુ કડક વિઝા નિયમો જાહેર કર્યા છે, તેણે દેશમાં જોબ્સ માટે ક્વોલિફાય થવાની જરૂરિયાતો વધારી છે. ન્યૂઝીલેન્ડના આ નિર્ણયને પગલે ત્યાં જોબ શોધતા ભારતીયોને મોટો ફટકો પડી શકે છે. ન્યૂઝીલેન્ડમાં જોબ્સ માટે ક્વોલિફાય થવાની નવી જરૂરિયાતોમાં અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, વર્ક એક્સપિરિયન્સ અને સ્કિલ ક્રાઇટેરિયા ઉપરાંત વર્ક પરમિટ સાથે ન્યૂઝીલેન્ડમાં સ્ટેનો સમયગાળો પણ 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારનો આશય દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર અંકુશ લાવવાનો છે. ન્યૂઝીલેન્ડમાં વિઝા નિયમોમાં ફેરફારો બાદ ભારતીયો તથા અન્ય ઇમિગ્રન્ટ્સ માટે જોબ મેળવવાનું મુશ્કેલ બની જશે. ભારતીય વિદેશ મંત્રાલયે ઓક્ટોબર, ૨૦૨૩માં જણાવ્યું હતું કે કુલ અઢી લાખ ભારતીયો ન્યૂઝીલેન્ડમાં કાયમી ધોરણે સ્થાયી થયેલા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો