Money9: મોહિત ઓફિસમાં કામ કરતો હતો ત્યારે મેસેજ આવ્યો કે તેના ખાતામાંથી 250 રૂપિયા કપાઈ ગયા છે. તેના ખાતામાં માત્ર 1000 રૂપિયા જ હતા જેમાંથી 250 રૂપિયા કપાઈ ગયા. મોહિતને ચિંતા થઈ અને તેણે બેંકમાં જઈને પૂછપરછ કરી તો ખબર પડી કે ખાતામાં એવરેજ મંથલી બેલેન્સ નથી, તેથી ચાર્જ કાપવામાં આવ્યો છે… મોહિત વિચારમાં પડ્યો કે ખાતું ખોલતી વખતે તો તેને આવા ચાર્જ વિશે જણાવાયું નહોતું. તેની બાજુમાં ઉભેલી એક વ્યક્તિએ કહ્યું- ખાતું ખોલતી વખતે તમે ભર્યું ફોર્મ નહોતું વાંચ્યું! મોહિતે કહ્યું – ના…મોહિતની જેમ, મોટાભાગના લોકો ખાતું ખોલાવતી વખતે માત્ર ડિટેલ ભરીને સહી કરી નાંખે છે. તેઓ ફોર્મના નિયમો અને શરતો વાંચવાને ઝંઝટ માને છે. પરંતુ આમ કરવું બિલકુલ ખોટું છે. ખાતું ખોલાવતી વખતે, તમારે ફોર્મમાં લખેલી શરતો વાંચી લેવી જોઈએ..આજે આપણે આના જ વિશે વાત કરીશું.
બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે, તમારું સૌથી પહેલું અને મહત્વપૂર્ણ પગલું બેંકની પસંદગી કરવાનું છે. એકાઉન્ટ ખોલતી વખતે, તમારો ઉદ્દેશ્ય તમારા પૈસા બચાવવાની સાથે સાથે વધુ વ્યાજ કમાવવાનો હોવો જોઈએ. આવી સ્થિતિમાં, સારુ વ્યાજ આપનારી બેંકો પર નજર રાખવી જરૂરી છે. નાની બેંકો મોટી બેંકો કરતા બચત ખાતા પર વધુ વ્યાજ આપે છે…ઉદાહરણ તરીકે, SBI સેવિંગ એકાઉન્ટમાં રૂ. 10 કરોડથી ઓછું બેલેન્સ હોય તો વાર્ષિક 2.70 ટકા વ્યાજ આપે છે…જ્યારે, RBL બેંક બચત ખાતા પર 1 લાખ રૂપિયા સુધીની થાપણો પર 4.25 ટકા, 1 થી 10 લાખ સુધીની થાપણો પર 5.50 ટકા, 10 લાખથી 25 લાખ રૂપિયા પર 6 ટકા અને રૂ. 25 લાખથી 2 કરોડ રૂપિયા પર 7.50 ટકા વ્યાજ ઓફર કરે છે. સામાન્ય રીતે મોટી બેંકો ફિક્સ ડિપોઝીટ પર 7 ટકાની આસપાસ વ્યાજ આપી રહી છે.
કેટલાક બચત ખાતાઓમાં બેલેન્સ રાખવાનું કોઇ બંધન નથી હોતું. તેને આપણે ઝીરો બેલેન્સ એકાઉન્ટ કહીએ છીએ…ઘણા બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ એટલે કે લઘુત્તમ રકમ જાળવવી પડે છે…આને એવરેજ મંથલી બેલેન્સ અથવા ક્વાર્ટરલી મંથલી બેલેન્સ કહેવામાં આવે છે. એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ કે ટર્મ એન્ડ કંડિશન સેક્શનમાં તેનો ઉલ્લેખ હોય છે. જો તમે સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો બેંક તમારી પાસેથી દંડ વસૂલશે…જેવું કે મોહિતની સાથે થયું.
પેનલ્ટી ઉપરાંત, બેંકો લઘુત્તમ બેલેન્સ ન રાખવા પર ઘણા પ્રકારના ચાર્જ પણ વસૂલ કરે છે…જેમ કે ઓવરડ્રાફ્ટ ફી, એટીએમ ફી, મેસેજ એલર્ટ ફી, ડુપ્લિકેટ પાસબુક માટેનો ચાર્જ, લિમિટથી વધુ ચેકબુક ઇશ્યૂ કરવા માટેનો ચાર્જ. એટલું જ નહીં લોનના હપ્તાની ચૂકવણી કરવામાં નિષ્ફળતા અથવા ચેક બાઉન્સ થાય તો પણ ચાર્જ વસૂલવામાં આવે છે. બેંક એકાઉન્ટ ફોર્મમાં ડિક્લેરેશન ભરતી વખતે અને સહી કરતી વખતે, તમે બેંકને આ તમામ ચાર્જ વસૂલવાની પરવાનગી આપો છો.
બેંક ખાતું ખોલાવતી વખતે, તમને હંમેશા ફોર્મમાં નોમિનીનો ઉલ્લેખ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ આના વિશે ઘણા લોકો ગંભીર નથી હોતા. નોમિનેશનમાં, ખાતું ખોલાવનાર વ્યક્તિ કોઇ એક વ્યક્તિનું નામ આપે છે જે તેના મૃત્યુ બાદ ખાતામાં જમા પૈસા પર દાવો કરી શકે છે. નોમિની ન હોવાના સંજોગોમાં ખાતાધારકના મૃત્યુ બાદ કાયદેસરના વારસદારને ક્લેમ કરવા માટે લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ખાતું ખોલાવતી વખતે પ્રથમ વખત નોમિનીનું નામ ઉમેરવા પર કોઈ ચાર્જ નથી લાગતો. જો નોમિનીમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો બેંક ચાર્જ લઈ શકે છે.
ખાતું ખોલાવતી વખતે, બેંકો તમને કેટલાક બીજા ફોર્મ પણ ભરવા માટે આપે છે. જેમાં ફોરેન એકાઉન્ટ્સ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ, કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એટલે કે CRS અને સેન્ટ્રલ કેવાયસીના ડિક્લેરેશનનો સમાવેશ થાય છે. આ ફોર્મ પર સહી કરીને, તમે બેંકને તમારી વ્યક્તિગત, ટેક્સ સંબંધિત અને નાણાકીય માહિતી સરકાર અને સરકારી એજન્સીઓ સાથે શેર કરવાની પરવાનગી આપો છો. એટલે કે, સરકારી એજન્સીઓ જ્યારે ઇચ્છે ત્યારે તમારી વ્યક્તિગત માહિતી બેંકમાંથી મેળવી શકે છે. એટલું જ નહીં, એક રીતે તમારા બેંક ખાતા દ્વારા થતી લેવડદેવડની માહિતી સરકારી વિભાગો સુધી પહોંચી શકે છે.
મોહિતની જેમ, મોટાભાગના લોકો બેંક ખાતું ખોલાવતી વખતે આ બધી બારીક ચીજો પર ધ્યાન નથી આપતા. બેંક ખાતું ખોલતી વખતે તમારા એકાઉન્ટ ઓપનિંગ ફોર્મને ધ્યાનથી વાંચો. આનાથી તમને બેંક દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અને તેના પર વસૂલવામાં આવતા ચાર્જની સંપૂર્ણ માહિતી મળી જશે…જો તમે ઈચ્છો તો બેંકોની વેબસાઈટ પર જઈને તમામ પ્રકારના ચાર્જ, પેનલ્ટી અને પેપરવર્ક અંગે માહિતી મેળવી શકો છો. બેંક ડિપોઝીટ પર પણ ઈન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ છે. જો બેંક કોઈપણ જાતની મુશ્કેલીમાં ફસાઈ જાય તો તમારી 5 લાખ રૂપિયા સુધીની મૂડી સુરક્ષિત છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો