RBIએ કોટક મહિન્દ્રા બેન્ક સામે આકરાં પગલાં ભર્યા હોવાથી તેના શેરમાં 12% ઘટાડો થયો છે. શેર તૂટવાથી તેના સ્થાપક અને પ્રમોટર ઉદય કોટકની નેટ વર્થમાં પણ જંગી ઘટાડો થયો છે.
Kotak Mahindra Bankના શેરમાં 12 ટકાનું ગાબડું પડ્યું છે. રિઝર્વ બેન્કે નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવા પર તેમજ ઓનલાઈન ગ્રાહકો બનાવવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યા બાદ કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં કડાકો બોલાયો છે. બેન્કના શેરમાં ઘટાડો થવાથી તેના સ્થાપક અને પ્રમોટર ઉદય કોટકની સંપત્તિમાં પણ 1.3 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. એટલું જ નહીં, કોટક મહિન્દ્રા બેન્કનું સ્થાન એક્સિસ બેન્કે આંચકી લીધું છે અને માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ તે ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી લિસ્ટેડ બેન્ક બની છે.
કોટક મહિન્દ્રા બેન્કના શેરની સ્થિતિ
25 એપ્રિલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર કોટક મહિન્દ્રા બેન્કનો શેર ઘટીને 1,675એ ખૂલ્યો હતો, અને ટૂંક સમયમાં જ 12 ટકા ઘટીને 1,620 રૂપિયાના ભાવે પહોંચી ગયો હતો. દિવસના અંતે તેનો શેર 10.85 ટકાના ઘટાડા સાથે 1,643 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. વિવિધ બ્રોકરેજ કંપનીએ કોટક બેન્કના ટાર્ગેટ ભાવ ઘટાડ્યા છે. એમ્કે ગ્લોબલે અગાઉ 1,950 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો, જે હવે ઘટાડીને 1,750 રૂપિયા કર્યો છે. જેફરિઝે 2,050નો ટાર્ગેટ ઘટાડીને 1,970 કર્યો છે. આ ઉપરાંત મેક્વાયરે 1,860નો સિટીએ 2,040નો, CLSA અને મોર્ગન સ્ટેન્લીએ 2,100 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે.
બ્રોકરેજ હાઉસ અગાઉ હવે
Emkay Global Rs 1,950 Rs 1,750
Jefferies Rs 2,050 Rs 1,970
Macquarie – Rs 1,860
Citi – Rs 2,040
CLSA – Rs 2,100
Morgan Stanley – Rs 2,100
ઉદય કોટકને એક જ દિવસમાં જંગી ખોટ
ઉદય કોટકને એક જ દિવસમાં અબજો રૂપિયાની ખોટ ગઈ છે. તેઓ કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક અને પ્રમોટર છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા ઉદય કોટક એશિયાના સૌથી ધનિક બેન્કર છે. 24 એપ્રિલે તેમની નેટ વર્થ 14.4 અબજ ડૉલર હતી, જેમાં 25 એપ્રિલે 1.3 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. તેમની બેન્ક સામે RBIએ આકરાં પગલાં ભર્યા બાદ, ઉદય કોટકને જંગી ખોટ ગઈ છે. કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં 12 ટકાનું ગાબડું પડ્યું છે અને તેના કારણે ઉદય કોટકને નુકસાન પહોંચ્યું છે.
Rs 200 x 51,10,27,100 = Rs 102,20,54,20,000
ઉદય કોટક પાસે કોટક મહિન્દ્રા બેન્કના 51,10,27,100 શેર્સ, એટલે કે, 25.17 ટકા હિસ્સો છે. કોટક મહિન્દ્રા બેન્કનો શેર 25 એપ્રિલે 10.85 ટકા એટલે કે, 200 રૂપિયા ઘટીને 1,643 રૂપિયાએ બંધ રહ્યો હતો. એક શેરમાં 200 રૂપિયાના ઘટાડા લેખે ગણતરી કરીએ તો, ઉદય કોટકને 10,220 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. RBIએ કોટક મહિન્દ્રા બેન્કને ઓનલાઈન ગ્રાહકો ઉમેરવા પર તેમજ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. બેન્કની આઈટી સિસ્ટમમાં ખામી હોવાથી રિઝર્વ બેન્કે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. બેન્કને આ ખામી સુધારીને RBI પાસેથી ક્લીયરન્સ મેળવવામાં 9થી 12 મહિના લાગી શકે છે.
RBI કેમ કોટક મહિન્દ્રા બેન્ક પર ત્રાટકી?
બેન્કની આઈટી સિસ્ટમમાં ખામી હોવાથી, RBIએ તાત્કાલિક અસરથી નવો આદેશ અમલી કરી દીધો છે. કોટક મહિન્દ્રા બેન્કની આઈટી જોખમનું સંચાલન કરવાની તેમજ માહિતીની સલામતીનું સંચાલન કરવાની વ્યવસ્થામાં ખામી હોવાનું માલૂમ પડ્યા બાદ, RBIએ તાત્કાલિક અસરથી નવા ઓનલાઈન ગ્રાહકો ઉમેરવા પર અને ક્રેડિટ કાર્ડ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A હેઠળ તાત્કાલિક નવા ગ્રાહકો ઉમેરવાનું અને ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ક્રેડિટ કાર્ડ આપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે, આરબીઆઈએ બેંકના વર્તમાન ગ્રાહકો અને ક્રેડિટ કાર્ડ ધારકોને સેવાઓ પ્રદાન કરવા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.
રિઝર્વ બેંકે કહ્યું કે IT ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, પેચ એન્ડ ચેન્જ મેનેજમેન્ટ, યુઝર રીચ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી, ડેટા લીક પ્રિવેન્શન સ્ટ્રેટેજી, બિઝનેસ સાતત્ય, ડિઝાસ્ટર રિકવરી હાર્ડનેસ અને ડ્રિલ વગેરે ક્ષેત્રોમાં ખૂબ જ ગંભીર ખામીઓ જોવા મળી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકના IT જોખમ અને માહિતી સુરક્ષા શાસનનું સતત બે વર્ષ સુધી ઉણપ તરીકે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જે નિયમનકારી માર્ગદર્શિકા હેઠળની જરૂરિયાતોથી વિપરીત છે.
RBIએ 2022 અને 2023માં કોટક મહિન્દ્રા બેન્કની આઈટી સિસ્ટમની ચકાસણી કર્યા બાદ, બેન્ક પાસે જવાબ માંગ્યો હતો. કોટક બેન્કે જવાબ આપ્યો હતો, પરંતુ તે સંતોષજનક લાગ્યો ન હોવાથી રિઝર્વ બેન્કે કડક પગલું ભર્યું છે. જોકે, વર્તમાન ગ્રાહકોને મળતી સેવા યથાવત્ ચાલુ રહેશે.
Published - April 25, 2024, 05:49 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો