Money9 Gujarati:
વર્ષ 2024માં ભારતમાં સોનાની માંગ વધીને 800-900 ટનની વચ્ચે થવાની ધારણા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના મેનેજિંગ ડિરેક્ટર (ભારત) સોમસુંદરમ પીઆરના જણાવ્યા અનુસાર, ભારતમાં સોનાની માંગ 2019થી 700-800 ટનની રેન્જમાં છે. વર્ષના ઉત્તરાર્ધ દરમિયાન સોનાની ખરીદીમાં વધારો થવાની ધારણા છે. તેમનું કહેવું છે કે સારા ચોમાસાને કારણે સોનાની માંગમાં વધારો થશે અને લોકસભાની ચૂંટણી બાદ સોનાની માંગ વધી શકે છે. સોમસુંદરમ પીઆરનું માનવું છે કે આર્થિક વૃદ્ધિ અને લોકોની આવક વધવાથી સોનાની માંગ વધશે.
WGC એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે 2023 દરમિયાન ભારતમાં સોનાની માંગ 745.7 ટન નોંધાઈ હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 3 ટકા ઓછી છે. હકીકતમાં, 2023માં, સોનાની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ હતી, જેના કારણે માંગમાં ઘટાડો નોંધાયો હતો. સોમસુંદરમ પીઆર કહે છે કે વર્ષ 2023 દરમિયાન ભારતમાં સોનાની માંગ 4 વર્ષની નીચી સપાટીએ હતી. ઉલ્લેખનીય છે કે ભારત સોનાનો મોટો આયાતકાર દેશ છે. સ્વિત્ઝર્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, પેરુ અને ઘાના ભારતમાં સોનાની નિકાસના મુખ્ય સપ્લાયર છે. અત્યારે સોનાની માંગ મજબૂત છે, પરંતુ લોકો ઈચ્છે છે કે, સોનાની કિંમતમાં થોડીક વધારે સ્થિરતા આવે, એમ સોમાસુંદરમે જણાવ્યું છે.
તેમનું કહેવું છે કે જો સોનાની કિંમત ઘટશે તો તેની માંગમાં નોંધપાત્ર વધારો થશે. ભૌગોલિક રાજકીય સંઘર્ષો, અગ્રણી અર્થતંત્રોમાં ધીમી વૃદ્ધિ અને ફુગાવાના ઊંચા દરને કારણે મધ્યસ્થ બેન્કો દ્વારા નાણાકીય કડકાઈ રાખવાથી સોનાના ભાવ 2023 સુધી અસ્થિર રહેવાની ધારણા છે. તેમનું કહેવું છે કે જો કે, મુખ્ય સેન્ટ્રલ બેંકો આ વર્ષના બીજા ભાગમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે, જેના કારણે સોનાની માંગમાં વધારો થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો