Money9 Gujarati:
ભારતમાં સારવારના ખર્ચ વચ્ચેની અસમાનતા જોઈને સુપ્રીમ કોર્ટ બગડી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચેના બિલમાં બહુ મોટો તફાવત હોય છે. સરકારી હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન 10 હજારની અંદર પતી જાય છે જ્યારે ખાનગીમાં મોતિયાનું ઓપરેશન 25 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીમાં થાય છે. ભાવ વચ્ચેની આ અસમાનવતા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સરકારને હોસ્પિટલમાં એક સ્ટાન્ડર્ડ ચાર્જ નક્કી કરવાની સૂચના આપી છે. કોર્ટે 14 વર્ષ જૂનો કાયદો “ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રૂલ્સ” લાગુ કરવામાં સરકારની નિષ્ફળતા સામે પણ સખત વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે ચેતવણી આપી છે કે, જો સરકાર સ્ટાન્ડર્ડ રેટ નક્કી કરવામાં નિષ્ફળ જશે તો સરકારી દર લાગુ કરવામાં આવશે.
વાસ્તવમાં ખાનગી હોસ્પિટલોમાં વસૂલવામાં આવતી મનસ્વી ફી પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નિયમો લાગુ કરવામાં નિષ્ફળ રહી છે. આ કાયદા હેઠળ, કેન્દ્રએ રાજ્યો સાથે મળીને મેટ્રોપોલિટન શહેરો, શહેરો અને નગરોમાં સારવાર અને રોગો માટે પ્રમાણભૂત દર નક્કી કરવા જોઈએ. કોર્ટે કહ્યું કે તેણે આ મુદ્દે અનેક વખત રાજ્યોને પત્ર લખ્યા છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે આરોગ્ય સંભાળ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. કેન્દ્ર સરકાર તેની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી.
કોર્ટે કેન્દ્રીય આરોગ્ય સચિવને રાજ્યોના આરોગ્ય સચિવો સાથે એક મહિનાની અંદર પ્રમાણભૂત દરને સૂચિત કરવા માટે બેઠક યોજવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર નિષ્ફળ જશે તો તે CGHS-નિર્ધારિત માનક દરોને લાગુ કરવા માટે અરજદારની અરજી પર વિચાર કરશે.
NGO ‘વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક લાઇફ’ દ્વારા વકીલ દાનિશ ઝુબેર ખાને PIL (જાહેર હિતની અરજી) દાખલ કરવામાં આવી હતી. અરજીમાં, ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રૂલ્સ (કેન્દ્ર સરકાર), 2012’ ના નિયમ 9 હેઠળ દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીનો દર નક્કી કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. આ નિયમ હેઠળ, તમામ હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓએ દરેક પ્રકારની સેવા માટે ફી અને ઉપલબ્ધ સુવિધાઓ વિશે સ્થાનિક ભાષા તેમજ અંગ્રેજીમાં માહિતી આપવાની રહેશે. દરેક પ્રક્રિયા અને સેવા માટેની ફી કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે રાજ્ય સરકારો સાથે પરામર્શ કરીને નિર્ધારિત અને જારી કરાયેલા દરોની મર્યાદામાં વસૂલવાની રહેશે.
અરજદારે જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચને કહ્યું કે જો રાજ્ય સરકારો સારવાર માટે દરની મર્યાદા નક્કી કરવામાં સહકાર નહીં આપે તો કેન્દ્ર સરકાર તેની સત્તાનો ઉપયોગ કરીને કોઈપણ ફીને એકપક્ષીય રીતે સૂચિત કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો