Money9: અનુજ રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. આ રોકાણ પર નિશ્ચિત રિટર્ન તો મળે જ છે..સાથે ટેક્સ પણ બચી જાય છે. આના માટે વિધાઉટ ફેઇલ તે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાનો અંત થતા પહેલા PPF ખાતામાં દોઢ લાખ રૂપિયા જમા કરે છે. પરંતુ આ પ્રકારે કોઇપણ જાતની તારીખનું ધ્યાન રાખ્યા વગર રોકાણ કરીને અનુજથી મોટી ભૂલ થઇ રહી છે. આના કારણે તે પોતાના રોકાણ પર ઓછું વ્યાજ કમાઇ રહ્યો છે.
PPFમાં રોકાણ કરનારાઓ માટે મહિનાની પાંચમી તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાંચમી તારીખ બાદ રોકાણ કરવાનો અર્થ એ થયો કે તમારા રોકાણ પર વ્યાજનું ગણિત બદલાઈ જશે અને કમાણી ઘટી જશે.
નિશ્ચિત રિટર્ન સાથે સુરક્ષિત રોકાણ માટે PPF એક શાનદાર સ્મોલ સેવિંગ સ્કીમ છે. આ રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ, વાર્ષિક દોઢ લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. PPF ખાતામાં એક વર્ષમાં વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. PPF 15 વર્ષની સ્કીમ છે. મેચ્યોરિટી પર મળતી રકમ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. સરકાર સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરોની દર ત્રણ મહિને સમીક્ષા કરે છે. તાજેતરમાં, સરકારે ઘણી યોજનાઓમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે પરંતુ પીપીએફના વ્યાજ દરોમાં એપ્રિલ 2020થી કોઇ ફેરફાર નથી કર્યો. PPF પર હાલ 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
હવે સવાલ એ છે કે PPF ખાતામાં વ્યાજ ઉમેરવાનો નિયમ શું છે અને અનુજ જેવા લોકોને કેવી રીતે નુકસાન થાય છે?
PPF ખાતામાં જમા રકમ પર વ્યાજની ગણતરી માસિક ધોરણે કરવામાં આવે છે. જો કે કુલ વ્યાજ નાણાકીય વર્ષના અંતે ઉમેરવામાં આવે છે. વ્યાજની ગણતરી મહિનાની છઠ્ઠી તારીખથી લઇને અંતિમ તારીખની વચ્ચે ખાતામાં જમા કરવામાં આવેલી ન્યૂનતમ રકમ પર કરવામાં આવે છે. દર મહિનાની 5મી તારીખ સુધી જે પૈસા જમા કરવામાં આવે છે તે જ બેલેન્સ પર વ્યાજ મળે છે.
અનુજ PPF ખાતામાં 5 તારીખ બાદ જ પૈસા જમા કરાવે છે, તેથી તેને આ એક મહિનાનું વ્યાજ નહીં મળે. ઉદાહરણ તરીકે, જો 1લી ફેબ્રુઆરીએ અનુજના PPF ખાતામાં 20,000 રૂપિયા જમા છે અને તે 8મી તારીખે ફરીથી 10,000 રૂપિયા જમા કરાવી પણ દે તો કુલ ડિપોઝિટ ભલે 30,000 રૂપિયા હોય પરંતુ ફેબ્રુઆરી મહિનાનું વ્યાજ માત્ર 20,000 રૂપિયા પર જ મળશે. જો તમે આ રકમ તમે 1 થી 5મી ફેબ્રુઆરી વચ્ચે જમા કરાવી હોત તો તમને પૂરી જમા રકમ પર વ્યાજ મળ્યું હોત. તો ધ્યાન રાખો કે મહિનાની 5 તારીખ સુધીમાં પૈસા જમા કરાવી દો.
અનુજને કેટલું નુકસાન થશે? હવે એ સમજીએ… હાલમાં PPF પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ હિસાબે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાના રોકાણ પર કુલ 10,650 રૂપિયાનું વ્યાજ મળશે. જો આ રકમ મહિનાની 5 તારીખ બાદ જમા કરવામાં આવે તો 11 મહિનામાં વ્યાજની રકમ 9762 રૂપિયા થશે. આ રીતે થોડી બેદરકારીના કારણે તેને 888 રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે. પ્રથમ નજરમાં, ભલે આ રકમ મામૂલી લાગે..પરંતુ PPF એ 15 વર્ષની લાંબા ગાળાની યોજના છે. તમારા રિટર્નમાં કમ્પાન્ડિંગ આઠમી અજાયબી તરીકે કામ કરે છે. PPFમાં વ્યાજ પર વ્યાજ ઉમેરાય છે. જેના કારણે અનુજ જેવા લોકોને નાનકડી બેદરકારીના કારણે લાંબા ગાળે મોટું નુકસાન વેઠવું પડે છે.
PPFમાં ભલે તમે એકસાથે રોકાણ કરતા હોવ કે દર મહિને, અનુજ જેવી ભૂલો કરવાનું ટાળો. મહિનાની 5મી તારીખ સુધીમાં રોકાણ કરવાનો પૂરો પ્રયાસ કરો. જો તમે હપ્તામાં રોકાણ કરો છો, તો મહિનાની 5 તારીખ પહેલા જ ખાતામાં જમા કરાવો. લંપસમ કરો છો તો પણ 5 તારીખ યાદ રાખો. આનાથી તમે PPFમાં રોકાણનો પૂરો ફાયદો લઇ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો