Money9 Gujarati:
Paytm અકલ્પનીય કટોકટીનો સામનો કરી રહી છે. તેના શેરમાં સતત 3 ટ્રેડિંગ સત્રથી લોઅર સર્કિટ વાગી રહી છે. શેરની કિંમત 52-સપ્તાહની ટોચથી 50 ટકા નીચે પહોંચી છે. RBIએ આકરાં પગલાંની જાહેરાત કરી ત્યારથી Paytmનાં વળતાં પાણી શરૂ થયા છે અને બજારમાં અફવાઓનું બજાર પણ ગરમ થઈ ગયું છે. મુકેશ અંબાણી દ્વારા પેટીએમનો વૉલેટ બિઝનેસ ખરીદવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હોવાના સમાચારને પગલે રિલાયન્સ ગ્રૂપની જિયો ફાયનાન્શિયલના શેરમાં તેજી જોવા મળી છે. આ સમાચારને પગલે જિયોના શેરની માંગ વધી છે અને તેની અસર શેર પર તેજી સ્વરૂપે પડી છે. પેટીએમના કાઉન્ટરમાં આજે 10 ટકા લોઅર સર્કિટ વાગી છે.
જિયો ફાયનાન્શિયલ સર્વિસિસ દ્વારા Paytmના વોલેટ બિઝનેસને ખરીદવામાં આવે તેવી શક્યતા છે. આ સોદો કરવા માટે HDFC બેન્ક પણ ચર્ચા કરી રહી છે પરંતુ અંબાણીની કંપની મેદાન મારી જાય તેવી શક્યતા છે. મીડિયામાં વહેલા થયેલા આ અહેવાલને પગલે, જિયો ફાઇનાન્સનો શેર BSE પર 16.53% ઉછળીને 295.70ની નવી ટોચે પહોંચી ગયો છે.
મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે, Paytmની પેરેન્ટ કંપની One 97 Communications તેનો વોલેટ બિઝનેસ વેચવા માટે કેટલાક ઈન્વેસ્ટર્સ સાથે વાટાઘાટ કરી રહી છે. આ ઈન્વેસ્ટર્સમાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને HDFC બેન્કનો સમાવેશ થાય છે. આ બંને કંપની Paytmના વૉલેટ બિઝનેસને ખરીદવા માટે અગ્રેસર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કંપની અત્યારે Paytm પેમેન્ટ્સ બેન્કના તમામ એકાઉન્ટ્સને અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરી રહી છે અને તેના ભાગીદારની શોધ કરી રહી છે.
પેટીએમના શેરમાં 5 ફેબ્રુઆરીએ 10 ટકા લોઅર સર્કિટ વાગી હતી. 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરીએ પણ તેમાં 20-20 ટકાની લોઅર સર્કિટ વાગી હતી. RBIએ 31 જાન્યુઆરીએ પેટીએમને નવા ગ્રાહકો લેવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો હતો અને 29 ફેબ્રુઆરી બાદ તેની પેટીએમ પેમેન્ટ્સ બેન્કના મુખ્ય કામકાજ પર પ્રતિબંધનો આદેશ ફરમાવ્યો હતો. પેટીએમે કમ્પ્લાયન્સનો ભંગ કર્યો હોવાના આરોપસર RBIએ આ સૂચના આપી હતી. પેટીએમે જણાવ્યું છે કે, RBIના આદેશની અત્યંત ખરાબ અસર પડશે તો તેની વાર્ષિક EBITDAમાં 500 કરોડ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.
RBIએ 31 જાન્યુઆરીએ સૂચના આપી હતી કે, Paytm Payments Bank 29 ફેબ્રુઆરી બાદ, તેના કોઈ પણ ગ્રાહક ખાતા, પ્રિપેડ એકાઉન્ટ, વૉલેટ તેમજ ફાસ્ટેગમાં જમા કે ટોપ-અપ સ્વીકારી નહીં શકે.
પેટીએમનો શેર 3 દિવસમાં 42 ટકા તૂટી ગયો છે અને તેનું બજાર મૂલ્ય 20,471.25 કરોડ રૂપિયા ઘટી ગયું છે. પેટીએમનો શેર 438.50 રૂપિયાએ પહોંચી ગયો છે, જે 31 જાન્યુઆરીએ 762 રૂપિયાના સ્તરે હતો. તેનો શેર હજુ પણ IPOમાં ઑફર કરેલા 2,150 રૂપિયાના લેવલથી ઘણો દૂર છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક (PPBL)ને સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સના કમ્પ્લાયન્સ વેલિડેશન રિપોર્ટના કારણે અમુક કામગીરી કરવા પર પ્રતિબંધ મૂક્યા પછી પેટીએમના શેર તૂટ્યા હતા. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ એ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એક નાણાકીય શાખા છે. નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC) તેનો નાણાકીય સેવાઓનો વ્યવસાય ધરાવતી પેટાકંપનીઓ દ્વારા સંચાલિત છે.
OCL એ તમામ વેપારી અને ગ્રાહક ખાતાઓ કે જે PPBL દ્વારા જાળવવામાં આવે છે તેમજ UPI સરનામું કે જેમાં @paytm VPA (વર્ચ્યુઅલ પેમેન્ટ સરનામું) છે અને PPBL દ્વારા મેનેજ કરવામાં આવે છે તેને ટ્રાન્સફર કરવા માટે વિચારી રહી છે. બેકએન્ડ સ્પોન્સર બેન્ક બદલાય ત્યારે પણ આ વેપારીઓ Paytm એપ્લિકેશનની અંદર રહે તેની ખાતરી કરવા માટે Paytm માટે આ મહત્વપૂર્ણ છે.
Paytm એ લગભગ તમામ ટોચની બેન્કો સુધી પહોંચ્યું છે, એક્ઝિક્યુટિવ્સે કહ્યું કે તેઓ આને RBIના નિવેદનને પગલે જવાબદારી તરીકે જુએ છે કે તેમાં ઘણી અનુપાલન અને સુપરવાઇઝરી ક્ષતિઓ છે.
Paytm એ કહ્યું કે, અધૂરા કેવાયસીની માહિતી હકીકતમાં ખોટી, પાયાવિહોણી અને અનુમાન પર આધારિત છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટપણે આનો ઇનકાર કરીએ છીએ. છેલ્લા બે વર્ષથી, Paytm બહુવિધ થર્ડ પાર્ટી અગ્રણી બેન્કો સાથે કામ કરી રહી છે. અમે આ સંબંધોને વિસ્તારી રહ્યા છીએ, અને તે હકારાત્મક રીતે આગળ વધી રહ્યા છે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો