Money9 Gujarati:
Wheat Production: વર્તમાન માર્કેટિંગ વર્ષ 2024-25માં સરકારે અત્યાર સુધીમાં 196 લાખ ટનથી વધુ ઘઉંની ખરીદી કરી છે, જે ગયા વર્ષ કરતાં ઓછી છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન સરકારે 219.5 લાખ ટન ઘઉંની ખરીદી કરી લીધી હતી, એટલે તેની તુલનાએ આ વખતે 11 ટકા ઓછી ખરીદી થઈ છે. ઘઉં મુખ્ય રવિ પાક છે અને આ વખતે ઘઉંની ખરીદીમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ મધ્યપ્રદેશ અને પંજાબમાં ઓછી ખરીદી છે.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ સહિત તમામ કલ્યાણકારી યોજનાઓ માટે વાર્ષિક જરૂરિયાત 186 લાખ ટન છે, એટલે તેને પહોંચી વળવા માટે તો સરકારે ઘઉંનો જથ્થો ખરીદી લીધો છે, પરંતુ બફર સ્ટોક વધારવા માટે 2024-25 સીઝનમાં 310-320 લાખ ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક પાર પાડવા સામે સવાલો ઊભા થયા છે.
સરકાર વતી અનાજની ખરીદી અને વિતરણનું કામકાજ નોડલ એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) સંભાળે છે અને ઘઉંની ખરીદી પણ આ સંસ્થા કરે છે. બફર સ્ટૉક ઊભો કરીને સરકાર ઘઉંની કિંમતને અંકુશમાં રાખવા માટે દરમિયાનગીરી કરવા સક્ષમ બને છે. ધારો કે, ઘઉંના ભાવ વધવા લાગે તો તેને અંકુશમાં રાખવા માટે સરકાર ઓપન માર્કેટમાં આ બફર સ્ટોકમાંથી ઘઉં કાઢીને છૂટક કિંમત (Wheat Retail Prices)ને નીચે લઈ જવાનો પ્રયાસ કરે છે.
FCIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશોક કે મીનાએ જણાવ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં ઘઉંનું આગમન ખૂબ જ સારું હોવાથી અમે અમારા અંદાજિત પ્રાપ્તિના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે માત્ર FCI આ બંને રાજ્યોમાંથી લગભગ 200 લાખ ટન ઘઉંની ખરીદી કરશે.
સરકારે માર્કેટિંગ વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ)માં 261.97 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. મોટાભાગની ખરીદી એપ્રિલ-મે દરમિયાન કરવામાં આવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અનુમાન મુજબ, પાક વર્ષ 2023-24માં ઘઉંનું ઉત્પાદન 1,120.19 લાખ ટન થશે, જ્યારે અગાઉના વર્ષમાં તે 1,105.54 લાખ ટન હતું. જો કેટલાક રાજ્યોમાં અપેક્ષા કરતાં વધુ ઉપજ હોય તો, ઉત્પાદન આશરે 1,150 લાખ (115 મિલિયન) ટન સુધી પહોંચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, FCI એ વિવિધ રાજ્યોના લગભગ 16 લાખ ખેડૂતો પાસેથી 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) પર 45,000 કરોડ રૂપિયાના ઘઉંની ખરીદી કરી છે.
હાલમાં પંજાબ અને હરિયાણામાં ઘઉંના પાકની આવક સારી છે. FCI પંજાબમાંથી 130 લાખ ટન અને હરિયાણામાંથી 70 લાખ ટનની ખરીદી કરવાની અપેક્ષા રાખે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે FCI મે મહિના પહેલા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં ખરીદી ઝુંબેશને વધુ તીવ્ર બનાવી શકે છે કારણ કે તે અહીંની મંડીઓમાં પાકના મોડા આવવાની અપેક્ષા રાખે છે. કિંમતોને નિયંત્રિત કરવા માટે, વધારાનો સ્ટોક રાખવા અને જરૂર પડ્યે ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) લાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
આ યોજના હેઠળ ગયા વર્ષે લોટ બનાવતી મિલો તેમજ અન્ય ઘઉં આધારિત ઉદ્યોગોને 100 લાખ ટનથી પણ વધારે ઘઉંનો જથ્થો મોકલવામાં આવ્યો હતો.
FCI એ મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ગુણવત્તાના ધોરણો હળવા કર્યા છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં ખરીદી ચિંતાનો વિષય છે, પરંતુ અમને આશા છે કે તેમાં વેગ આવશે. મધ્યપ્રદેશમાં ઘઉંની પ્રાપ્તિમાં ઘટાડો થવા પાછળ ઘણા પરિબળો હોઈ શકે છે જેમ કે કઠોળની ખેતી અપનાવવી, ખેતરમાં જ વેપારીઓ દ્વારા ખરીદી કરવી અને સારી રકમ મેળવવા માટે અનાજ પોતાની પાસે રાખવું. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાં માત્ર 34.66 લાખ ટન ઘઉંની ખરીદી થઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 55.59 લાખ ટન હતી.
બફર સ્ટોક અંગે, કેન્દ્ર પાસે 1 એપ્રિલ સુધીમાં કેન્દ્રીય પૂલમાં 75.02 લાખ ટન ઘઉંનો જથ્થો હતો, જ્યારે તે તારીખે બફર સ્ટાન્ડર્ડ 74.6 લાખ ટન હતો. 1 જુલાઈ માટે બફર સ્ટાન્ડર્ડ 275.8 લાખ ટન છે. ચોખાના મામલામાં એફસીઆઈના અધિકારીએ કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ આરામદાયક છે. FCI તમામ કલ્યાણ યોજનાઓ માટે વાર્ષિક 400 લાખ ટનની જરૂરિયાત સામે માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં 540 લાખ ટન ચોખાની પ્રાપ્તિની અપેક્ષા રાખે છે.
અધિકારીએ કહ્યું કે ચોખાના કિસ્સામાં અમારી પાસે એક વર્ષનો વધારાનો સ્ટોક છે. હાલમાં ચોખાનો બફર સ્ટોક 532 લાખ ટન છે. સામાન્ય માણસને રાહત આપવા માટે કેન્દ્રએ અત્યાર સુધીમાં 5.6 લાખ ટન ‘ભારત ચોખા’નું વેચાણ કર્યું છે. તે 29 રૂપિયા પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ દરે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત લગભગ 9.6 લાખ ટન ઘઉં પણ ‘ભારત અટ્ટા’માં રૂપાંતરિત કરવા માટે આપવામાં આવ્યા છે. આ લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો