Money9: ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે તાજેતરમાં જ તેના સેલેરી એકાઉન્ટ હોલ્ડર્સને એક મેસેજ મોકલ્યો. આ મેસેજમાં બેંકે કહ્યું કે કેટલાક લોકોની જાન્યુઆરી મહિનાની સેલેરી બેંક એકાઉન્ટમાં જમા નથી થઇ. જો તમારા ખાતામાં ફેબ્રુઆરી મહિનાનો પગાર જમા નહીં થાય તો 100 રૂપિયાની ફી વસૂલવાાં આવશે. સતત ત્રણ મહિના સુધી પગાર ન આવે તો તમારું સેલેરી એકાઉન્ટ સામાન્ય બચત ખાતામાં ફેરવાઈ જશે. ત્યારબાદ તમારે અનેક પ્રકારના ચાર્જ ચૂકવવા પડશે. સેલેરી એકાઉન્ટ અંગે લગભગ તમામ બેંકોમાં આ જ પ્રકારના નિયમ છે.
જ્યારે તમે નોકરી બદલો છો, ત્યારે કંપની તમારુ કોઇ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલાવે છે. બચત ખાતાની તુલનામાં, સેલેરી એકાઉન્ટમાં અનેક પ્રકારની વધારાની સુવિધાઓ મળે છે જેના માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. જ્યારે તમારું એકાઉન્ટ રેગ્યુલર થઈ જાય છે, ત્યારે તેના પર અનેક પ્રકારના ચાર્જ લાગવાના શરૂ થઇ જાય છે.
ઉદાહરણ તરીકે, સેલેરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવાની કોઈ શરત નથી હોતી. આ ખાતામાં ચેકબુક, એટીએમ ટ્રાન્ઝેક્શન અને ડિમાન્ડ ડ્રાફ્ટની વિશેષ સુવિધાઓ મળે છે. સેલેરી એકાઉન્ટ હોલ્ડરને બેંક કેટલીક સસ્તી અને સરળ શરતોએ લોન પણ આપે છે.
સેલેરી એકાઉન્ટ ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. જો તેમાં ત્રણ મહિના સુધી પગાર જમા ન થાય તો તે બચત ખાતાની શ્રેણીમાં આવે છે. નિયમો હેઠળ, સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં એક મંથલી એવરેજ બેલેન્સ રાખવું પડે છે જે લઘુત્તમ 500 રૂપિયાથી લઇને 10 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. ન્યૂનતમ રકમ જમા ન થાય, તો બેંક પોતાની પોલિસી મુજબ તમારા ખાતામાંથી પૈસા કાપવાનું શરૂ કરી દે છે. આ રકમ પ્રતિ ક્વાર્ટર 250 થી 750 રૂપિયા સુધીની હોઇ શકે છે.
જો કે બેંક ખાતું ખોલાવવા માટે કોઈ અલગથી ચાર્જ નથી લાગતો પરંતુ ઘણી બેંકો તેમના ડેબિટ કાર્ડ પર ફી વસૂલે છે. આ ફી વાર્ષિક 100 થી 1000 રૂપિયા સુધીની હોય છે. જો તમે તમારું એકાઉન્ટ વાપરતા ન હોવ તો પણ તમારે ડેબિટ કાર્ડ ફી તો ચૂકવવી જ પડશે. બેંકો તમારા ફોન પર SMS મોકલવા માટે પણ ચાર્જ લે છે જે પ્રતિ ક્વાર્ટર 45 રૂપિયા સુધી હોઈ શકે છે. આ રકમ પર અલગથી 18 ટકા GST વસૂલવામાં આવે છે.
આ રીતે બેંક તમારા ખાતામાંથી વિવિધ સેવાઓ માટે પૈસા કાપતી રહે છે. જ્યારે ખાતામાં જમા રકમ શૂન્ય થઈ જાય તો પણ કપાતનો સિલસિલો સમાપ્ત નથી થતો. તમારા પર પેનલ્ટી પર પેનલ્ટી ઉમેરાતી રહે છે. આ રકમ જમા નહીં કરાવાવા પર બેંક તમને ડિફોલ્ટર જાહેર કરી શકે છે. જો આવી સ્થિતિ સર્જાય છે, તો તમારો CIBIL રેકોર્ડ ખરાબ થઇ શકે છે.
જો કે આરબીઆઇના નિયમો અનુસાર બચત ખાતામાં બેલેન્સ શૂન્ય થઇ ગયા બાદ બેંકોએ પેનલ્ટી ન લગાવવી જોઇએ. જો બેંક ઝીરો બેલેન્સ બાદ પણ પેનલ્ટી લગાવે છે તો તમે આરબીઆઇની વેબસાઇટ પર જઇને તેની ફરિયાદ કરી શકો છો.
જો તમે તમારા બેંક ખાતામાં સતત 12 મહિના સુધી કોઇ ટ્રાન્ઝેક્શન નથી કરતા તો બેંક તમારા એકાઉન્ટને ઇનએક્ટિવ ગણી લેશે. જો તેમાં આગામી 12 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થાય તો આ એકાઉન્ટ ડોર્મેટ એકાઉન્ટની કેટેગરીમાં આવી જશે. જો કે ઇનએક્ટિવ ખાતાઓમાં બેંક લેવડદેવડ કરવાની ના નથી પાડતી, પરંતુ કોઇ ડોર્મેટ એકાઉન્ટથી તમે નેટ બેંકિંગ, એટીએમ ટ્રાન્ઝેક્શન અથવા મોબાઇલ બેંકિંગ નહીં કરી શકો. બેંક તમને ડેબિટ કાર્ડ, ચેકબુક અને સરનામું બદલવાની ના પણ પાડી શકે છે.
સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર પૂજા ભીંડે કહે છે કે જો તમારા બેંક ખાતામાં સેલેરી આવવાની બંધ થઈ છે તો તેની સમીક્ષા કરો. સૌ પ્રથમ તો બેંકમાંથી જાણી લો કે તમારે ક્યારે અને કેટલું મિનિમમ બેલેન્સ જાળવવું પડશે. સેલેરી એકાઉન્ટના સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટમાં કન્વર્ટ થવા પર કેવા કેવા ચાર્જ ભરવા પડશે. તેનો રિવ્યૂ કર્યા બાદ નક્કી કરો કે તમારે આ એકાઉન્ટ ચાલુ રાખવું છે કે નહીં. જો તમારા બેંક ખાતા સાથે SIP અથવા NPS જેવા રોકાણો જોડાયેલા છે તો ખાતાને ચાલુ રાખી શકો છો..પરંતુ મિનિમમ બેલેન્સ જાળવી રાખો. જો તમારી પાસે એક કરતા વધુ બેંક એકાઉન્ટ છે તો બિન-જરૂરી એકાઉન્ટને બંધ કરાવી દો.
આ રીતે, બેંક ખાતા પર પેનલ્ટીથી બચવા માટે તમારા બેંક ખાતાઓ પર નજર રાખો. જો તમે નોકરી બદલી રહ્યા છો અથવા કોઇ બીજા શહેરમાં જઈ રહ્યા છો, તો તમારા જૂના બેંક ખાતામાં બેલેન્સ જાળવી રાખો. જો તમારી પાસે એકથી વધુ બેંક ખાતા હોય, તો તેની સમીક્ષા કરો. જે ખાતા જરૂરી નથી તે બંધ કરો. જરૂરિયાત કરતાં વધુ બેંક ખાતા રાખવાનો કોઈ અર્થ નથી. આ પહેલ દ્વારા તમે અનેક પ્રકારની ચિંતાઓમાંથી મુક્તિ મેળવી શકો છો…તેથી જાગતા રહો અને નાણાકીય મોરચે સુરક્ષિત રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો