વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની બેઠકના પાંચમા દિવસે પણ કોઈ સહમતિ સાધી શકાય નથી. અબુ ધાબી ખાતે ચાલી રહેલી WTO મંત્રણામાં ભારત સામે આક્ષેપો અને ટિપ્પણી કરવા બદલ થાઈલેન્ડના રાજદૂતે આકરી કિંમત ચૂકવવી પડી છે. વાટાઘાટ દરમિયાન ભારત સામે શાબ્દિક પ્રહારો કરવા બદલ થાઈલેન્ડ સરકારે તેના એમ્બેસેડર પિમચાનોક વોંકોર્પોન પીટફિલ્ડને WTOમાંથી પાછા બોલાવી લીધા છે.
ભારત અને થાઈલેન્ડ વચ્ચે ઘર્ષણની આ ઘટના ત્યારે બની જ્યારે કૃષિ પર વાતચીત દરમિયાન થાઈલેન્ડના એમ્બેસેડર પીટફિલ્ડે ખુલ્લેઆમ ભારત સામે આરોપ લગાવ્યો હતો. થાઈલેન્ડે કહ્યું કે ભારત જાહેર વિતરણ વ્યવસ્થામાંથી સબસિડી પર અનાજ ખરીદે છે અને પછી તેની નિકાસ કરે છે. આ વિશ્વ વેપારના નિયમોની વિરુદ્ધ છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ નિવેદનના વિરોધમાં ભારતે થાઈલેન્ડના પ્રતિનિધિનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય પક્ષ હવે થાઈલેન્ડ હાજર હોય તેવી બેઠકોમાં ભાગ લઈ રહ્યું નથી. વિવાદ એટલો વધી ગયો કે હવે થાઈલેન્ડે પોતાના રાજદૂતને પાછા બોલાવવા પડ્યા છે.
WTOની બેઠક કૃષિ સબસિડી અને ખાદ્ય સુરક્ષાને લઈને બે ફાંટા પડી ગયા છે. પીટફિલ્ડના નિવેદનને અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ આવકાર્યું હતું. આ એ જ દેશો છે જે કૃષિ બાબતો પર ભારતના પ્રસ્તાવનો અવરોધ કરે છે. એક વર્ગ આ દરખાસ્તની તરફેણમાં છે જ્યારે વિકસિત દેશોના સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે.
ભારત ઇચ્છે છે કે ખાદ્ય સુરક્ષા માટે કૃષિ સબસિડી નક્કી કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અને આધાર વર્ષ અને મૂલ્યાંકન માટે નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે. ભારત ઈચ્છે છે કે આ મુદ્દાનો કાયમી ઉકેલ શોધવો જોઈએ અને વિકાસશીલ દેશો તેમના ખેડૂતોને મદદ કરી શકે. વિકસીત દેશમાં આ બાબતે કોઈ છૂટ આપવા પર સહમતિ નથી, વિરોધનો અવાજ તીખો છે અને સંમતિની આશા ઓછી જણાઈ રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો