MONEY9 GUJARATI:
દેશમાં ઘઉંના ભાવ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. અનાજ બજારોના ડીલર્સના જણાવ્યા પ્રમાણે, ઊંચી માંગ અને આગામી તહેવારોને કારણે મંગળવારે ઘઉંની કિંમત છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. સરકાર ઘઉંની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે મથામણ કરી રહી છે, પરંતુ આ મોરચે હજુ ધારી સફળતા મળી નથી. સરકાર ઘઉંની આયાત પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટી હળવી કરવા અંગે વિચારી રહી છે અને હવે આ દિશામાં સક્રિય થઈને નિર્ણય જાહેર કરે તેવી શક્યતા વધી ગઈ છે.
ખાદ્ય ચીજોમાં મોંઘા થવાની રેસ
લાગે છે કે, ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘા થવાની રેસ લાગી છે. શાકભાજી અને ખાસ તો ટામેટાંના ભાવ રેકોર્ડ બનાવી રહ્યાં છે. મસાલામાં પણ આગઝરતી તેજી છે અને ખાસ તો જીરું રેકોર્ડ બનાવી રહ્યું છે. હળદરથી લઈને ધાણા મોંઘા થઈ ગયા છે. દાળની વાત કરીએ તો, તુવેર, મગ અને અડદના ભાવ સતત ઊંચા સ્તરે જળવાઈ રહ્યાં છે. દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ફુગાવાનો દર પણ ઊંચા સ્તરે છે. અનાજની વાત કરીએ તો, ઘઉંની સાથે સાથે ચોખા અને મકાઈ પણ મોંઘી થઈ ગઈ છે. આમ, એકંદરે ખાણીપીણીની મોંઘવારી દેશનાં લોકોને પરેશાન કરી રહી છે. જૂન મહિનાની સરખામણીએ જુલાઈમાં ખાવાની થાળી 28 ટકા મોંઘી થઈ ગઈ છે.
ઘઉંના ભાવ ક્યાં પહોંચ્યા? નવી દિલ્હીના એક વેપારીના જણાવ્યા પ્રમાણે, દેશમાં ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ખેડૂતો તરફથી મળતો સપ્લાય લગભગ અટકી ગયો છે. મિલમાલિકોને બજારમાંથી ઘઉંનો પૂરતો જથ્થો મળવાનું બંધ થઈ ગયું છે. આમ સપ્લાય અને ડિમાન્ડનું બેલેન્સ બગડ્યું હોવાથી ઘઉંના માર્કેટમાં તેજીનો વાયરો ફૂંકાયો છે. મધ્ય પ્રદેશનાં ઈન્દોરમાં 8 ઓગસ્ટ, મંગળવારે ઘઉંની કિંમત પ્રતિ મેટ્રિક ટન 1.5 ટકા વધીને રૂ.25,446 (307.33 ડૉલર) નોંધાઈ હતી, જે 10 ફેબ્રુઆરી પછીનું સૌથી ઊંચું સ્તર છે. છેલ્લાં ચાર મહિનામાં ઘઉંના ભાવ લગભગ 18 ટકા વધ્યા છે. ઘઉં મોંઘા થવાથી ઘઉંનો લોટ, ઘઉંમાંથી બનતી રોટલી, બ્રેડ, બિસ્કિટ સહિતની કિંમત પર અસર પડશે.
કેટલી છે ઈમ્પોર્ટ ડ્યૂટી? સરકાર દેશમાં ઘઉંનો સપ્લાય વધારવા માટે અન્ય દેશોમાંથી ઘઉંની આયાત કરી શકે છે અને તેના માટે ગવર્મેન્ટ-ટુ-ગવર્મેન્ટ (G2G) વિકલ્પ અપનાવી શકે છે. આ ઉપરાંત દેશનાં વેપારીઓ અને ડીલર્સ ઘઉંની આયાત કરી શકે તે માટે ઘઉં પર લાગતી 40 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યૂટી ઓછી કરે તેવી પણ શક્યતા છે. આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણીઓ થવાની છે તેમજ કેટલાક મહત્ત્વનાં રાજ્યોમાં પણ ચૂંટણી આવી રહી છે, આથી સરકાર ઘઉંની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સક્રિય પગલાં ભરશે.
ફુગાવો નાથવાના પ્રયાસ પર પાણી ફરી વળશે? સરકાર અને રિઝર્વ બેન્ક બંને સાથે મળીને ખાદ્ય ફુગાવો અંકુશમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ ઘઉં, ચોખા, દાળ, દૂધ, શાકભાજી અને ખાસ તો ટામેટાં તથા ડુંગળીના વધતા ભાવને કારણે બંનેના પ્રયાસ નિષ્ફળ જવાના સંકેત મળી રહ્યાં છે. જૂન મહિનામાં છૂટક મોંઘવારીનો દર અગાઉના મહિનાની તુલનાએ વધીને 4.81 ટકાએ પહોંચ્યો હતો, જેની પાછળ ટામેટાંની મોંઘવારીનો મુખ્ય ફાળો હતો. અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે, ટામેટાંની મોંઘવારીની પૂરેપૂરી અસર જુલાઈ મહિનામાં પડી હતી અને આથી જુલાઈ મહિનામાં છૂટક મોંઘવારીનો દર 6 ટકાને પાર થઈ શકે છે, જે રિઝર્વ બેન્કના કમ્ફર્ટ ઝોનની બહાર છે.
ઘઉંની તંગી ઊભી થશે? તહેવારો દરમિયાન બજારમાં ઘઉંની તંગી હળવી કરવા માટે સરકાર તેની વખારોમાંથી ઘઉંનો જથ્થો ઓપન માર્કેટમાં છૂટો કરી શકે છે, એમ મુંબઈના એક ડીલરે જણાવ્યું હતું. 1 ઓગસ્ટ સુધીના આંકડા પ્રમાણે, સરકારના ગોડાઉનમાં 2.83 કરોડ મેટ્રિક ટન ઘઉંનો જથ્થો પડ્યો છે, જે વર્ષ પહેલાં 2.66 કરોડ મેટ્રિક ટન કરતાં વધારે છે. જોકે, માર્કેટમાં ઘઉંનો સપ્લાય વધારવો હોય તો સરકાર પાસે આયાત કર્યા વિના છૂટકો નથી, આયાત કરશે તો જ સપ્લાય વધશે અને ભાવ નીચે જશે, એમ ડીલર્સ જણાવે છે. સરકાર આયાત કર્યા વગર સપ્લાય નહીં વધારી શકે તેવી સ્થિતિ છે.
સરકારી અધિકારીએ શું કહ્યું? ગયા સપ્તાહે ભારતનાં ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, ઘઉંની આયાત પર ટેક્સ ઘટાડવાની અથવા તો દૂર કરવાની વિચારણા ચાલી રહી છે. સરકાર ઘઉંની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે કટિબદ્ધ છે. સરકાર સ્ટોક મિલર્સ અને ટ્રેડર્સ પાસે ઘઉંનો જથ્થો રાખવાના નિયમમાં પણ છૂટછાટ આપવા અંગે વિચારી રહી છે.
2017-18માં કરી હતી આયાત ઉલ્લેખનીય છે કે, ભારતે છેલ્લે 2017-18માં ઘઉંના મોટા જથ્થાની આયાત કરી હતી. ઘઉંની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સરકારે 31 માર્ચ 2024 સુધી ઘઉંના સ્ટૉક પર લિમિટ લગાવી છે. છેલ્લાં 15 વર્ષમાં પહેલીવાર સરકારે ઘઉંના સ્ટૉક પર લિમિટ લગાવી છે. દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘઉંની સ્ટૉક લિમિટનો આદેશ અમલમાં છે. સ્ટૉક લિમિટના આદેશ અનુસાર, વેપારીઓ અને જથ્થાબંધ ખેલાડીઓ 3,000 મેટ્રિક ટન, રિટેલ આઉટલેટના છૂટક વેપારીઓ 10 મેટ્રિક ટન અને મોટી ચેઈનના રિટેલર્સ 10 મેટ્રિક ટન ઘઉં રાખી શકે છે. આ ઉપરાંત, રિટેલ ચેઈનના તમામ આઉટલેટ પર 3,000 મેટ્રિક ટન ઘઉં રાખવાની છૂટ છે.
કઠોળની જેમ ઘઉંની આયાત
મોઝામ્બિકમાંથી તુવેર અને અડદની દાળની આયાત બેરોકટોક ચાલુ રહેશે. સરકારે 31 માર્ચ 2024 સુધી કોઇપણ જાતના પ્રતિબંધ વગર તુવેર અને અડદ દાળની આયાતને મંજૂરી આપી છે. ફ્રી કેટેગરીમાં તેની આયાત ચાલુ રહેશે. મોઝામ્બિકથી ભારતમાં 2 લાખ ટન તુવેરની ખરીદી સુનિશ્ચિત કરવામાં આવી છે. દેશમાં કઠોળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકારે તુવેરની આયાત પર 10 ટકાની ડ્યુટી પણ હટાવી દીધી છે. ભારતે રશિયાથી મસૂરની દાળની આયાત પણ શરૂ કરી દીધી છે અને ઘઉંની આયાત કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે.
ખરેખર કેટલું થયું ઉત્પાદન?
ભારતમાં વર્ષે 10.8 કરોડ ટન ઘઉંની ખપત થાય છે. 2023માં દેશમાં ઘઉંનું ઉત્પાદન વધીને 11.274 કરોડ ટનના વિક્રમ સ્તરે પહોંચ્યું હતું. 2022માં દેશમાં 10.77 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું, જેની સામે 2023માં તે વધીને વિક્રમ સ્તરે પહોંચ્યું હતું, એમ સરકારના કૃષિ મંત્રાલયે જણાવ્યું છે. પરંતુ ઘઉંના વેપારીઓનાં જૂથનું કહેવું છે કે, 2023માં ભારતમાં ઘઉંનું ઉત્પાદન સરકારના અંદાજ કરતાં ઓછામાં ઓછું 10 ટકા નીચું હતું.
અલ નીનોની બીક
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અલ નીનોની અસર ઓગસ્ટ બાદ શરૂ થઈ જશે અને આગામી બેથી ત્રણ વર્ષ સુધી તેની અસર જોવા મળશે. જો અલ નીનોને લીધે તાપમાન વધશે અને હીટવેવ આકરી બનશે તો રવિ સીઝનમાં ઘઉંના ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે અને ક્વૉલિટી બગડી શકે છે. આ સંભવિત અસરને ધ્યાનમાં રાખીને સરકારે ઘઉંનો સ્ટોક વધારવા માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા પડશે.
સંબંધિત ખબરઃ ક્યાં ગયા 4 કરોડ ટન ઘઉં?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો