Money9 Gujarati:
સરકાર ઘઉંનો લોટ સસ્તો કરવાની તૈયારીમાં છે. તહેવારોમાં રાહત આપવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર લોટની કિંમત બે રૂપિયા ઘટાડી શકે છે. સરકારી બ્રાન્ડ ‘ભારત આટા’ની કિંમત 29.50 રૂપિયા છે, જે ઘટીને 27.50 રૂપિયા કરવાની વિચારણા ચાલી રહી છે. જો ઘઉંનો લોટ સસ્તો થશે તો તેમાંથી બનતી રોટલી, બ્રેડ, બિસ્કિટ સહિતની ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં પણ ઘટાડો થશે. અત્યારે તહેવારોને કારણે ઘરાકી હોવાથી માર્કેટમાં ખાદ્ય ચીજવસ્તુની માંગ વધી છે.
શું કરશે સરકાર?
સરકાર ઘઉંની કિંમતને અંકુશમાં રાખવા માટે વિવિધ પ્રકારનાં પગલાં ભરે છે અને લોટ સસ્તો કરવાનું પગલું પણ તેનો ભાગ છે. સરકાર લોટ સસ્તો કરીને કદાચ એવો સંદેશ આપવા માંગે છે કે જો વચેટિયાઓ અને હિતધારકો ઘઉંની મોંઘવારી ઘટાડવામાં મદદ નહીં કરે તો સરકાર આકરા પગલાં પણ ભરી શકે છે.
સરકારનો ઈરાદો પોતાના સેન્ટ્રલ પુલમાંથી 2,50,000 ટન ઘઉં તેની સેન્ટ્રલ વેરહાઉસિસ, નાફેડ, NCCF જેવી પોતાની એજન્સીઓ, સહકારી મંડળીઓ અને અર્ધ-સહકારી એજન્સીઓને આપશે અને તેમાંથી લોટ બનાવીને ભારત આટા બ્રાન્ડ હેઠળ વેચાણ કરવામાં આવશે. આ લોટનું વેચાણ ભારત આટા બ્રાન્ડના પેકેજિંગ હેઠળ થશે.
ઘઉંના લોટની મોંઘવારી
ઘઉંનો લોટ સતત મોંઘો થયો છે. અનબ્રાન્ડેડ ઘઉંનો લોટ 30 રૂપિયે કિલો મળતો હતો, પરંતુ 2023માં તેની સરેરાશ કિંમત 4.1 ટકા વધીને 35.84 રૂપિયા થઈ ગઈ છે. બજારમાં બ્રાન્ડેડ લોટનો ભાવ 40થી 45 રૂપિયા ચાલે છે. સરકારે ઘઉંની મોંઘવારીને અંકુશમાં લેવા માટે અત્યાર સુધીમાં ઓપન માર્કેટમાં 30 લાખ ટન ઘઉંનું વેચાણ પણ કર્યું છે અને આગામી માર્ચ સુધીમાં ઓપન માર્કેટમાં વધુ 100 લાખ ટન ઘઉં વેચવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ઘઉંનો સપ્લાય હંમેશાની જેમ પ્રતિ કિલો 21.50 રૂપિયાના ભાવે કરવામાં આવશે અને ઘઉંમાંથી લોટ બનાવીને પેકેજિંગ સુધીનું કામ પોતાની એજન્સીઓ પાસે 5 રૂપિયા પ્રતિ કિલો માર્જિન પર મર્યાદિત રાખશે. સામાન્ટ રીતે, મહિને 2,500થી 3,000 ટનની મિલિંગ કેપેસિટી ધરાવતી મોટા કદની મિલોને ઘઉંમાંથી એક કિલો લોટ બનાવવા પાછળ 1.80 રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે નાની મિલોનો આ ખર્ચ પ્રતિ કિલો 2.50 રૂપિયા થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો