Money9 Gujarati:
નવરાત્રિ અને દિવાળી જેવા મુખ્ય તહેવારોમાં ઘઉંની માંગ વધી ગઈ છે. ઘઉંનો પુરવઠો મર્યાદિત છે એટલે ભાવમાં તેજીતરફી વલણ છે. ઓછામાં પૂરું સરકારે ઘઉં પર ઈમ્પોર્ટ ડ્યૂટી લાદીને લોટ બનાવતી મિલો માટે વિદેશમાંથી ખરીદી મોંઘી અને અવ્યવહારુ બનાવી દીધી છે, જેના કારણે ઘઉંની કિંમત વધી રહી છે. 17 ઓક્ટોબર, મંગળવારના રોજ ઘઉંની કિંમત 8 મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગઈ હતી. ઘઉંના ભાવ વધવાથી ખાદ્ય મોંઘવારી તહેવારોમાં પરેશાન કરી શકે છે. ઘઉંની સાથે સાથે ઘઉંનો લોટ, ઘઉંમાંથી બનતા બિસ્કિટ અને બ્રેડ પણ મોંઘા થવાની બીક છે.
ઘઉં કેટલા મોંઘા થયા?
ઘઉંની મોંઘવારી પર અંકુશ મેળવવા સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશનાં પાટનગર દિલ્હીમાં 17 ઓક્ટોબરે ઘઉંની કિંમત 1.6 ટકા વધીને પ્રતિ ટન 27,390 રૂપિયાએ પહોંચી ગઈ હતી, જે 10 ફેબ્રુઆરી પછીનું સૌથી ઊંચું સ્તર છે. છેલ્લાં છ મહિનામાં ઘઉં 22 ટકા મોંઘા થયા છે. રોલર ફ્લૉર મિલર્સ ફેડરેશનના પ્રમુખ પ્રમોદ કુમાર એસ જણાવે છે કે, તહેવારોમાં ઘરાકી નીકળી છે, માંગ વધી છે આથી કિંમતને ટેકો મળ્યો છે અને ભાવ ઊંચકાયા છે. ઘઉંની કિંમતને ઘટાડવા માટે સરકારે વેરામુક્ત આયાતની છૂટ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ખાદ્ય મંત્રાલયે ગયા મહિને જણાવ્યું હતું કે, ઘઉંની આયાત પર લાગતી 40 ટકા ડ્યૂટી હટાવવાની અત્યારે કોઈ યોજના નથી.
ઓક્ટોબરમાં દિલ્હીમાં ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 140 રૂપિયા વધ્યા છે. ઓક્ટોબરની શરૂઆતમાં ભાવ 2,598 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. રિટેલ માર્કેટની વાત કરીએ તો, તેમાં પણ ઘઉંના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગ્રાહક વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિના દરમિયાન દેશમાં ઘઉંની સરેરાશ છૂટક કિંમત પ્રતિ કિલો 2 રૂપિયા વધીને 30 રૂપિયાને પાર થઈ ગઈ છે. મિલવાળાને ઘઉં મોંઘા ભાવે મળી રહ્યાં છે, એટલે ઘઉંનો લોટ પણ મોંઘો થશે.
સરકાર પાસે કેટલા ઘઉં છે?
સરકારને અંદાજ છે કે, 2023માં ઘઉંનું ઉત્પાદન વધીને 112.74 મિલિયન મેટ્રિક ટનના રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. સરકારી ગોદામોમાં 1 ઓક્ટોબર સુધીના જથ્થાના આંકડા ચકાસીએ તો માલૂમ પડે છે કે, ઘઉંનો 2.4 કરોડ ટન જથ્થો પડ્યો છે, જે છેલ્લાં પાંચ વર્ષની 3.77 કરોડ ટનની તુલનાએ ઘણો ઓછો છે. ફિલિપ કેપિટલ ઈન્ડિયા પ્રા. લિ.ના કોમોડિટી રિસર્ચના પ્રમુખ અશ્ચિની બંસોડ કહે છે કે, આયાત પર અંકુશ હોવાથી અને સરકારે ટાર્ગેટ કરતાં ઓછી ખરીદી કરી હોવાથી સ્થાનિક સ્તરે ઘઉંની કિંમત વધી રહી છે. કેન્દ્ર સરકારે 2023માં 34.15 મિલિયન ટનની તુલનાએ ખેડૂતો પાસેથી માત્ર 26.2 મિલિયન ટન ઘઉં ખરીદ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે અલ નીનોનો ખતરો તોળાઈ રહ્યો છે અને બજાર તેના પર ચાંપતી નજર રાખીને બેઠું છે. અલ નીનોને કારણે શિયાળાની ઠંડીમાં તાપમાન સામાન્ય લેવલથી ઉપર રહેવાની ધારણા છે. અલ નીનોની અસર છેક માર્ચ કે એપ્રિલ સુધી લંબાઈ શકે છે. જો તાપમાન વધશે તો ઘઉંના પાકને નુકસાન પહોંચશે અને તેના કારણે કિંમતમાં જોરદાર ઉછાળો આવી શકે છે.
દિલ્હીવાળાને તેજીમાં રસ
દિલ્હીના બજારોમાં મોટા ભાગનો વર્ગ તેજીમાં છે. આગામી દિવસોમાં ઘઉંમાં કેવી વેચવાલી આવે છે તેનાં ઉપર બધો આધાર રહેલો છે, એમ દિલ્હીના વેપારીઓ જણાવે છે. દિલ્હી સાઈડના પટ્ટામાં અત્યારે ઘઉંની વેચવાલી સાવ ઘટી ગઈ છે અને સરકારી માલ ઉપર જ આધાર રાખવો પડે તેમ હોવાથી દિલ્હીવાળા વેપારીઓ તો ઘઉંમાં ટૂંકા ગાળામાં 100 રૂપિયાની તેજીની વાતો કરી રહ્યાં છે.
અમદાવાદ, સુરતના બજાર
અમદાવાદમાં મિલવાળાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 2,690થી 2,720 રૂપિયા જ્યારે વડોદરમાં 2,740થી 2,750 રૂપિયા ભાવ ચાલે છે. સુરતના બજારમાં ઘઉંની કિંમત 2,780 રૂપિયા બોલાઈ રહી છે.
સૌરાષ્ટ્રના બજાર
રાજકોટ યાર્ડમાં અંદાજે 1,500 બોરીની આવક નોંધાઈ છે અને મિલબર ક્વૉલિટીના ઘઉં પ્રતિ મણ 495થી 506 રૂપિયામાં અને સારી ક્વૉલિટીના ઘઉં 525થી 560 રૂપિયામાં વેચાયા છે. એવરેજ ભાવ 506થી 525 રૂપિયા રહ્યો છે. ગોંડલમાં ઘઉંની 1,300 ગુણીની આવક થઈ છે અને લોકવનના ભાવ પ્રતિ કિલો 494 રૂપિયાથી 591 રૂપિયા જ્યારે ટૂકડામાં 480થી 670 રૂપિયાના ભાવ બોલાયા છે. બિયારણ ક્વોલિટીના ભાવ 550થી 670 રૂપિયા છે. મતનગરમાં ઘઉંની 400 બોરીની આવક નોંધાઈ હતી અને ભાવ મિલબરનાં 505થી 510, મિડીયમ ક્વોલિટીના 520થી 550 અને સારી ક્વૉલિટી હોય તો 600 રૂપિયા સુધીનાં ભાવ મળ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો