Money9 Gujarati: અદાણી ગ્રૂપ ભંડોળ મેળવવા માટે દેશ-વિદેશનાં રોકાણકારોનો સંપર્ક સાધી રહ્યું છે. બેન્કો પાસેથી હાલ તો લોન મળે તેવા કોઈ સંકેત મળ્યાં નથી, આથી અદાણી ગ્રૂપ હિસ્સો વેચીને ભંડોળ મેળવી રહ્યું છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો તે પહેલાં અદાણીને નીચા વ્યાજ દરે પૈસા મળી જતા હતા, પરંતુ હવે ગ્રૂપને વધારે વ્યાજ દર ચૂકવવાનો વારો આવ્યો છે. અદાણી ગ્રૂપે તેની નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની અદાણી કેપિટલ (Adani Capital)ને વેચવા માટે પણ સક્રિય પ્રયાસ હાથ ધર્યાં છે.
રૂપી બૉન્ડ માર્કેટમાં પુનઃપ્રવેશ છેલ્લાં કેટલાક વર્ષોથી ઈન્ટરનેશનલ બેન્કો અને બોન્ડ માર્કેટમાંથી ફંડની વ્યવસ્થા કરી રહેલાં અદાણી ગ્રૂપે હવે ભારતનાં કૉર્પોરેટ બૉન્ડ માર્કેટમાં પુનઃપ્રવેશ કર્યો છે. ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે (Adani Enterprises Ltd) ત્રણ-વર્ષના રૂપી બૉન્ડ્સ દ્વારા 1,250 કરોડ ઉપાડ્યા છે. વાર્ષિક 10 ટકા કૂપન રેટ પર અદાણીને આ ફંડ મળ્યું છે. જાન્યુઆરીમાં અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારબાદ પહેલીવાર અદાણી ગ્રૂપે ભારતનાં કોર્પોરેટ બૉન્ડ માર્કેટમાંથી ભંડોળ મેળવ્યું છે.
10% કૂપન પર મળ્યું ભંડોળ અદાણી એન્ટરપ્રાઈઝિસે મંગળવારે જણાવ્યું હતું કે, પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સની ફાળવણી કરીને રૂ.1,250 કરોડ એકત્ર કર્યાં છે. ન્યૂઝ એજન્સી Reutersના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નેશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, અદાણી એન્ટરપ્રાઈઝિસે મંગળવારે ત્રણ વર્ષના બૉન્ડ્સ વેચીને રૂ.1,250 કરોડ એકત્ર કર્યાં હતા, જેના માટે 10 ટકા વાર્ષિક કૂપન ચૂકવવામાં આવશે. 24મી જાન્યુઆરીએ અમેરિકા સ્થિત હિન્ડનબર્ગે અદાણી ગ્રૂપ સામે વિવિધ આરોપો લગાવતો રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેને પગલે અદાણી ગ્રૂપની કંપનીઓનાં શેર્સમાં મોટાં ગાબડાં પડ્યા હતા. આ રિપોર્ટ બાદ બૉન્ડ માર્કેટમાં અદાણી ગ્રૂપની શાખ પર ડાઘ લાગી ગયો છે અને આથી, ભંડોળ માટે વધારે રેટ ચૂકવવાનો વારો આવ્યો છે.
સરકારી બૉન્ડ યીલ્ડ કરતાં 3% સ્પ્રેડ ભંડોળ માટે અદાણીએ ચૂકવેલી 10 ટકાની યીલ્ડ સરકારી બૉન્ડ યીલ્ડ કરતાં લગભગ 3 ટકા વધારે છે. સરકારી બૉન્ડમાં અર્ધ-વાર્ષિક યીલ્ડ ચૂકવવામાં આવે છે, જેની સામે અદાણીએ વાર્ષિક ધોરણે ચૂકવણી કરવાની છે. અગાઉ અદાણીએ સપ્ટેમ્બર 2022માં 8.4 ટકાની યીલ્ડ પર 17 મહિના માટે બૉન્ડ ઈશ્યૂ કરીને ફંડની વ્યવસ્થા કરી હતી, તે વખતે અદાણીએ ચૂકવેલી યીલ્ડ સરકારી બૉન્ડ યીલ્ડ કરતાં 1.4 ટકા વધારે હતી, જેની સામે અત્યારે 3 ટકા વધારે છે. જાન્યુઆરીમાં હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો તેની પહેલાં સેકન્ડરી માર્કેટમાં અદાણી એન્ટરપ્રાઈઝિસના બૉન્ડ્સ 9.05 ટકાની યીલ્ડ પર ટ્રેડ થતા હતા, જે સમાન સરકારી બૉન્ડ યીલ્ડ્સ કરતાં 2.1 ટકા વધારે હતી.
ગીરવે મૂક્યા શેર્સ અદાણી એન્ટરપ્રાઈઝિસે અદાણી રોડ ટ્રાન્સપોર્ટના 21.4 ટકા શેર્સ ગીરવે મૂકીને નવી ઉધારી કરી છે. તેણે સપ્ટેમ્બરનાં બૉન્ડ ઈશ્યૂમાં અદાણી રોડ ટ્રાન્સપોર્ટના 1.95 ટકા શેર ગીરવે મૂક્યા હોવાની માહિતી NSDLના ડેટા પરથી મળે છે. રેટિંગ વગરનો બૉન્ડ ઈશ્યૂ મંગળવારે ખુલ્યો હતો અને બંધ થયો હતો. સામાન્ય રીતે બૉન્ડ ઈશ્યૂ માટે મર્ચન્ટ બેન્કર્સ મારફતે ફંડ મેળવવામાં આવે છે, પરંતુ અદાણીએ તેમને સાઈડમાં રાખીને રોકાણકારોનો સીધો સંપર્ક કર્યો હતો. તેના બૉન્ડને ફેમિલી ઑફિસોએ, કેટલાક કોર્પોરેટ હાઉસે અને ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સે સબ્સક્રાઈબ કર્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝિસના વર્તમાન આઉટસ્ટેન્ડિંગ બૉન્ડ્સ કેર રેટિંગ્સનું A+ રેટિંગ ધરાવે છે જ્યારે ઈન્ડિયા રેટિંગ્સે અદાણીના સૂચિત પબ્લિક ઈશ્યૂને A+ રેટિંગ આપેલું છે, પરંતુ આ ઈશ્યૂ હજુ લૉન્ચ થયો નથી. અદાણી ગ્રૂપમાં અમેરિકાના GQG પાર્ટનર્સે મોટા પાયે શેર્સ ખરીદ્યા છે અને તેણે તગડા ડિસ્કાઉન્ટ ભાવે ખરીદી કરી છે.
અદાણી કેપિટલ વેચવા કાઢી અદાણી ગ્રૂપની નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની અદાણી કેપિટલ (Adani Capital)ને ખરીદવા માટે ત્રણ પ્રાઈવેટ ઈક્વિટી કંપની બિડ કરવા માટે તૈયાર થઈ છે. અદાણી ગ્રૂપ આ કંપનીને તાત્કાલિક ધોરણે વેચવા માંગે છે. અદાણી ગ્રૂપની આ NBFCને ખરીદવા માટે Bain Capital, Carlyle Group, Cerberus Capital Management દ્વારા બિડ કરવામાં આવે તેવી શક્યતા છે. અદાણી ગ્રૂપે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેણે છેલ્લાં 4 વર્ષમાં અલગ-અલગ વિકલ્પો અપનાવીને લગભગ 9 અબજ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો