Money9 Gujarati:
ગુજરાતભરમાં જાણીતી બાલાજી વેફર્સ દેશની મહાકાય કંપનીઓને હંફાવી રહી છે. માત્ર અમુક રાજ્યોમાં વેચાણ કરતી બાલાજી વેફર્સે સમગ્ર દેશમાં બિઝનેસ કરતી મોટી-મોટી કંપનીઓની તુલનાએ વેચાણમાં ઝડપી વૃદ્ધિદર હાંસલ કર્યો છે. રાજકોટ સ્થિત બાલાજી વેફર્સે નાણાકીય વર્ષ 2022-23માં 5,010 કરોડ રૂપિયાનું વેચાણ નોંધાવ્યું છે. 2021-22માં કંપનીએ 4,034 કરોડ રૂપિયાનું વેચાણ નોંધાવ્યું હતું. આમ, બાલાજી વેફર્સે વેચાણમાં 24 ટકા જેટલો ઊંચો વૃદ્ધિદર હાંસલ કરીને હરીફ કંપનીઓને ચિંતામાં નાખી દીધી છે.
એટલું જ નહીં, બાલાજી વેફર્સે ફૂડ માર્કેટના મોટા ખેલાડી હલ્દીરામ અને પેપ્સિકોને પણ હરાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલમાં ભારતનું ખારા નાસ્તાનું બજાર 43,800 કરોડ રૂપિયાનું છે, જેમાં હલ્દીરામનો હિસ્સો 21 ટકા અને પેપ્સિકોનો હિસ્સો 15 ટકા છે, જ્યારે બાલાજીનો હિસ્સો 12 ટકા છે.
બાલાજી વેફર્સે માર્ચ 2023માં પૂરા થયેલા વર્ષમાં 5,000 કરોડ રૂપિયાના વાર્ષિક વેચાણનો આંકડો પાર કર્યો હતો. આ વર્ષમાં ડોમિનોઝ અને ડંકિન ડોનટ્સનું વેચાણ 5,158 કરોડ રૂપિયા રહ્યું હતું, જ્યારે નેસ્લેનું વાર્ષિક વેચાણ 5,300 કરોડ રૂપિયા નોંધાયું હતું. નાણાકીય વર્ષ 2022-2023માં કંપનીનો ચોખ્ખો નફો વધીને 409 કરોડ રૂપિયા થયો હતો જે ગયા વર્ષે 7.2 કરોડ હતો.
રસપ્રદ વાત એ છે કે કંપની માત્ર અમુક રાજ્યોમાં વેચાણ દ્વારા આટલી આવક અને નફો રળે છે જ્યારે હરીફ કંપનીઓ સમગ્ર દેશમાં હાજરી ધરાવતી હોવા છતાં આટલી આવક રળે છે. બાલાજી એક ડઝનથી પણ ઓછા રાજ્યોમાં બટાકાની ચિપ્સ, ભુજિયા અને નમકીન વેચે છે. તે મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પશ્ચિમી રાજ્યોમાં બિઝનેસ કરે છે. અહીંના સંગઠિત બજારમાં તેનો હિસ્સો લગભગ 65 ટકા છે.
કંપની કહે છે કે તેમનો નફો હંમેશા કુલ વેચાણના 8-9 ટકા જેટલો હતો, પરંતુ કોવિડ રોગચાળાના બે વર્ષ એવા હતા જ્યારે કંપનીએ મુખ્ય કાચો માલ અને લોજિસ્ટિક્સ ખર્ચ બમણા થવા છતાં ભાવમાં વધારો કર્યો ન હતો, જેના પરિણામે કંપનીનું માર્જિન ઝીરો થઈ ગયું હતું. નાણાકીય વર્ષ 2023માં નફો સામાન્ય થયો હતો, કારણ કે ખાદ્યપદાર્થોના ભાવ લગભગ અડધા થઈ ગયા હતા જ્યારે અન્ય ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો થયો છે.
નાણાકીય વર્ષ 2022માં સ્પર્ધાના કારણે ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેમાં ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓને દૂર કરવા પડ્યા હતા, જેના કારણે ગયા વર્ષે કર્મચારીઓ પાછળ થતો ખર્ચ ઘટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બાલાજી વેફર્સ કંપનીની સ્થાપના 1982માં ચંદુભાઈ વિરાણીએ તેમના બે ભાઈ ભીખુભાઈ અને કનુભાઈ સાથે મળીને કરી હતી.
80ના દાયકામાં રાજકોટના થિએટરમાં નાસ્તાનું વેચાણ કરવાથી શરૂ થયેલી સફર આજે 5,000 કરોડની કંપની સુધી પહોંચી છે. કોવિડ પછી બાલાજી વેફર્સનું વેચાણ બમણું થઈ ગયું છે. કંપનીએ માત્ર એક બ્રાન્ડના જોરે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે.
બાલાજી હવે પેપ્સિકોની કોઈપણ બ્રાન્ડથી મોટી છે જેમાં લેયસ અને કુરકુરેનો સમાવેશ થાય છે. બાલાજીની સફળતા પાછળનું કારણ તેની ઓછી કિંમત છે. ઉદાહરણ તરીકે, બાલાજીના નમકીન પોટેટો ચિપ્સના 10 રૂપિયાના પેકનું વજન 35 ગ્રામ છે, જ્યારે પેપ્સિકો લેય્સનું આટલી જ કિંમતનું વજન 23 ગ્રામ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો