Money9 Gujarati:
લોકસભા ચૂંટણી પહેલા કામદારોના દિલ જીતવા માટે સરકારે તેમના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મનરેગા કામદારોના વેતન દરમાં 3-10 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. નવા પગાર દરો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. આ અંગે સરકારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. ગુજરાતમાં 256 રૂપિયા વેતન મળતું હતું, જે હવે વધારીને 280 રૂપિયા કરવામાં આવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ફુગાવાનો દર જાણવા માટે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ – એગ્રીકલ્ચર લેબર (CPI-AL)નો ઉપયોગ થાય છે અને તેમાં થતા ફેરફારના આધારે અત્યારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ (MGNREGA)ના વેતન નક્કી કરવામાં આવે છે. લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ છે, તેથી ગ્રામીણ વિકાસ મંત્રાલયે નવા વેતન દરો લાગુ કરવા માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગી હતી, ત્યારબાદ જ આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. મનરેગા વેતનમાં છેલ્લો સુધારો 24 માર્ચ, 2023ના રોજ કરવામાં આવ્યો હતો. તે સમયે વિવિધ રાજ્યોમાં વેતન દરમાં 2થી 10 ટકાનો વધારો થયો હતો.
સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2023-24ની સરખામણીમાં 2024-25માં વેતન દરમાં ઓછામાં ઓછો 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગોવામાં મહત્તમ 10.6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ, ગોવાના કામદારોને સૌથી વધુ ફાયદો થશે. પહેલા તેને રોજના 322 રૂપિયા મળતા હતા જે હવે વધીને 356 રૂપિયા થઈ ગયા છે. કર્ણાટકમાં મનરેગાના વેતનનો દર વધીને 349 રૂપિયા થયો છે, જે અગાઉ 316 રૂપિયા પ્રતિ દિવસ હતો. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મનરેગા કામદારોનો વેતન દર 221 રૂપિયાથી વધારીને 243 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કામ કરતા મજૂરોનું દૈનિક વેતન 230 રૂપિયાથી વધારીને 237 રૂપિયા કરવામાં આવ્યું છે. હરિયાણા, આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, રાજસ્થાન, કેરળ અને લક્ષદ્વીપમાં મનરેગા કામદારોના વેતનમાં 7 ટકાનો વધારો થયો છે. પહેલા તેમને રોજના 267 રૂપિયા મળતા હતા જે હવે વધીને 285 રૂપિયા થઈ ગયા છે.
આ વર્ષની શરૂઆતમાં સંસદમાં રજૂ કરાયેલા અહેવાલમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પરની સંસદીય સ્થાયી સમિતિએ રાજ્યોમાં મનરેગાના વેતનમાં વધારો કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કામદારોનું વેતન અપૂરતું છે અને વધતી મોંઘવારી પ્રમાણે જીવન જીવવા માટે પૂરતું નથી. પેનલે અનુપ સત્પથી કમિટીના અહેવાલને પણ ટાંક્યો હતો, જેમાં ભલામણ કરવામાં આવી હતી કે મનરેગા હેઠળ વેતન 375 રૂપિયા પ્રતિ દિવસ હોવું જોઈએ. 2024-25ના બજેટમાં સરકારે મનરેગા માટે 86,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો