Domino’s, Pizza Hutના પિઝા થયા સસ્તાં…!
દેશની જાણીતી પિઝા બ્રાન્ડ ડોમિનો’સ પિઝાએ ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. ડોમિનો’સ પિઝાએ લાર્જ વેજીટેરિયન પિઝાની કિંમત 799થી ઘટાડીને 499 રૂપિયા જ્યારે નોન-વેજ લાર્જ પિઝાની કિંમત 919થી ઘટાડીને 549 રૂપિયા કરી છે. પિઝા હટમાં 200 રૂપિયામાં મળતો પિઝા હવે 79 રૂપિયામાં મળી રહ્યો છે. તો સવાલ એ થાય કે, દેશની મુખ્ય પિઝા કંપનીઓ શા માટે ભાવ ઘટાડી રહી છે..? તો કારણ છે નાની-નાની પિઝા કંપનીઓ તરફથી મળતી સ્પર્ધા. પિઝા માર્કેટમાં લા પિનોઝ, લીઓસ પિઝેરિયા, મોજોપિઝા, ગોપિઝા, ટોસિન, ઓવનસ્ટોરી જેવા નવા અને નાના હરીફો સસ્તામાં પિઝા વેચીને તગડો ધંધો કરી રહ્યાં છે. પિઝા માર્કેટનો લગભગ 30 ટકા ધંધો નાના પિઝાવાળાના કબજામાં છે. આથી, નાના હરીફો સામે બાથ ભીડવા પિઝા હટ, બર્ગર કિંગ, KFC, ટેકો બેલ, મેકડોનાલ્ડ્સે લોએસ્ટ વેલ્યુ પ્રાઈસ હેઠળ ભાવ ઘટાડવા છે.
LPG સબસિડી વધારીને Rs 300 કરવામાં આવી
ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસના બાટલા પર મળતી 200 રૂપિયાની સબસિડી 300 રૂપિયા કરવામાં આવી છે. ઉજ્જવલા યોજના હેઠળ આર્થિક રીતે નબળી મહિલાઓને ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને ગેસ સિલિન્ડર અને ચૂલા માટે ચોક્કસ રકમ મળે છે. દેશમાં 31 કરોડથી પણ વધારે LPG ગ્રાહક છે, જેમાંથી 9.6 કરોડ ગ્રાહક ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારે ઉજ્જવલા સ્કીમ હેઠળ મહિલાઓને વધુ 75 લાખ LPG કનેક્શન આપવાની મંજૂરી આપી હતી. આ વધારાના કનેક્શન આગામી 3 વર્ષમાં આપવામાં આવશે. ઉજ્જવલાના નવા નિયમો હેઠળ, લાભાર્થીને પહેલી રિફિલ અને સ્ટવ મફતમાં મળે છે.
FD પર હવે વધારે વ્યાજ દર નહીં મળે…!
FD પર ઊંચા વ્યાજ દર તેની પીક પર પહોંચી ગયા છે અને હવે તેમાં ઘટાડાની શરૂઆત થઈ છે…આ શરૂઆત કરી છે, HDFC બેન્કે. HDFC Bankએ FDના ઈન્ટરેસ્ટ રેટ ઘટાડી દીધા છે. તેનો સૌથી ઊંચો વ્યાજ દર હવે માત્ર 7.20 ટકા છે. 55 મહિનાની FD કરાવો ત્યારે HDFC બેન્ક આટલો ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરે છે. HDFC બેન્ક ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક છે અને તેણે FDના વ્યાજ દર ઘટાડ્યા એટલે, અન્ય બેન્કો પણ તેનું અનુકરણ કરે તેવી શક્યતા છે. છેલ્લાં બે વર્ષથી ભારતમાં FDના વ્યાજ દર વધવાનો સિલસિલો ચાલ્યો હતો, પરંતુ હવે લાગે છે કે, FD પર વ્યાજ દર ઘટવાનું શરૂ થશે. જો તમે હજુ સુધી ઊંચા વ્યાજ દરની FDનો લાભ ના ઉઠાવ્યો હોય તો, વિલંબ કર્યા વગર આ તક ઝડપી લેવી જોઈએ કારણ કે, ધીમે ધીમે બેન્કો ડિપોઝિટના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરે તેવી શક્યતા છે.
Demat Account તો ખુલી ગયા, પણ સક્રિય કેટલા?
ભારતમાં 12.65 કરોડથી પણ વધારે ડિમેટ ખાતા છે. શેરબજારમાં સોદા કરવા હોય તો ડિમેટ ખાતુ ખોલાવવું પડે છે. શેરબજારની તેજી અને રોજેરોજ આવતા IPOને કારણે ડિમેટ ખાતાની સંખ્યા વિક્રમ સ્તરે પહોંચી છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આ 12.65 કરોડ ડિમેટ ખાતામાંથી માત્ર 3.15 કરોડ ખાતા સક્રિય છે, બાકીના ખાતા નિષ્ક્રિય પડ્યા છે. 75 ટકા ડિમેટ ખાતામાં એક વર્ષથી શેર ખરીદવાનો કે વેચવાનો એક પણ સોદો થયો નથી. કોરોના આવ્યો તે વર્ષે ડિમેટ ખાતાની સંખ્યા માત્ર 4 કરોડ હતી પરંતુ ત્યારથી જબરજસ્ત વધી છે. લોકો IPO ભરવા માટે પરિવારના તમામ સભ્યોના નામે ડિમેટ ખાતા ખોલાવી દે છે, અને પછી એક પણ શેરની લે-વેચ કરતા નથી. આથી મોટા ભાગનાં ડિમેટ ખાતા નિષ્ક્રિય છે.
વરિષ્ઠ નાગરિકો માટે ખાસ હેલ્થ પૉલિસી
Tata AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ વરિષ્ઠ નાગરિકો માટે નવી હેલ્થ પૉલિસી લૉન્ચ કરી છે. આ પૉલિસીનું નામ છે – ‘Tata AIG એલ્ડર કેર’. 61 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિની હેલ્થકેર જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ વીમા પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. પૉલિસી લેનાર વ્યક્તિ મેડિકલ કવરેજની સાથે સાથે ઘરે બેઠાં સારવાર પણ મેળવી શકશે. વીમાધારકને એક પર્સનલાઈઝ્ડ હેલ્થ મેનેજરની સેવા મળશે. ઓપરેશન કરાવ્યું હશે તો 7 દિવસ સુધી હોમ નર્સિંગ સર્વિસનો લાભ મળશે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હશે અથવા ઓર્થોપેડિક સંબંધિક સારવાર લેવી હશે તો દેશભરનાં વિવિધ ફિઝિયોથેરાપી સેન્ટરનો લાભ લઈ શકશો. કંપની વીમાધારકને એપ્લીકેશન દ્વારા વિવિધ સર્વિસની ઓનલાઈન ફેસિલિટી પણ પૂરી પાડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો