ફુગાવાનો દર ઘટીને 5.02% થયો
મોંઘવારીમાં રાહતના સમાચાર છે. સરકારે 12 ઓક્ટોબરે જાહેર કરેલા સપ્ટેમ્બર મહિનાના આંકડા પ્રમાણે, ફુગાવાનો દર ઘટીને 5.02 ટકા થયો છે. ઓગસ્ટમાં ફુગાવો 6.83 ટકાએ જ્યારે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. ખાદ્ય ફુગાવાનો દર પણ ઘટીને 6.56 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 9.94 ટકા અને સપ્ટેમ્બર 2022માં 8.60 ટકા હતો. 1,114 શહેર અને 1,181 ગામડાંમાંથી માહિતી ભેગી કરીને સરકાર ફુગાવાનો દર જાહેર કરે છે. RBIએ સપ્ટેમ્બર મહિનાથી ફુગાવો હળવો થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી અને ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.4 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. સરકારી ચોપડે તો ફુગાવો ઘટ્યો છે, પરંતુ કઠોળ અને દાળની મોંઘવારીનો દર 16.38 ટકા તેમજ અનાજની મોંઘવારીનો દર 10.95 ટકાના ઊંચા સ્તરે યથાવત્ છે.
ચોખાની કિંમત 22% વધી
ચોખાની નિકાસ પર પ્રતિબંધ છતાં કિંમત અંકુશમાં નથી આવી… છેલ્લાં એક વર્ષમાં ચોખાની સરેરાશ કિંમત 22 ટકા વધી ગઈ છે. ખાદ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, 12 ઓક્ટોબરે દિલ્હીમાં એક કિલો ચોખાની છૂટક કિંમત 39 રૂપિયા હતી, જે 2022ની 12મી ઓક્ટોબરે 32 રૂપિયા હતી. ગુજરાતમાં એક કિલો ચોખા 38 રૂપિયે મળે છે, જે ગયા વર્ષે 35 રૂપિયામાં મળતા હતા. ચોખાની માંગને પહોંચી વળવા અને કિંમતને કાબુમાં રાખવા માટે સરકારે સપ્ટેમ્બર 2022માં બ્રોકન રાઈસની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો, પછી અલગ-અલગ પ્રકારનાં ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યૂટી નાખી હતી. તાજેતરમાં નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. ચૂંટણીઓ નજીકમાં હોવાથી સરકાર નિકાસ પર પ્રતિબંધ યથાવત્ રાખે તેવી શક્યતા છે.
TCSની બાયબેક ઑફર અને ડિવિડન્ડ
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે તેના શેરહોલ્ડર્સ માટે મહત્ત્વની જાહેરાત કરી છે. TCS ભારતની સૌથી મોટી IT સર્વિસિસ કંપની છે અને તેણે 17 હજાર કરોડ રૂપિયાના શેર બાયબેક કરવાની જાહેરાત કરી છે. કંપનીએ શેર દીઠ 9 રૂપિયાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. TCSના બોર્ડે 4,150 રૂપિયાના ભાવે 4 કરોડ 9 લાખ 63 હજાર 855 શેર્સ બાયબેક કરવાની યોજનાને મંજૂરી આપી છે. તેનો શેર 12 ઓક્ટોબરે 3,543 રૂપિયાએ બંધ રહ્યો હતો. એટલે કે, કંપની બાયબેક ઑફરમાં 15 ટકાથી પણ વધારે પ્રીમિયમ ચૂકવશે. કંપની જેટલા શેર્સ બાયબેક કરવાની છે તેમાં નાના રોકાણકારોના 61 લાખ 44 હજાર 579 શેર્સ સામેલ છે. કંપનીએ બાયબેક માટે હજુ સુધી રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. 9 રૂપિયાના ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 19 ઓક્ટોબર, છે અને પેમેન્ટ ડેટ 7 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.
એર ઈન્ડિયાની ઑફર, સસ્તામાં આપશે ટિકિટ
એર ઈન્ડિયાએ તહેવારોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ સેલની જાહેરાત કરી છે. ટાટા ગ્રૂપની એર ઈન્ડિયાએ શરૂ કરેલી ઑફર 14 ઓક્ટોબર સુધી ખુલ્લી છે. તમે 15 ડિસેમ્બર, 2023 સુધીની ટિકિટનું બૂકિંગ કરી શકો છો. એર ઈન્ડિયાએ બ્રિટન સહિતના કેટલાક યુરોપીયન શહેરો માટે ભારતમાંથી બૂક થતી ટિકિટ માટે સ્પેશિયલ ઑફર શરૂ કરી છે. તમે ડેનમાર્ક, લંડન, મિલાન, પેરિસ, વિએનાની નોન-સ્ટોપ ફ્લાઈટ બૂક કરાવી શકો છો. કંપનીએ આ શહેરોની રાઉન્ડ ટ્રિપ માટે 40,000 રૂપિયા અને વન-વે ટ્રિપ માટે 25,000 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ટિકિટ લૉન્ચ કરી છે. જો તમારે પણ વિદેશ ફરવા જવાનું હોય તો આ ઓફરનો લાભ લઈ શકો છો. અત્યારે એર ઈન્ડિયા મુંબઈ અને દિલ્હીથી યુરોપના શહેરોમાં 48 નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.
FD પર વધારે વ્યાજ કમાવવું છે?
તહેવારોની સીઝનમાં બે બેન્કોએ ગ્રાહકોને ખુશખબર આપી છે. જમ્મુ એન્ડ કશ્મીર બેન્ક અને બેન્ક ઑફ મહારાષ્ટ્રએ ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી છે. બેન્ક ઑફ મહારાષ્ટ્રએ FD રેટ 1.25 ટકા વધારી દીધા છે જ્યારે જમ્મુ એન્ડ કશ્મીર બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની ચોક્કસ મુદતની FDના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં છે. બેન્ક ઑફ મહારાષ્ટ્રના નવા વ્યાજ દર 12 ઓક્ટોબરથી અમલી થયા છે. બેન્કે 46 દિવસથી 90 દિવસની ડિપોઝિટના વ્યાજ દરમાં 1.25 ટકાનો વધારો કર્યો છે. આ બેન્કમાં 1 વર્ષની FD પર 6.50 ટકા વ્યાજ દર મળે છે જ્યારે 1 વર્ષથી વધારે મુદતની FDના દર 0.25 ટકા વધીને 6.25 ટકા થયા છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારે વ્યાજ દર મળે છે. સીનિયર સીટિઝનને 200થી 400 દિવસની ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ દર મળે છે. જમ્મુ એન્ડ કશ્મીર બેન્કમાં 91 દિવસથી 180 દિવસની FDના વ્યાજ દર 0.25 ટકા વધીને 4.75 ટકા થયા છે જ્યારે 181 દિવસથી 270 દિવસની FDના વ્યાજ દર 5.60 ટકા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો