દિવાળીમાં બિલ્ડર્સે ડિસ્કાઉન્ટ કેમ ઘટાડી દીધા?
ગઈ દિવાળીએ મકાન ખરીદનારને મફતમાં ટીવી, ફ્રીજ અને કાર ફ્રીમાં મળતી હતી કે ફોરેન ટ્રિપની પણ ઑફર હતી, પરંતુ આ વખતે આવા ડિસ્કાઉન્ટ દેખાતા નથી. બિલ્ડર્સે લોભામણી ઑફર્સ આપવાનું બંધ કરી દીધું છે અને તેનું કારણ છે શહેરોમાં ઘરની વધતી માંગ. મુંબઈમાં મોકાની જગ્યા પર તૈયાર થયેલી 800 ફ્લેટની સ્કીમ માટે 4,000 લોકોએ ટોકન આપવાની તૈયારી બતાવી છે, તો દિલ્હીમાં નવી લૉન્ચ થયેલી લક્ઝ્યુરિયસ સ્કીમમાં મકાનો ચપોચપ વેચાઈ ગયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પણ નવી સ્કીમમાં મકાનનું વેચાણ સટાસટ થઈ રહ્યું છે. સેલ્સમેનની મહેનત બચી ગઈ છે, કારણ કે, લોકો ડિસ્કાઉન્ટને નહીં પણ ઘર મળશે કે નહીં તેને મહત્ત્વ આપી રહ્યાં છે. આથી, બિલ્ડર્સે ડિસ્કાઉન્ટ ઑફર્સ બંધ કરી દીધી છે. 2023ના પ્રથમ 9 મહિનામાં પોણા ચાર લાખ મકાન વેચાઈ ગયા છે અને વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં રેકોર્ડ બ્રેક 5 લાખથી વધુ ઘર વેચાવાનો અંદાજ છે..
RBIએ ચાર બેન્કોને દંડ ફટકાર્યો
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ સરકારી અને ખાનગી બેન્કોને દંડ ફટકાર્યો છે. RBIએ પંજાબ નેશનલ બેન્કને 72 લાખ રૂપિયા અને ફેડરલ બેન્કને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંજાબ નેશનલ બેન્કે વ્યાજના દર અને ગ્રાહકોની સેવાના નિયમોનું પાલન ન કર્યું હોવાથી દંડ થયો છે. ફેડરલ બેન્કે KYC સંબંધિત નિયમોનો ભંગ કર્યો હતો. RBIએ કોસામટ્ટમ ફાયનાન્સને 13.38 લાખનો દંડ ફટકાર્યો છે. તેણે નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીના નિયમોનું પાલન કર્યું નહોતું. મર્સીડિઝ-બેન્ઝ ફાયનાન્સિયલ સર્વિસિસને પણ 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે, કારણ કે તેણે KYCના નિયમોનો ભંગ કર્યો હતો.
એર પ્યોરિફાયરની માંગ અચાનક કેમ વધી?
દિલ્હીમાં પ્રદૂષણ વધવાથી એર પ્યોરિફાયર, માસ્ક અને વોટર પ્યોરિફાયરની ડિમાન્ડ વધી ગઈ છે. ફિલિપ્સ, કેન્ટ આરઓ, શાઓમી, ડાઈકીન અને હેવેલ્સ જેવી કંપનીઓએ ડિમાન્ડમાં ઓચિંતો વધારો નોંધ્યો છે. લોકો સ્ટોર પર જઈને એર પ્યોરિફાયરના ફીચર સમજી રહ્યાં છે. બજારમાં ઉપલબ્ધ એર પ્યોરિફાયરની કિંમત 10 હજારથી લઈને 80 હજાર છે અને ખાસ તો, 20 હજારથી 25 હજારની કિંમતના પ્યોરિફાયરની ડિમાન્ડ 40 ટકા વધી ગઈ છે. શાઓમીના એર પ્યોરિફાયરનું વેચાણ તો 10 ગણું વધી ગયું છે. કેન્ટ આરઓ સિસ્ટમ્સના અધિકારીના મતે, છેલ્લાં એક સપ્તાહમાં માંગમાં 15થી 20 ટકા ઉછાળો આવ્યો છે. દિલ્હી ઉપરાંત, મુંબઈ, બેંગાલુરુ જેવા શહેરોમાં પણ પ્રદૂષણ વધવાથી આ પ્રોડક્ટ્સની માંગ વધી છે.
સરકાર વેચશે સસ્તામાં ઘઉંનો લોટ
સરકારે ઘઉંનો લોટ સસ્તામાં વેચવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 6 નવેમ્બરે દિલ્હીમાં ભારત આટા બ્રાન્ડનું વેચાણ શરૂ કરાવ્યું હતું. ભારત આટા બ્રાન્ડની કિંમત 2 રૂપિયા ઘટાડીને પ્રતિ કિલો 27.50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બજારમાં એક કિલો ઘઉંનો લોટ 32થી 60 રૂપિયામાં મળે છે. ભારત આટા બ્રાન્ડનો લોટ નાફેડના બજારોમાં, કેન્દ્રના ગોડાઉનોમાં તેમજ સહકારી દુકાનોના છૂટક વેચાણ કેન્દ્રો પર અને સરકારની મોબાઈલ વેન પર મળી રહેશે. ભારત આટા બ્રાન્ડનું એક પેકેટ 30 કિલોનું અને 10 કિલોનું હશે. સરકારે તેની એજન્સીઓને અઢી લાખ ટન ઘઉંની ફાળવણી પણ કરી છે.
પર્સનલ લોન માટે કેટલો ખર્ચ થશે?
પર્સનલ લોન લેવાનું પ્રમાણ વધી ગયું છે. બેન્કોને મળતી લોનની અરજીમાં મહત્તમ અરજી પર્સનલ લોનની છે. નાની ઉંમરના લોકોમાં પણ પર્સનલ લોન લેવાનું આકર્ષણ છે. પર્સનલ લોનના ઈન્ટરેસ્ટ રેટ સાડા નવ ટકાથી ચોવીસ ટકાની વચ્ચે છે. તમારી ઈનકમ, ક્રેડિટ સ્કોર, રિપેમેન્ટની કેપેસિટી વગેરે બાબતોના આધારે ઈન્ટરેસ્ટ રેટ નક્કી કરવામાં આવે છે. પ્રોસેસિંગ ફી અડધો ટકાથી સાડા ત્રણ ટકાની વચ્ચે હોય છે. મિનિમમ ફી હજાર રૂપિયા જ્યારે મહત્તમ ફી 10 હજાર રૂપિયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો