ચોખાની મોંઘવારીથી પરેશાન સરકારે ભાવ ઘટાડવા માટે ઉદ્યોગને સૂચના આપી છે. સરકારે ચોખા ઉદ્યોગના સંગઠનો સાથે બેઠક યોજીને છૂટક ભાવ ઘટાડવાના પગલાં ભરવા જણાવ્યું છે. સરકારે જણાવ્યું છે કે, ચોખાની નફાખોરી કરનારા સામે આકરાં પગલાં ભરવામાં આવશે. ચોખાની મોંઘવારીનો દર 12 ટકાની આસપાસ છે, જે સરકાર માટે ચિંતાનો વિષય છે. અત્યારે જથ્થાબંધ બજારમાં ચોખાની સરેરાશ કિંમત 38 રૂપિયા છે, જે ગયા વર્ષના ડિસેમ્બરમાં 32 રૂપિયા હતો. ગયા વર્ષના ડિસેમ્બરમાં એક કિલો ચોખાની છૂટક કિંમત 37 રૂપિયા હતી. અત્યારે 43 રૂપિયા છે. સરકારે નક્કી કરેલી મોડલ પ્રાઈસ 40 રૂપિયા છે. સરકારે ઉદ્યોગના સંગઠનોને જણાવ્યું છે કે, ચોખાની વાસ્તવિક છૂટક કિંમત અને મહત્તમ છૂટક કિંમત વચ્ચે બહુ મોટો તફાવત છે અને આ તફાવત ઘટાડવાની જરૂર છે. તમને શું લાગે છે, સરકારની આ સૂચના બાદ ચોખાની કિંમત ઘટશે…?
Swiggy હવે 2 ટકા કલેક્શન ફી વસૂલશે. Swiggy 20 ડિસેમ્બરથી 2 ટકા કલેક્શન ફી વસૂલશે. આ ફી રેસ્ટોરન્ટના પેમેન્ટમાંથી કાપવામાં આવશે. Swiggyના આ નિર્ણયથી દેશભરનાં રેસ્ટોરન્ટ સંગઠન નારાજ છે. નેશનલ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન ઑફ ઈન્ડિયામાં 5 લાખથી પણ વધારે કંપનીઓ જોડાયેલી છે અને તેમણે Swiggy પાસે સ્પષ્ટતા માંગી છે. રેસ્ટોરન્ટ માટે ડિસેમ્બર મહિનો કમાણીનો મહિનો છે. પીક સીઝનમાં જ Swiggyએ ફી વધારવાનો નિર્ણય લીધો છે. Swiggyએ જણાવ્યું છે કે, તેના પ્લેટફોર્મ પર ગ્રાહકોની પેમેન્ટની સુવિધા વધુ સારી બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Swiggyની હરીફ Zomato પણ પેમેન્ટ ગેટવે ચાર્જ વસૂલે છે. આમ, એક વાત સ્પષ્ટ છે કે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ખર્ચ વધી જશે.
9 વર્ષમાં જનધન ખાતાની સંખ્યા 51 કરોડને પાર થઈ ગઈ છે. વર્ષ 2014ની 28 ઓગસ્ટે શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજનાના 55.5 ટકા ખાતા મહિલાઓના નામે છે. આ યોજનાનો હેતુ બેન્કિંગ સુવિધાઓથી વંચિત વ્યક્તિને બેન્કની સુવિધાનો લાભ પહોંચાડવાનો છે. જનધન ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. એટલે કે, ખાતામાં એક પણ રૂપિયો ના હોય તોપણ ખાતુ ચાલુ રહે છે અને કોઈ ચાર્જ લાગતો નથી. આથી, 51 કરોડ જનધન ખાતામાંથી 4 કરોડ 30 લાખ ખાતામાં ઝીરો બેલેન્સ બોલે છે. નાણા મંત્રાલયે આપેલી 22 નવેમ્બર 2023 સુધીની માહિતી પ્રમાણે, 46 કરોડ 70 લાખ જનધન ખાતામાં કુલ 2.10 લાખ કરોડ રૂપિયા જમા બોલે છે.
રોકાણકારો બચત અને રોકાણ તો કરે છે, પરંતુ નોમિની નહીં નીમવાની મોટી ભૂલ કરે છે. તમે કરેલા રોકાણ અને બચત માટે કાયદેસર નોમિનીની નિમણૂક નહીં કરી હોય તો તમારા બચત અને રોકાણના પૈસા અનક્લેમ્ડ પડ્યા રહેશે. આવી ભૂલ અનેક રોકાણકારોએ કરી હોવાથી, મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 2,600 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ જ્યારે ઈન્સ્યૉરન્સમાં 20,000થી 22,000 કરોડ રૂપિયા અને વિવિધ બેન્ક ખાતામાં 35,000 કરોડ રૂપિયાનો કોઈ દાવેદાર નથી. આ રકમ અનક્લેઈમ્ડ પડી છે. એટલું જ નહીં, કંપનીઓના શેર્સ અને ડિવિડન્ડના રૂપિયા તેમજ પ્રૉવિડન્ટ ફંડના રૂપિયા પણ રણીધણી વગરના પડ્યા છે.
મહેસાણા જિલ્લાની લાખવડ નાગરિક સહકારી બેન્કને 2 લાખ રૂપિયાનો દંડ થયો છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ દંડ ફટકાર્યો છે. લાખવડ સહકારી બેન્કે પોતાના જ ડિરેક્ટર્સ, ડિરેક્ટર્સના સંબંધીઓ અને તેમની લાગતીવળગતી કંપનીઓને લોન અને એડવાન્સ આપવાના RBIના નિયમનો ભંગ કર્યો હોવાથી દંડાત્મક કાર્યવાહી થઈ છે. લાખવડ બેન્કે તેના ડિરેક્ટરના સંબંધીને લોન આપી હતી. એટલું જ નહીં, ડિરેક્ટર્સના સંબંધીઓ ગેરન્ટર બન્યા હોય તેવા કેસમાં પણ ચોક્કસ લોન મંજૂર કરી હતી. લાખવડ બેન્કે ઈન્ટર-બેન્ક ગ્રોસ એક્સપોઝર લિમિટ તેમજ ઈન્ટર-બેન્ક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર લિમિટનો પણ ભંગ કર્યો હોવાનું RBIની તપાસમાં જાણવા મળ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો