Money9 Gujarati:
ખાદ્ય મોંઘવારી વધુ આકરી બનવાની શક્યતા ઘેરી બની રહી છે. દાળ, શાકભાજી અને અનાજ તો મોંઘા થવા લાગ્યા છે અને હવે આ યાદીમાં ખાવાનું તેલ પણ સામેલ થઈ ગયું છે. સરસવનું તેલ હોય કે પામ ઓઈલ, સીંગતેલ હોય કે કપાસિયાનું તેલ તમામ મોરચે ભાવ વધવા લાગ્યા છે. વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલી પરિસ્થિતિને પગલે આયાતી તેલમાં મોંઘવારીની શરૂઆત થઈ છે.
જુલાઈમાં વધ્યા ભાવ સરસવનું તેલ જુલાઈના પ્રારંભિક દિવસોમાં પ્રતિ કિલો 130 રૂપિયાના મોડલ પ્રાઈસ પર મળતું હતું, પરંતુ હવે તેની કિંમત વધીને 135 રૂપિયા થઈ ગઈ છે. પામ ઓઈલ 100 રૂપિયામાં મળતું હતું, પરંતુ હવે તેની કિંમત 105 રૂપિયા થઈ ગઈ છે. 10 કિલોના કપાસિયા તેલના ભાવ મુંબઈના હાજર બજારમાં રૂ.970થી વધીને રૂ.997એ પહોંચ્યા છે જ્યારે મુંબઈમાં સીંગતેલના ભાવ રૂ.1,900ની નજીક ટક્યા છે.
રશિયા બન્યું વિલન રશિયાએ બ્લેક સી ડીલથી છેડો ફાડ્યો છે અને યુક્રેનના ગ્રેન ટર્મિનલ્સ પર હુમલા વધારી દીધા છે. આ હિલચાલને પગલે સોયાબીન મોંઘું થઈ રહ્યું છે. સોયાતેલના ભાવ મુંબઈમાં ડિગમના રૂ.935 તથા રિફાઈન્ડના રૂ.975 થયા છે જ્યારે સનફ્લાવરના ભાવ વધીને રૂ.930 અને રિફાઈન્ડના રૂ.975 નોંધાયા છે. મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ.1,100 તથા રિફાઈન્ડના રૂ.1,130 બોલાયા છે. રશિયાએ યુક્રેનના અનાજ સહિતના ખાદ્ય માલસામાનની નિકાસ કરવા માટે જે સોદો કર્યો હતો તેમાંથી પાછી પાની કરી લીધી છે. પરિણામે, સૂર્યમુખી તેલનો આયાતી ભાવ 10 ટકા વધી ગયો છે. શક્યતા છે કે, આગામી દિવસોમાં સૂરજમુખીના તેલની છૂટક કિંમતમાં વધારો થશે. અત્યારે સ્થાનિક માર્કેટમાં સૂરજમુખીના તેલની મોડલ પ્રાઈસ પ્રતિ કિલો રૂ.115 છે.
આયાતમાં વધારો મલેશિયામાં પામ પ્રોડક્ટ્સના ભાવ 35 ડૉલર વધી ગયા છે. મલેશિયાથી પામલેતની કુલ નિકાસ જુલાઈ મહિનામાં 14 ટકાની આસપાસ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાદ્ય તેલના ભાવ વધવાની શરૂઆત થવાના સંકેત મળ્યાં હોવાથી તેની આયાતમાં ઘણા દિવસોથી ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષના જૂનમાં ખાદ્ય તેલની આયાત 32 ટકા વધી ગઈ છે.
સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન (SEA)ના આંકડા અનુસાર, જૂન 2023માં ખાદ્ય તેની આયાત 32 ટકા વધી હતી. જૂન 2023માં ભારતે 13,14,476 મેટ્રિક ટન ખાદ્ય તેની આાત કરી હતી, જેનું પ્રમાણ 2022ના જૂનમાં 9,91,650 મેટ્રિક ટન હતું. નવેમ્બર-2022થી જૂન-2023ની વચ્ચે ખાદ્ય તેની આયાત 20 ટકા વધી છે. આ સમયગાળા દરમિયાન 1,04,83,120 મેટ્રિક ટન ખાદ્ય તેલની આયાત થઈ હતી, જેનું પ્રમાણ નવેમ્બર-2021થી જૂન-2022ની વચ્ચે 87,60,640 મેટ્રિક ટન હતું.
ખરીફ વાવેતરની સ્થિતિ વર્તમાન ખરીફ સીઝનમાં 23 જુલાઈ સુધીમાં દેશભરમાં તેલીબિયાંનું વાવેતર 3 ટકા વધીને 160.41 લાખ હેક્ટર નોંધાયું છે. ગયા વર્ષે 23 જુલાઈ સુધીમાં 155.20 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર થયું હતું. સોયાબીનનો વાવેતર વિસ્તાર 114.48 લાખ હેક્ટર નોંધાયો છે જે ગયા વર્ષે 111.31 લાખ હેક્ટર હતો. આમ, તેલીબિયાંના વાવેતરમાં તો સ્થિતિ સારી છે, પરંતુ વૈશ્વિક પરિબળોને પગલે ખાદ્ય તેની કિંમતમાં મોંઘવારી વધવાની શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો