Money9 Gujarati:
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે વ્યાજ દરમાં ઘટાડો થવા અંગે ચાલી રહેલી અટકળોનો છેદ ઉડાડી દીધો છે. તેમણે કહ્યું છે કે, અમે ફુગાવાનો દર ઘટાડીને 4 ટકાએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને અત્યારે રેટ કટ અંગે વિચારણા ચાલી રહી નથી. તેમણે આ વાત એક ઇન્ટરવ્યૂમાં કહી છે. તેમણે કહ્યું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ મોંઘવારીનો દર 7.8 ટકાના ઊંચા સ્તરથી સતત ઘટી રહ્યો છે અને નક્કી કરેલા ટાર્ગેટની નજીક આવી રહ્યો છે, પરંતુ તેને હજુ નીચે લઈ જવાના પ્રયાસ ચાલુ છે.
દાસે જણાવ્યું છે કે, આપણે સ્થાયી આધારે 4 ટકા સુધી ના પહોંચીએ ત્યાં સુધી વ્યાજ દર ઘટાડવાની વિચારણા નથી. આવી વાત કરવી ઉતાવણ ગણાશે. વર્ષ 2024-25માં સરેરાશ મોંઘવારીનો દર વધ-ઘટ બાદ 4.5 ટકા રહેવાની શક્યતા છે. ડિસેમ્બર 2023ના પ્રથમ સપ્તાહે મળેલી બેઠકમાં RBIની મોનેટરી પૉલિસી કમિટી (MPC)એ છૂટક ફુગાવાનો દર 2024-25ના બીજા ક્વાર્ટરમાં ઘટીને 4 ટકા સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, MPCએ ચાલુ નાણાકીય વર્ષનો અંદાજ યથાવત્ રાખ્યો છે.
RBIએ અંદાજ વ્યક્ત કર્યો છે કે, 2023-24માં છૂટક ફુગાવાનો દર 5.4 ટકા રહેશે. ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં ફુગાવાનો દર 5.6 ટકા રહેવાનો અંદાજ છે જ્યારે છેલ્લાં જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં તે ઘટીને 5.2 ટકા રહેવાની ધારણા છે. RBIએ શક્યતા વ્યક્ત કરી છે કે, જો આવતા વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે તો 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં છૂટક ફુગાવો 5.2 ટકા, બીજા ક્વાર્ટરમાં 4 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 4.7 ટકાએ પહોંચી શકે છે. છેલ્લે જાહેર થયેલા તાજા આંકડા પ્રમાણે, ભારતમાં ડિસેમ્બર 2023માં છૂટક મોંઘવારીનો દર 5.69 ટકાના ચાર મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો હતો. નવેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 5.55 ટકા નોંધાયો હતો.
RBIએ મોંઘવારીને અંકુશમાં રાખવા માટે મે-2022થી રેપો રેટ 4 ટકાથી વધારીને એપ્રિલ 2023 સુધીમાં 6.5 ટકા કર્યો છે. આ સમયગાળામાં રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાર પછીની 5 દ્વિમાસિક બેઠકમાં રેપો રેટમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો