Money9: રીમા તેના બચત ખાતામાં મોટી રકમ જમા રાખે છે જેથી મુશ્કેલ સમયમાં તરત જ પૈસા ઉપાડી શકાય. જો તમે પણ રીમા જેવું જ વિચારો છો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. સરપ્લસ એટલે કે વધારાની રકમને લિક્વિડ કે ઓવરનાઇટ ફંડમાં રોકાણ કરીને વધુ કમાણી કરી શકો છો.
લિક્વિડ અને ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ્સ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે…જો કે, એક્સપર્ટ શોર્ટ ટર્મ લક્ષ્યો અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે બંને પ્રકારના ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે..જોખમ અને મેચ્યોરિટીના આધારે લિક્વિડ અને ઓવરનાઇટ ફંડ બન્ને અલગ છે.
આવી સ્થિતિમાં, એ સમજવું ખૂબ જ જરૂરી છે કે કેવા પ્રકારના રોકાણકારોએ લિક્વિડ અને ઓવરનાઈટ ફંડમાં રોકાણ કરવું જોઈએ…અને આ ફંડ કેવી રીતે કામ કરે છે?
જેવું કે નામ પરથી જ ખબર પડે છે તેમ, લિક્વિડ ફંડ એ ટૂંકા ગાળાના ફંડ છે જે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. આ સ્કીમમાં, પૈસાની લિક્વિડિટી રહે છે. એટલે કે, જરૂર પડે તમારા રોકાણને કોઇપણ સમયે કાઢી શકો છો.
લિક્વિડ ફંડ્સ 91 દિવસ સુધીની મેચ્યોરિટીવાળા શોર્ટ-ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે કે સીડીમાં રોકાણ કરે છે. રોકાણની સુરક્ષાની સાથે, બેંકના બચત ખાતાની તુલનામાં તે વધુ સારું રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે. લિક્વિડ ફંડ સામાન્ય રીતે એક દિવસની અંદર વટાવી શકાય છે. જ્યારે ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે…જે રોકાણના બીજા દિવસે મેચ્યોર થાય છે…એટલે કે, તેને બીજા જ દિવસે વટાવી શકાય છે, તેથી આ મ્યુચ્યુઅલ ફંડને ઓવરનાઈટ ફંડ કહેવામાં આવે છે.
જો આપણે આ રોકાણમાં જોખમની વાત કરીએ, તો લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ ઊંચા વ્યાજ દરોથી વધુ પ્રભાવિત થાય છે… ઓવરનાઈટ ફંડની સરખામણીમાં લિક્વિડ ફંડમાં ક્રેડિટ અને ડિફોલ્ટ જોખમ વધુ રહે છે…કારણ ફંડ મેનેજર ઓવરનાઇટ ફંડને બીજા જ દિવસે વેચી નાંખે છે એટલે ડિફોલ્ટ જોખમ મહદઅંશે ઘટી જાય છે.
કોઇપણ રોકાણમાં રિટર્ન સૌથી મહત્ત્વનું પાસું છે…લિક્વિડ ફંડ્સમાં સામાન્ય રીતે ઓવરનાઇટ ફંડ કરતાં વધુ સારું રિટર્ન મળે છે. વેલ્યુ રિસર્ચના 7 માર્ચના ડેટા અનુસાર, લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા એક વર્ષમાં 7.05 ટકા, 3 વર્ષમાં 5.18 ટકા અને 5 વર્ષમાં 5.02 ટકાનું વાર્ષિક એવરેજ રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડનું વાર્ષિક સરેરાશ રિટર્ન 6.69 ટકા, 4.99 ટકા અને 4.65 ટકા રહ્યું છે.
જો આપણે આ રોકાણમાં ટેક્સની વાત કરીએ, તો લિક્વિડ અને ઓવરનાઈટ બંને ફંડ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે. 1 એપ્રિલ, 2023 બાદ, ડેટ ફંડમાં રોકાણથી થયેલી કમાણી રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે, જેના પર સ્લેબના આધારે ટેક્સ ચૂકવવો પડે છે. પછી ભલે રોકાણનો સમયગાળો ગમેતેટલો કેમ ન હોય.
હવે સવાલ એ છે કે તમારે રોકાણ કરવું જોઈએ? જે લોકો એક દિવસથી ત્રણ મહિના સુધીના ટૂંકા ગાળા માટે રોકાણ કરવા માગે છે તેઓ લિક્વિડ ફંડની પસંદગી કરી શકે છે. જ્યારે તમને અચાનક મોટું બોનસ અથવા સરપ્લસ મની મળે અને તમે તેનું રોકાણ ક્યાં કરવું તેની અવઢવમાં હોવ ત્યારે વેલ્થ એડવાઇઝર્સ લિક્વિડ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે. જો રોકાણનો સમયગાળો એક અઠવાડિયા કરતાં ઓછો હોય તો ઓવરનાઇટ ફંડ એક સારો વિકલ્પ છે કારણ કે તેમાં કોઈ એક્ઝિટ લોડ નથી હોતો…એટલે કે, તમારે રોકાણને રિડીમ કરવા પર કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે.
ફિનવાઇઝરના ફાઉન્ડર અને સીઈઓ જય શાહ કહે છે કે જે રોકાણકાર 7 દિવસ માટે રોકાણ કરવા માગે છે તેમણે ઓવરનાઈટ ફંડમાં રોકાણ કરવું જોઈએ. જો રોકાણનું હોરાઇઝન એક અઠવાડિયાથી વધુ અથવા બે મહિના સુધીનું છે, તો લિક્વિડ ફંડમાં રોકાણ વધુ સારો વિકલ્પ છે. ઓવરનાઈટ ફંડમાં કોઈ એક્ઝિટ લોડ નથી હોતો જ્યારે લિક્વિડ ફંડમાં 7 દિવસ સુધી એક્ઝિટ લોડ હોય છે.
રીમાની જેમ, મોટાભાગના લોકો તેમની વધારાની રોકડ બેંકના બચત ખાતામાં જમા કરાવવાનું પસંદ કરે છે… કારણ કે તેઓ માને છે કે આ સૌથી સુરક્ષિત વિકલ્પ છે… અને તેઓ ગમે ત્યારે તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. જોકે, લિક્વિડ ફંડ અને ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ આકર્ષક વિકલ્પો પ્રદાન કરે છે… અને સારા રિટર્નની સાથે સાથે, તેમાં લગાવેલા તમારા પૈસા મોટાભાગે સુરક્ષિત રહે છે… ખાસ વાત એ છે કે ઓવરનાઇટ ફંડમાં કોઈ એક્ઝિટ લોડ વગર તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો