Money9 Gujarati:
મોઘી લોનને કારણે સસ્તી કિંમતના ઘરના વેચાણમાં ઘટાડો થયો છે પણ તેનાથી વિપરિત મોંઘાદાટ ગણાતા લક્ઝરી ઘરની માંગમાં જબરજસ્ત વૃદ્ધિ થઈ છે. દેશનાં મુખ્ય શહેરોમાં લક્ઝરી અને પ્રીમિયમ કેટેગરીનાં ઘરની કિંમત વધવાની સાથે માંગમાં પણ મજબૂતી જોવા મળી છે. છેલ્લાં પાંચેક વર્ષમાં લક્ઝરી ઘરની કિંમત લગભગ 25 ટકા વધી છે અને ખાસ તો કોરોના પછી ભાવમાં તેજી આવી છે. ભાવ વધવા છતાં અપર મિડલ ક્લાસ તથા હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (HNI)ની આવક વધવાને કારણે અને કરોડપતિઓની સંખ્યા વધવાથી કરોડો રૂપિયાના એપાર્ટમેન્ટ અને બંગલોના માર્કેટમાં તેજી જામી છે.
છ મહિનામાં 6,900 યુનિટ વેચાયા
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની CBREના જણાવ્યા પ્રમાણે, 2023ના પ્રથમ છ મહિનામાં દેશનાં મુખ્ય 7 શહેરમાં લક્ઝરી ઘરના વેચાણમાં 130 ટકા વધારો નોંધાયો છે. લક્ઝરી ઘર એટલે એવા ઘર જેની કિંમત 4 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. આ 7 શહેરમાં દિલ્હી-NCR, મુંબઈ, પૂણે, કોલકાતા, બેંગાલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. જાન્યુઆરીથી જૂન 2023 દરમિયાન આ 7 શહેરમાં 6,900 લક્ઝરી ઘરનું વેચાણ થયું છે, જેમાંથી 90 ટકા વેચાણ માત્ર ત્રણ શહેરમાં (દિલ્હી-NCR, મુંબઈ અને હૈદરાબાદ) થયું છે.
હૈદરાબાદમાં સૌથી વધુ વૃદ્ધિ
હૈદરાબાદમાં લક્ઝરી ઘરના વેચાણમાં સૌથી વધુ 14 ગણો વધારો થયો છે જ્યારે દિલ્હી-NCRમાં વેચાણમાં 3 ગણો ઉછાળો થયો છે. દેશનાં મુખ્ય 7 શહેરોમાં વેચાયેલા લક્ઝરી ઘરમાં દિલ્હી-NCR, મુંબઈ અને હૈદરાબાદનો હિસ્સો 90 ટકા રહ્યો હતો આ ત્રણેય શહેરમાં 2023ના છ મહિનામાં 6,100થી પણ વધારે લક્ઝરી ઘર વેચાયા હતા.
મુંબઈ, બેંગાલુરુમાં માંગ ઘટી
મુંબઈમાં લક્ઝરી મકાનોનું વેચાણ ઘટ્યું છે. 2023ના પ્રથમ છ મહિનામાં મુંબઈમાં 750 મકાનોનું વેચાણ થયું છે, જે 2022ના પ્રથમ છ મહિનામાં 800 મકાન વેચાયા હતા. બેંગાલુરુમાં એપ્રિલ-જૂન દરમિયાન માંગ અડધી થઈ ગઈ છે અને ત્યાં 50 લક્ઝરી ઘર વેચાયા છે જ્યારે ગયા વર્ષે ત્યાં 100 મકાન વેચાયા હતા.
ડબલથી પણ વધારે મકાન વેચાયા
2022ના જાન્યુઆરીથી જૂન દરમિયાન 3,000 લક્ઝરી ઘર વેચાયા હતા, જેની સામે ચાલુ વર્ષના જાન્યુઆરીથી જૂનમાં 6,900 લક્ઝરી ઘર વેચાયા છે. આ ઘરની કિંમત ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. સૌથી વધુ વેચાણ દિલ્હી-NCR, હૈદરાબાદ અને મુંબઈમાં થઈ રહ્યું છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લક્ઝરી ઘરનું વેચાણ 3,100 યુનિટને પાર થઈ ગયું હતું, જ્યારે 2022ના જૂન ક્વાર્ટરમાં 1,400 લક્ઝરી ઘર વેચાયા હતા.
લક્ઝરી ઘરની માંગ કેમ વધી?
CBREના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારી બાદ લક્ઝરી અને મોટા ઘરની માંગ વધી છે. વર્ક ફ્રૉમ હોમનું ચલણ શરૂ થવાથી લોકો હવે વધારે મોટા ઘરમાં રહેવાનું પસંદ કરે છે. લોકો હવે માત્ર ચાર દીવાલો નહીં પણ અન્ય સુવિધાઓ ધરાવતી પ્રોપર્ટી ખરીદે છે. વિદેશમાં વસતા ભારતીયો પણ ભારતનાં રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરી રહ્યાં હોવાથી કરોડો રૂપિયાના ઘરની ડિમાન્ડ વધી છે.
અમદાવાદ અને સુરતમાં ડિમાન્ડ
અમદાવાદ અને સુરતમાં પણ 5 કરોડ રૂપિયના ફ્લેટની સ્કીમો લૉન્ચ થવા લાગી છે. પાંચેક કરોડનો બંગલો, વિલા કે ફાર્મ હાઉસ તો સમજ્યા પણ પાંચ કરોડનો એપાર્ટમેન્ટ ખરીદનારા વધ્યા હોવાથી બિલ્ડર્સ આવી સ્કીમ લૉન્ચ કરી રહ્યાં છે. અમદાવાદના પ્રહલાદનગર, ઈસ્કોન-આંબલી, નહેરુનગર, સિંધુભવન રોડ જેવા પૉશ વિસ્તારમાં આવી સ્કીમ પડી રહી છે. આ ઉપરાંત, અમદાવાદ-ગાંધીનગરની વચ્ચે તથા ગિફ્ટ સિટીની નજીક લક્ઝરી હાઉસિંગ સ્કીમ્સ શરૂ કરવાની દિશામાં ડેવલપર્સ સક્રિય થયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો