Money9 Gujarati:
ફ્લોરિડા સ્થિત GQG Partners દ્વારા બાબા રામદેવની FMCG કંપની Patanjali Foodsમાં લગભગ રૂ.2,400 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. GQG Partnersએ અગાઉ અદાણી ગ્રૂપની કંપનીઓમાં પણ અબજો ડૉલરનું રોકાણ કર્યું હતું અને કટોકટીનો સામનો કરી રહેલાં અદાણીની ડૂબતી નૈયાને સહારો આપ્યો હતો. GQG Partnersએ અદાણી ગ્રૂપની કંપનીઓનાં શેર્સ મોટા ડિસ્કાઉન્ટ ભાવે ખરીદ્યા હતા અને હવે બાબાની કંપનીના શેર્સ પણ સસ્તામાં ખરીદ્યા છે. પતંજલિ ફૂડ્સના 2.15 કરોડ શેર્સ રૂ.1,103.80ના ભાવે ખરીદ્યા છે, જે હિસાબે તેમનું રોકાણ રૂ.2,400 કરોડ થાય છે.
NRI રાજીન જૈને ઉપાડ્યા શેર્સ પતંજલિ ફૂડ્સે 17 જુલાઈ-સોમવારના રોજ જણાવ્યું હતું કે, NRI રાજીન જૈનની GQG Partners અને કેટલાક અન્ય રોકાણકારોએ 14 જુલાઈએ કંપનીનો 5.96 ટકા હિસ્સો (2,15,64,571 શેર્સ) ખરીદ્યો હતો. આ હિસ્સો ઑફર ફોર સેલ (OFS) દ્વારા સ્ટોક એક્સચેન્જ સેટલમેન્ટ પ્રોસેસ મારફતે ખરીદવામાં આવ્યો હતો. આ હિલચાલ બાદ, પતંજલિ ફૂડ્સનો શેર BSE પર 2.81 ટકા વધીને રૂ. 1,259.40એ બંધ રહ્યો હતો.
GQGએ કેટલો હિસ્સો ખરીદ્યો? GQGએ GQG Partners EM Equity Fund A Series મારફતે 46,38,604 શેર્સ અથવા 1.28 ટકા હિસ્સો, GQG Partners EM Equity Fund દ્વારા 52,50,000 શેર્સ અથવા 1.45 ટકા હિસ્સો, GQG Partners EM Equity Fund દ્વારા 2,56,144 શેર્સ અથવા 0.71 હિસ્સો અને GQG Partners EM Equity Fund Australia દ્વારા 6,55,307 શેર્સ અથવા 0.18 હિસ્સો ખરીદ્યો છે.
બીજા રોકાણકારોએ કેટલો હિસ્સો ખરીદ્યો? પતંજલિ ફૂડ્સમાં હિસ્સો ખરીદનારા અન્ય રોકાણકારોમાં BBH GQG Partners EM Equity Master Fund LP (0.35 ટકા હિસ્સો), JNL/ GQG EM Equity Fund (0.24 ટકા હિસ્સો), GQG Partners દ્વારા સંચાલિત Washington State Investment Board (0.27 ટકા હિસ્સો) અને Alliance Trust (0.07 ટકા હિસ્સો)નો સમાવેશ થાય છે.
બાબાએ કેમ વેચ્યા શેર? ઉલ્લેખનીય છે કે, મિનિમમ શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવા માટે પતંજલિ ફૂડ્સે ગયા સપ્તાહે 7 ટકા હિસ્સો વેચવાની પ્રક્રિયા પૂરી કરી હતી. અગાઉ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 80.82 ટકા હતો, જે હવે ઘટીને 73.82 ટકા થયો છે. સેબીના નિયમ પ્રમાણે, કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ 75 ટકાથી વધારે ના હોવું જોઈએ. પતંજલિ ફૂડ્સે OFS માટે શેર દીઠ રૂ.1,000 કિંમતની ફ્લોર પ્રાઈસ નક્કી કરી હતી, જે તે વખતનાં રૂ.1,225ના ભાવ સામે 18.36 ટકા ડિસ્કાઉન્ટ ભાવ હતો. રિટેલ હિસ્સા માટે ક્લીયરિંગ પ્રાઈસ રૂ.1,165 જ્યારે નોન-રિટેલ માટે રૂ.1,103.80 હતી. ઓફરના પ્રથમ દિવસે નોન-રિટેલ કેટેગરી બે ગણી ભરાઈ ગઈ હતી જ્યારે રિટેલ કેટેગરીમાં 3 ગણી બિડ મળી હતી.
પતંજલિનો શેર કેટલો વધશે? પતંજલિ ગ્રૂપે નાદારી નોંધાવનારી કંપની રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝને ખરીદી હતી અને તેનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ કર્યું હતું. GCL બ્રોકિંગના વૈભવ કૌશિક કહે છે કે, દિવાળી સુધીમાં પતંજલિ પૂડ્સનો શેર રૂ.1,670એ પહોંચશે. પતંજલિનો શેર છેલ્લાં એક વર્ષમાં લગભગ 21 ટકા વધ્યો છે.
અદાણીમાં GQG પાર્ટનર્સનું રોકાણ GQG પાર્ટનર્સે તાજેતરમાં અદાણી ટ્રાન્સમિશનમાં લગભગ 3 ટકા હિસ્સો ખરીદ્યો હતો. ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનના આ સોદા માટે GQGએ રૂ.2,666 કરોડ ચૂકવ્યા હતા. અગાઉ પણ GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી ગ્રીન એનર્જીમાં કુલ 1 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.
24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રૂપના શેર્સમાં મોટાં ગાબડાં પડ્યાં હતા અને ભાવ 80 ટકા સુધી ગબડી ગયા હતા. અદાણી ગ્રૂપની કંપનીઓનાં તમામ શેર્સ ઊંધા માથે પટકાયેલા હતા તેવા સમયે, માર્ચ મહિનામાં GQG પાર્ટનર્સે અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસ એમ ચાર કંપનીમાં પાણીના ભાવે શેર ખરીદ્યા હતા. GQG દ્વારા શેર ખરીદવામાં આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેર્સમાં રિકવરી શરૂ થઈ હતી અને રોકાણકારોમાં ભરોસો પાછો ફર્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો