Money9 Gujarati:
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ની 26મી વાર્ષિક સાધારણ બેઠક (AGM)માં ચેરમેન મુકેશ અંબાણીએ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે રિલાયન્સ ગ્રૂપની ભાવિ રૂપરેખા પરથી પડદો ઊંચક્યો છે. આગામી વર્ષોમાં ગ્રૂપ કઈ દિશામાં આગળ વધશે તે અંગે અંબાણીએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે. જોકે, શેરધારકોને અને રોકાણકારોને જે અપેક્ષા હતી તેવી કોઈ જાહેરાતના અભાવે રિલાયન્સ ગ્રૂપની કંપનીઓના શેરમાં ખાસ ઉત્સાહ જોવા નહોતો મળ્યો.
રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું
શેરધારકોને અપેક્ષા હતી કે, અંબાણી રિલાયન્સ રિટેલના IPOની જાહેરાત કરી શકે છે. પરંતુ તેમની આ આશા પર પાણી ફરી વળ્યું હોવાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કાઉન્ટરમાં ખાસ ઉછાળો આવ્યો નહોતો અને શેર માઈનસમાં બંધ રહ્યો હતો. ટેલિકોમ બિઝનેસ જિયોના IPO અંગે પણ કોઈ સ્પષ્ટતા ન થવાથી રોકાણકારોનું ચિત્ર સ્પષ્ટ થયું નહોતું. આ ઉપરાંત, ગયા સપ્તાહે (21 ઓગસ્ટે) રિલાયન્સમાંથી છૂટી પડીને શેરબજારમાં લિસ્ટ થયેલી નવી કંપની જિયો ફાયનાન્સિયલ સર્વિસિસને લઈને પણ ખાસ ઉત્સાહજનક જાહેરાત ન થવાથી તેનું કાઉન્ટર શરૂઆતમાં પ્લસમાં રહ્યાં બાદ માઈનસમાં જતું રહ્યું હતું. દિવસ દરમિયાન એક સમયે JFSનો શેર 3.5 ટકાથી પણ વધુ ઘટી ગયો હતો, પરંતુ છેલ્લે 2.05 ટકા ઘટીને બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે સતત 4 દિવસ સુધીમાં તેમાં 5 ટકા લોઅર સર્કિટ વાગી હતી અને આજે ખુલતા સપ્તાહે પણ શેર ઘટીને બંધ રહ્યો હતો. રિલાયન્સની AGM પહેલાં રોકાણકારો આતુરતાપૂર્વક રાહ જોતાં હતા કે, આ વખતે તેના નવા બિઝનેસના IPOને લઈને કોઈ જાહેરાત થઈ શકે છે. રોકાણકારોને એમ હતું કે, જિયોના લિસ્ટિંગ અંગે વધુ સ્પષ્ટતા મળી શકે છે. આ ઉપરાંત રિટેલ બિઝનેસને લઈને પણ સંકેત મળ્યાં હતા કે, કંપની IPO માટે AGMમાં જાહેરાત કરશે, કારણ કે ગયા મહિને જ રિલાયન્સે તેની રિટેલ કંપનીના નોન-પ્રમોટર્સ શેર્સ ખરીદીને શેરહોલ્ડિંગ ક્લીન કરી નાખ્યું હતું તેમજ QIA સાથે ડીલ કરીને બેન્ચમાર્ક વેલ્યુએશન નક્કી કરી દીધું હતું. આ સોદા બાદ શેરધારકોમાં પ્રબળ શક્યતા ઊભી થઈ હતી કે, હવે તેના IPOનો માર્ગ મોકળો થઈ ગયો છે અને કંપની તેની જાહેરાત કરશે પરંતુ આવી જાહેરાત ન થવાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર દબાણમાં રહ્યો હતો.
ટેલિકોમ બિઝનેસ
અંબાણીએ કહ્યું હતું કે, વર્તમાન ઝડપે અમે પ્રત્યેક 10 સેકન્ડે એક 5G સેલ ઉમેરી રહ્યાં છીએ. દેશમાં વપરાતા 85% 5G સેલ જિયોના છે. Jio 5G દુનિયાભરમાં સૌથી ઝડપભેર વિસ્તરણ થયેલું નેટવર્ક છે, માત્ર 9 મહિનામાં 96% વિસ્તાર કવર કરી લીધો છે. અંબાણીએ પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક સ્થળે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત સર્વિસિસ ઉપલબ્ધ કરાવવાનું જણાવ્યું હતું.
શેરહોલ્ડર્સની સંખ્યા વધી
RILના ગ્રોથ, મર્જર-એક્વિઝિશન અને ડિમર્જર-રોકાણ યોજનાઓના પગલે પબ્લિક શેરહોલ્ડિંગ છેલ્લા એક વર્ષમાં વધ્યું છે. છેલ્લાં 1 વર્ષમાં રિટેલ શેરધારકોની સંખ્યામાં 1,90,270નો વધારો થયો છે અને કુલ શેરહોલ્ડિંગમાં 0.10 ટકાનો વધારો થયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ તેમજ રિટેલ રોકાણકારોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો વધાર્યો છે. જૂન 2020ની સરખામણીમાં, રિટેલ શેરધારકોની સંખ્યામાં 8,79,728 વધારો થયો છે.
જામનગરમાં સોલર ગીગા ફેક્ટરી
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ”અમે જામનગરમાં 2026 સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી સ્થાપીશું. અમારો ઈરાદો 2035 સુધીમાં નેટ ઝીરો કંપની બનવાનો છે.” જામનગરમાં એન્ડ-ટુ-એન્ડ સોલર ગીગા ફેક્ટરીમાં પીવી મોડ્યુઅલ્સ, સેલ્સ, વેફર્સ, ઈનગોટ્સ, પોલિસિલિકોન અને ગ્લાસનું ઉત્પાદન કરવામાં આવશે. આ તમામ પ્રોડક્ટ્સ જામનગરમાં સિંગલ લોકેશન પર બનશે. અમે વર્ષ 2025 સુધીમાં તબક્કાવાર ધોરણે ઉત્પાદન શરૂ કરી દઈશું. અંબાણીએ જણાવ્યું હતું કે, 2030 સુધીમાં 100 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાની સ્થાપના કરવા માટે પ્રયાસ કરીશું.
Jio Air Fiber
અંબાણીએ 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે Jioની એર ફાઈબર સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. Jio Air Fiber દ્વારા અંબાણી દેશભરમાં તેમની પહોંચ વધારવા માંગે છે. તેમની યોજના દેશનાં તમામ ઘર અને ઑફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ પૂરી પાડવા માટે 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની છે. Jio Air Fiberને પગલે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં મોટી ઉથલપાથલ મચવાનો દાવો કંપનીએ કર્યો છે. Jio Air Fiber દ્વારા તમે ઘરમાં વાયર વગર વાઈફાઈનો ઉપયોગ કરી શકશે. ઘરોમાં વાઈફાઈ માટે વાયરનો સપોર્ટ લેવાની જરૂર નહીં પડે, એમ આકાશ અંબાણીએ AGMમાં જણાવ્યું હતું.
Jio Bharat ફીચર ફોન
Jio Bharat ફીચર ફોન પર ઉપલબ્ધ 4G પ્રિપેઈડ પ્લાન અન્ય ફીચર ફોન પર ઉપલબ્ધ પ્લાન કરતાં 30 ટકા સસ્તાં છે. Jio Bharat ફીચર ફોનની કિંમત 999 રૂપિયા છે અને તેમાં બે પ્રિપેઈડ પ્લાન ઉપલબ્ધ છે. એક પ્લાન રૂ.123નો છે જ્યારે બીજો પ્લાન 179 રૂપિયાનો છે. Jio Bharat ફીચર ફોનમાં UPI ફીચર સામલે કરવાની જાહેરાત આકાશ અંબાણીએ કરી હતી. લોકો QR કોડ સ્કેન કરીને રૂ. 500 સુધીનું પેમેન્ટ ચૂકવવા માટે જિયો ભારત ફીચર ફોનનો ઉપયોગ કરી શકશે અને તેના માટે ઈન્ટરનેટની પણ જરૂર નહીં પડે. ગ્રાહકને જિયો ભારત ફીચર ફોન પર 450થી પણ વધુ લાઈવ ટીવી ચેનલ જોવા મળશે અને જિયો સાવન પર ગીતો સાંભળવા મળશે. અત્યારે દેશમાં 25 કરોડ 2G ફીચર ફોન છે અને રિલાયન્સ આ તમામ ફીચરફોનના ગ્રાહકોને 4Gથી સજ્જ જિયો ભારત ફોન તરફ વાળવા માંગે છે.
જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ
જિયો ફાયનાન્સ સર્વિસિસ (JFS)એ વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) બ્લેકરૉક સાથે ભાગીદારી કરી છે અને કંપની ટૂંક સમયમાં રિટેલ રોકાણકારો માટે વાજબી કિંમતના મ્યુચ્યુઅલ ફંડ પ્લાન્સ લૉન્ચ કરશે. કંપની આ પ્રોડક્ટ્સ માટે ડિજિટલ ચેનલનો મહત્તમ ઉપયોગ કરશે. JFS સરળ, વાજબી અને નવીન પ્રોડક્ટ્સ લાવશે, એમ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. અમે ટેકનોલોજીથી સજ્જ, ઈનોવેટિવ અને એફોર્ડેબલ પ્રોડક્ટ પૂરી પાડીશું. પેમેન્ટ્સના મોરચે JFSએ મજબૂત પ્રગતિ કરી છે અને આગામી સમયમાં પણ જબરજસ્ત વૃદ્ધિ કરશે. રિલાયન્સના જૂથમાં JFSનું યોગદાન પણ અન્ય બિઝનેસની જેમ વધતું રહેશે. JFSની નેટવર્થ 1,20,000 કરોડ રૂપિયા છે, જે વિશ્વમાં સૌથી વધુ કેપિટલાઈઝ્ડ નેટવર્થ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. હવે JFS વીમા ઉદ્યોગમાં પ્રવેશ કરશે અને તેના માટે વૈશ્વિક કંપનીઓ સાથે ભાગીદારી પણ કરશે.
ઉત્તરાધિકારી નિમવાની કવાયત શરૂ
મુકેશ અંબાણીએ તેમના સંતાનોને વિવિધ બિઝનેસની જવાબદારી સોંપેલી છે. જેમકે, દીકરી ઈશા પાસે રિટેલ કારોબાર છે જ્યારે આકાશ પાસે જિયોનો ટેલિકોમ બિઝનેસ છે. ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી છેલ્લાં કેટલાક વર્ષોથી રિટેલ, ડિજિટલ સેવાઓ અને એનર્જી અને મટીરીયલ વ્યવસાયો સહિત RILના મુખ્ય વ્યવસાયો સાથે નજીકથી સંકળાયેલા છે. તેઓ RILની મુખ્ય સહયોગી કંપનીઓના બોર્ડમાં પણ જોડાયેલા છે. આજની બેઠકમાં અંબાણીએ RILના બૉર્ડમાં તેમના ત્રણેય સંતાન ઈશા, આકાશ અને અનંતને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સામેલ કરવાની જાહેરાત કરી હતી. તેમને સામેલ કરવાની ભલામણ બોર્ડે કરી છે અને હવે શેરધારકની મંજૂરી પછી તેઓ બોર્ડમાં જોડાશે.
નીતા અંબાણીનું રાજીનામું
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નીતા અંબાણીનું ડિરેક્ટરપદેથી રાજીનામું પણ સ્વીકાર્યું છે. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન (RF)ના ચેરપર્સન તરીકે જોડાયેલા રહેશે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે, નીતા અંબાણી RIL બોર્ડની તમામ બેઠકોમાં બોર્ડના કાયમી આમંત્રિત તરીકે હાજરી આપશે.
રિટેલ બિઝનેસ
કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) દ્વારા રિલાયન્સ રિટેલમાં 1 ટકા હિસ્સો ખરીદવા માટે થયેલા સોદાના આધારે રિલાયન્સ રિટેલનું પ્રિ-મની ઈક્વિટી વેલ્યુએશન રૂ. 8.28 લાખ કરોડ થાય છે, જે 2020માં 4.28 લાખ કરોડ હતું. આમ, 3 વર્ષમાં રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન બમણું થઈ ગયું છે. ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, 2 વર્ષમાં રિટેલ બિઝનેસમાં અમે 10 અબજ ડૉલર રોક્યા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો