Money9 Gujarati:
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચોરીને રોકવા માટે, આધારનું બાયોમેટ્રિક-આધારિત પ્રમાણીકરણ (Aadhaar biometrics verification) કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કવાયત દ્વારા નકલી GST નંબર લેનારાને પકડવામાં આવશે. આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાત અને પુડુચેરીથી કરવામાં આવશે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાનું કહેવું છે કે GSTમાં નકલી નોંધણી સામે ચાલી રહેલી વિશેષ સંયુક્ત ઝુંબેશને 15 જુલાઈથી આગળ વધારવામાં આવશે. છેલ્લાં ઘણા સમયથી બોગસ GST નંબર લેનારા બહુ મોટી સંખ્યામાં પકડાઈ રહ્યાં છે. સરકાર આવા કૌભાંડીઓને પકડવા માટે અને છેતરપિંડીને અટકાવવા માટે બાયોમેટ્રિક આધારિત આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરશે.
OTPના આધારે થતી હતી ખરાઈ
અત્યાર સુધી GST નંબર માટે મળતી અરજીની ખરાઈ કરવા માટે GST વિભાગ દ્વારા OTP-આધારિત પ્રમાણીકરણ કરવામાં આવતું હતું. સેન્ટ્રલ ઈનડાયરેક્ટ ટેક્સ બોર્ડના જણાવ્યા અનુસાર, GST અધિકારીઓ હવે બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન મારફતે GSTમાં થઈ રહેલી છેતરપિંડીને રોકવાનો પ્રયાસ કરશે. જો અધિકારીને કોઈ વ્યક્તિ પર શંકા જશે તો તેની પુષ્ટિ માટે આ વ્યક્તિને આધાર કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને ત્યાં બાયોમેટ્રિક્સ વેરિફિકેશન કરવામાં આવશે.
GST નંબર મેળવવા માટે કેવી રીતે થતું હતું કૌભાંડ GST નંબર મેળવવા માટે થતાં બોગસ રજિસ્ટ્રેશનની માહિતી મેળવવા માટે કેન્દ્ર અને રાજ્યોના ટેક્સ વિભાગે આ કવાયત હાથ ધરી છે. તાજેતરમાં ગુજરાતનાં ટેક્સ અધિકારીઓને કેટલાક બોગસ GST નંબર મળી આવ્યા હતા. આર્થિક રીતે નબળા લોકોની જાણ બહાર તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરીને GST નંબર મેળવવામાં આવતા હતા અને બોગસ કંપનીઓ ખોલીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવતી હતી. કૌભાંડીઓ આધાર કાર્ડમાં ફોન નંબર પણ બદલાવી દેતા હતા અને ઓટીપી મેળવીને GSTનું રજિસ્ટ્રેશન કરાવતા હતા. ગરીબ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતની માહિતી મેળવવા માટે તેમને પૈસા આપીને અને સરકારી યોજનાનો લાભ અપાવવાની લાલચ આપવામાં આવતી હતી. ગરીબ લોકો તેમની વાતોમાં ભોળવાઈ જતા હોવાથી તેમને નજીકના આધાર કેન્દ્રમાં લઈ જઈને તેમના અંગૂઠાંના નિશાન લેવામાં આવતા હતા. આવી રીતે, તેમના આધાર કાર્ડને એક ડમી મોબાઈન નંબર સાથે લિન્ક કરીને ખોટી રીતે GST નંબર માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું હતું.
બાયોમેટ્રિક આધારિત આધાર વેરિફિકેશન ખોટા GST નંબરના અનેક કિસ્સા સામે આવ્યા બાદ સરકારે આધારનું વેરિફિકેશન કરવા માટે ગુજરાત અને પુડ઼ુચેરીથી બાયોમેટ્રિક-આધારિત પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. GST કાઉન્સિલે ભલામણ કરી છે કે, નોંધણી કરાવનાર વ્યક્તિના બેંક ખાતા, નામ અને PANની વિગતો રજીસ્ટ્રેશનની મંજૂરીના 30 દિવસની અંદર રજૂ કરવી જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો નોંધણી કરાવનાર વ્યક્તિને GSTR ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં
સરકારે પકડી 17,000 કરોડની ટેક્સ ચોરી 16 મેથી શરૂ થયેલી સ્પેશિયલ કવાયતમાં ટેક્સ અધિકારીઓએ લગભગ 70,000 શંકાસ્પદ રજિસ્ટ્રેશન શોધી કાઢઅયા છે, જેમાંથી 62,000 રજિસ્ટ્રેશનની ખરાઈ થઈ હતી જ્યારે લગભગ 18,000 રજિસ્ટ્રેશન બોગસ હોવાનું પકડાયું હતું. બોગસ GST નંબરના આધારે લગભગ 17,000 કરોડ રૂપિયાની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
EDને સોંપાઈ સત્તા
ઉલ્લેખનીય છે કે, GST ચોરીને અટકાવવા માટે તાજેતરમાં નાણાં મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને GST નેટવર્ક (GSTN)ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવવાનો નિર્ણય લીધો હતો. હવે GST સંબંધિત બાબતોમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED) સીધો હસ્તક્ષેપ કરી શકશે. GST ચોરી કરનાર પેઢી, વેપારી અથવા સંસ્થા સામે હવે ED સીધી કાર્યવાહી કરી શકશે. એટલું જ નહીં, પાસપોર્ટ બ્લોક કરવાનો હોય કે વિદેશથી કોઈ વ્યક્તિને લાવવાની હોય તો તે કાર્યવાહી પણ ઈડી કરી શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો