Money9 Gujarati:
અદાણી ગ્રૂપ FMCG બિઝનેસમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. દેશનાં FMCG માર્કેટમાં અદાણી ગ્રૂપ ખાદ્ય તેલ અને ખાણી-પીણીનો સામાન વેચે છે. અદાણી ગ્રૂપે તેના માટે સિંગાપોરના વિલમર ગ્રૂપ સાથે ભાગીદારી કરી હતી અને ભારતમાં અદાણી વિલ્મર (Adani Wilmar) કંપની હેઠળ કારોબાર કરતું હતું. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પ્રમાણે, અદાણી ગ્રૂપ પોતાનો 43.97 ટકા હિસ્સો વેચવા માટે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સાથે વાતચીત કરી રહ્યું છે. અદાણી વિલ્મરમાં પબ્લિક શેરહોલ્ડિંગ 12.06 ટકા છે જ્યારે વિલ્મર ઈન્ટરનેશનલ પાસે પણ 43.97 ટકા હિસ્સો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અદાણી ગ્રૂપ પોતાનો હિસ્સો વેચવા માટે 2.5થી 3 અબજ ડૉલરમાં સોદો કરી શકે છે અને સોદો એકાદ મહિનાની અંદર પૂરો કરવાની યોજના છે. જોકે, અદાણી ગ્રૂપે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
અદાણી વિલ્મરનો શેર 6 નવેમ્બરે 1.86 ટકા ઘટીને 311.50એ બંધ રહ્યો હતો. 2023માં અત્યાર સુધીમાં અદાણી વિલ્મરનો શેર 50 ટકા જેટલો તૂટ્યો છે.
અદાણી વિલ્મર ભારતમાં Fortune, King’s, Bullet, Raag, Avsar, Pilaf, Jubilee, Fryola, Alpha, Alife અને Aadhar બ્રાન્ડ્સ હેઠળ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. અદાણી વિલ્મર ભારતનાં અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ઈન્ટરનેશનલ વચ્ચેનું જોઈન્ટ વેન્ચર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદાણી ગ્રૂપ અત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને નોન-કોર એસેટ્સ વેચીને દેવું ઘટાડવાના તેમજ મુખ્ય બિઝનેસમાં વિસ્તરણ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. 24 જાન્યુઆરી 2023એ અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની શાખ ખરડાઈ છે અને તેના શેર્સમાં મોટા ગાબડાં પડ્યાં છે. અદાણી ગ્રૂપ ત્યારથી મોટા પાયે રિસ્ટ્રક્ચરિંગ કવાયત કરી રહ્યું છે અને ઘણા સોદા રદ કર્યાં છે તેમજ કેટલાક સોદામાં પાછી પાની કરી છે. અદાણી ગ્રૂપ દ્વારા અદાણી વિલ્મરનો હિસ્સો વેચીને જે રકમ મળશે તેનો ઉપયોગ કારોબારના વિસ્તરણ માટે કરવામાં આવશે.
આમ પણ, ભારતનાં FMCG માર્કેટમાં યુનિલીવર અને નેસલે જેવી ગ્લોબલ કંપનીઓ તેમજ ITC, બ્રિટાનિયા અને મેરિકો જેવી સ્વદેશી કંપનીઓનો દબદબો છે. ભારતનો મધ્યમ વર્ગ વધી રહ્યો હોવાથી રિલાયન્સ, ટાટા અને અદાણી ગ્રૂપે પણ આ માર્કેટમાં પ્રવેશ કર્યો છે, પરંતુ હવે અદાણી ગ્રૂપ આ સેગમેન્ટમાંથી બહાર નીકળે તેવી શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો