ફાઈલ થયા 2 કરોડથી વધુ ITR તમે રિટર્ન ફાઈલ કર્યું કે નહીં? જો ના કર્યું હોય તો વહેલી તકે કરી દેજો, કારણ કે છેલ્લી તારીખ 31 જુલાઈ છે. દેશનાં કેટલાક સજાગ કરદાતાએ વહેલી તકે રિટર્ન ફાઈલ કરીને રેકોર્ડ બનાવ્યો છે. ઈનકમ ટેક્સ વિભાગના આંકડા પ્રમાણે, 11 જુલાઈ સુધીમાં 2 કરોડથી પણ વધારે ITR સફળતાપૂર્વક ફાઈલ થઈ ચૂક્યા છે. ગયા વર્ષે 2 કરોડનો આંકડો 20 જુલાઈ સુધીમાં નોંધાયો હતો. એટલે કે, આ વર્ષે 9 દિવસ વહેલાં 2 કરોડથી વધારે રિટર્ન ફાઈલ થયા છે.
અદાણી-હિન્ડનબર્ગ કેસઃ વધુ સુનાવણી 14 ઓગસ્ટે અદાણી-હિન્ડનબર્ગ કેસની સુનાવણી ઓગસ્ટમાં પાછી ઠેલાઈ છે. અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ સામે અનેક આરોપો લગાવતો રિપોર્ટ જાહેર કર્યો હતો. જેને પગલે, ગ્રૂપની કંપનીઓના શેરનું મોટા પાયે ધોવાણ થયું હતું અને રોકાણકારો રાતા પાણીએ રડ્યા હતા. આથી, સુપ્રીમ કોર્ટે 2 માર્ચના રોજ એક્સપર્ટ કમિટી રચી હતી અને અદાણી સામેના આરોપોની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ તપાસની જવાબદારી સેબીને સોંપવામાં આવી છે અને સેબીને 14 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. હવે આ કેસમાં આવતા મહિને સુનાવણી થશે.
સીંગતેલના ભાવમાં ભડકો લીલા શાકભાજી, મરી મસાલા અને કઠોળ બાદ હવે ખાદ્ય તેલના ભાવ પણ વધવા લાગ્યા છે. સીંગતેલના ભાવ એક સપ્તાહમાં 75 રૂપિયા વધી ગયા છે. અમદાવાદમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3,100 રૂપિયાને પાર થઈ ગયો છે. વૈશ્વિક બજારોમાં માંગ વધવાને પગલે ભારતમાં ભાવ વધી રહ્યાં છે. વેપારીઓનું કહેવું છે કે, ભારે વરસાદને કારણે મગફળીનાં પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી હોવાથી ભાવ વધવા લાગ્યા છે. મગફળી મોંઘી થવાથી સીંગતેલ પણ મોંઘું થવા લાગ્યું છે અને શક્યતા છે કે, આગામી દિવસમાં ભાવ હજુ વધશે.
શાકભાજીના ભાવમાં પણ ભડકો થોડાં દિવસ પહેલાં 1 કિલો ટામેટાની કિંમત 200 રૂપિયાને પાર થઈ ગઈ હતી અને હવે લીલા શાકભાજી પણ મોંઘા થઈ રહ્યાં છે. લગભગ તમામ શાકભાજીની કિંમત કિલોએ 60 રૂપિયાને વટાવી ગઈ છે. ડુંગળી, આદુ, ફુલાવર, બટાટા સહિતના શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. 1 કિલો ભીંડાની કિંમત 80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે જ્યારે ફુલાવરનો ભાવ કિલોએ 180 રૂપિયા બોલાઈ રહ્યો છે. એક કિલો આદુ 300 રૂપિયાનું થઈ ગયું છે. શાકભાજી મોંઘા થવાથી ખાદ્ય ફુગાવો વધવાની ધારણા છે.
RILનો શેર ઓલ-ટાઈમ હાઈ સપાટીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 11 જુલાઈએ 2,764 રુપિયાની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યો હતો. જિયો ફાયનાન્સિયલ સર્વિસિસના ડિમર્જરની જાહેરાત થઈ ત્યારથી રિલાયન્સના શેરમાં તેજી જામી છે. છેલ્લાં છ મહિનામાં તેનો ભાવ 12 ટકા વધ્યો છે. સોમવારે રિલાયન્સનો શેર સાડા ચાર ટકા વધ્યો હતો અને મંગળવારે પણ 1 ટકા વધીને બંધ રહ્યો હતો. ડિમર્જર યોજના અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક શેર સામે જિયો ફાયનાન્સિયલનો એક શેર મળશે. ડિમર્જરની રેકોર્ડ ડેટ 20 જુલાઈ નક્કી કરવામાં આવી છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, રિલાયન્સના કાઉન્ટરમાં તેજીનું મોમેન્ટમ જળવાઈ રહેશે.
ડિફેન્સ સ્ટોક્સમાં તેજીનો જુવાળ ડિફેન્સ સ્ટોક્સમાં જબરજસ્ત ઉછાળો નોંધાયો છે. ભારત ડાયનામિક્સ, કોચીન શિપયાર્ડ, મઝગાંવ ડોક, ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ જેવી કંપનીઓના શેર 11 જુલાઈએ 18 ટકા સુધી વધ્યા હતા. આ શેર્સમાં ઉછાળાનું કારણ છે, ભારતનો મોટો ઓર્ડર. ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર વિમાન અને 3 સબમરીન ખરીદવાની ભારતની યોજના છે. આ સોદો અંદાજે 90 હજાર કરોડનો છે. આ સમાચારને પગલે ડિફેન્સ કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી થઈ હતી અને શેર ઉંચકાયા હતા.
5 PSUનો હિસ્સો વેચવાની સરકારની યોજના સરકાર જાહેર ક્ષેત્રની પાંચ કંપનીમાંથી હિસ્સો વેચવા માંગે છે. આ વેચાણ માટે ઓફર ફોર સેલ એટલે કે OFSનો વિકલ્પ પસંદ કરવામાં આવશે. જે સરકારી કંપનીનો હિસ્સો વેચવાની યોજના છે તેમાં RVNL, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, નેશનલ ફર્ટિલાઈઝર્સ, RITES અને એક ખાણ કંપનીનો સમાવેશ થાય છે. સરકારે તાજેતરમાં કોલ ઈન્ડિયામાંથી 3 ટકા હિસ્સો પણ OFS દ્વારા વેચ્યો હતો. હિસ્સો વેચવાથી સરકારને તગડી આવક થવાની શક્યતા છે. તિજોરીમાં પૈસા આવશે તો સરકાર કલ્યાણકારી યોજનાઓ પાછળ અને ગરીબો માટે ખર્ચ વધારશે. સરકારે તેની કંપનીઓનો હિસ્સો વેચીને 51 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાની જાહેરાત બજેટમાં જાહેરાત કરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો