MONEY9: લગભગ ચારેક મહિના પહેલાંની વાત છે. ખેડૂતોએ ઉગાડેલાં ઘઉં દેશભરનાં માર્કેટયાર્ડમાં ઠલવાઈ રહ્યાં હતાં. સરકારને પણ વિક્રમ ઉત્પાદન થવાની આશા હતી અને આ આશાના જોરે જ વડાપ્રધાન મોદીએ WTO સમક્ષ માંગણી કરી કે, લઘુતમ ટેકાના ભાવે ખરીદેલા ભારતીય ઘઉંની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવે.
ચાર મહિનામાં બદલાયું ચિત્ર પરંતુ, ચાર મહિનામાં જ આખું ચિત્ર બદલાઈ ગયું છે. ઘઉંનું વિક્રમ ઉત્પાદન થવાની આશા ઠગારી નીવડી છે. અરે..! આ વર્ષે તો, ગયા વર્ષની તુલનાએ 31 લાખ ટન ઓછું ઉત્પાદન થયું છે… સરકારને પણ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાથી ઘઉંના ભાવ ઘટવાની આશા હતી, પરંતુ પરિસ્થિતિ એટલી ઝડપથી બદલાઈ ગઈ છે, કે ઘઉંના ભાવ અત્યારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે.
નિકાસ નહીં, આયાત કરવાનો વારો આવ્યો ઘઉંની માંગને પહોંચી વળવા માટે આયાત કરવાનો વારો આવ્યો છે. ખાદ્ય મંત્રાલયના અધિકારીઓના મોંઢેથી પણ શબ્દો સરી પડ્યા છે કે, જો ઘઉંના ભાવ નહીં ઘટે તો, ઘઉંની આયાત પર જે 40 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે, તેને દૂર કરવામાં આવશે. પરંતુ ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવવાથી સમસ્યાનો અંત આવવાનો નથી, કારણ કે, સૌથી મોટો સવાલ જ ઘઉંની આયાતનો છે, કારણ કે, વિદેશી ઘઉં મોંઘાં છે.
વૈશ્વિક માર્કેટમાં ઘઉંનાં ભાવ વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાના એક ટન ઘઉં લગભગ 385 ડૉલરમાં વેચાઈ રહ્યાં છે જ્યારે રશિયન ઘઉં માટે 327 ડૉલરની આસપાસ ભાવ ચાલી રહ્યો છે. રૂપિયામાં સમજીએ તો, ઓસ્ટ્રેલિયન ઘઉંનો ભાવ 30,600 રૂપિયા જ્યારે રશિયન ઘઉંનો ભાવ 26,000 રૂપિયા છે. આના ઉપર પરિવહન ખર્ચ ઉમેરીએ તો ભાવ ઘણો વધી જાય છે.
એક્સપર્ટનો અભિપ્રાય એગ્રી-ટેક કંપની ઑરિગો ઈ-મંડીના સીનિયર મેનેજર ઈન્દ્રજીત પૉલનું કહેવું છે કે, પરિવહન ખર્ચ ઉમેરીને ઓસ્ટ્રેલિયાના 1 ટન ઘઉં ચેન્નાઈના બંદરે ઉતારીએ તો, 425 ડૉલર એટલે કે, 33,800 રૂપિયાનો ખર્ચ થાય જ્યારે રશિયન ઘઉંને ભારતના દરિયાકાંઠા સુધી લાવવાનો ખર્ચ 29,400 રૂપિયા થાય છે. આ બંને ઘઉંના ભાવને આપણા ઘઉં સાથે સરખાવીએ તો, ભારતનાં ઘઉં સસ્તામાં પડે. ચેન્નાઈમાં મિલ-ક્વૉલિટી ઘઉંનો ભાવ 28,500 રૂપિયાની આસપાસ છે, જે વિદેશી ઘઉં કરતાં ઓછો છે. જો યુપીના ઘઉંને વર્તમાન ભાવે ચેન્નાઈ પહોંચાડીએ તો પણ 27,650 રૂપિયાથી વધુ ખર્ચ થતો નથી.
શું ઘઉંની મોંઘવારી નહીં ઘટે? આમ, એક વાત તો સ્પષ્ટ છે કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવ ઘટે તો જ ભારતમાં ઈમ્પોર્ટ ડ્યૂટી દૂર થવાનો ફાયદો થાય. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે જે ભાવ ચાલે છે તે ભાવે આયાત કરવાની શક્યતા લાગતી નથી. તો પછી, ભારતમાં ઘઉંના વધતાં ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે શું કરવું જોઈએ?
અન્ય વિકલ્પ સરકાર પાસે કેટલાક રસ્તા છે અને બજારમાં એ વાતે પણ જોર પકડ્યું છે કે, સરકાર ઘઉં પર સ્ટૉક-લિમિટ લાગુ કરી શકે છે. આવું થશે તો, બજારમાં ઘઉંનો સપ્લાય વધશે અને ભાવમાં થઈ રહેલા વધારા પર બ્રેક વાગી શકે છે. બીજી એક સંભાવના છે કે, સરકાર OMSS દ્વારા પોતાના સ્ટૉકમાંથી ઘઉંનો જથ્થો બજારમાં ઠાલવશે અને ભાવને અંકુશમાં લાવવાનો પ્રયાસ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો