મુકેશ અંબાણીના 5 વચન
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીએ રિલાયન્સના ભવિષ્યના પ્લાન વિશે વાત કરી છે. તેમણે કહ્યું ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આગામી 10 વર્ષ સુધી રિલાયન્સ પોતાના તમામ પ્રયાસો કરશે. ગુજરાતની કુલ ઊર્જા જુરિયાતોના 50 ટકા વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીથી પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકને મેળવવા માટે અમે મદદરુપ થઈશું. આ માટે અમે જામગનરમાં 5000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરુ કરી દીધું છે. જે ગુજરાતને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જીમાં લીડર બનાવશે. આ ઉપરાંત અંબાણીએ ગુજરાત વિશ્વનું ડેટા સેન્ટર બનાવવા, ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોના ઉચ્ચતમ ક્વોલિટી લાઈફ આપવા, ગુજરાતને ન્યુ મટિરિયલ્સ અને સર્ક્યુલર ઈકોનોમિક્સમાં ભારતનું પાયોનીયર રાજ્ય બનાવવા ગુજરાતમાં ભારતની પહેલી કાર્બન ફાઈબર ફેસિલિટી હજીરા ખાતે સ્થાપિત કરવાની વાત કરી. તેમણે કહ્યું કે 2036 ઓલિમ્પિક માટે રિલાયન્સ ફાઉન્ડેશન રાજ્યમાં રમતગમતના વિકાસ પર ફોકસ કરશે.
અદાણી ગુજરાત પર વરસ્યા
આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં રૂ. 2 લાખ કરોડનું રોકાણ કરશે અદાણી જૂથ. આ રોકાણ રાજ્યમાં ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રોમાં થશે. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં જણાવ્યું કે આ રોકાણથી રાજ્યમાં લગભગ 1 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થઈ શકે છે, તેમણે વધુમાં જણાવ્યું કે, કંપનીએ સમિટની છેલ્લી આવૃત્તિમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આમાંથી કંપનીએ રૂ. 50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. કંપની હાલમાં 30 GW ની ક્ષમતા સાથે કચ્છમાં ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહી છે જે 25 ચોરસ કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલ હશે.
આવી હશે ગુજરાતની બુલેટ ટ્રેન
વાઇબ્રન્ટ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું મોડલ રજૂ કરાયું છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનની ખાસયિતોની જો વાત કરીએ તો તેમાં કુલ 10 કોચ હશે જેમાં 690 પેસેન્જર્સને બેસવાની ક્ષમતા હશે. ટ્રાફિક વધશે તો કોચની સંખ્યા વધારીને 16 કરવામાં આવશે. આ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ કલાકના 320 કિ.મી.ની હશે. ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની 15 બેઠકો, બિઝનેસ ક્લાસની 55, સ્ટાન્ડર્ડ ક્લાસની 620 તેમજ કોચ દીઠ 77 થી 78 બેઠકો હશે. તમામ કોચમાં સીટ ઉપર સામાન મૂકવાની જગ્યા હશે. ટ્રેનમાં લેપટોપ અને મોબાઇલ ચાર્જિંગ માટેની સુવિધા હશે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા હશે અને આગામી સ્ટેશન વિશે માહિતી માટે પેસન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ હશે.
કોચિંગ ક્લાસ માટે નિયમો
કોચિંગ ક્લાસ હવે જાહેરાતો કે અન્ય માધ્યમથી 100 ટકા પ્લેસમેન્ટ આપવાનો દાવો નહીં કરી શકે. સાથે પ્રીલિમનરી કે મેઇન પરિક્ષામાં પાસ થવાની ગેરન્ટી પણ નહીં આપી શકે. આ અંગેની ગાઇડલાઇન્સ પર સરકાર કામ કરી રહી છે. ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે કોચિંગ ક્લાસ દ્વારા કરવામાં આવતા ભ્રામક દાવાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ગ્રાહકલક્ષી બાબતોના વિભાગના ડાયરેક્ટર રોહિત સિંહની આગેવાની હેઠળની એક સમિતિ કામ કરી રહી છે. વિભાગ દ્વારા ગયા વર્ષે 20 જેટલા આઇએસ કોચિંગ સેન્ટરો નોટિસ ફટકારવામાં આવી હતી.
જીએસટીનો આ પ્રશ્ન ઉકેલવાની માંગ
ટેક્નિકલ ગૂંચવણને કારણે ખરીનારા અને વેચનારા વેપારીને એક જ વસ્તુ પર બે વાર જીએસટી ચૂકવવાના મામલે વેપારીઓએ જલદી ઉકેલ લાવવાની માંગ કરી છે. માલ વેચનાર વેપારી માલ વેચાય અને તેના ભાગનો જીએસટી ભરે છે જ્યારે માલ ખરીદનાર વ્યક્તિ કે વેપારીનો જીએસટી નંબર સસ્પેન્ડ થયો હોય ત્યારે માલ વેચનારને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. વેપારી 3 રિટર્ન ફાઇલ ન કરે તો તેનો જીએસટી નંબર સસ્પેન્ડ થાય છે. જ્યારે ફરી નંબર મેળવવામાં છ મહિના જેટલો સમય લાગે છે. આવા સંજોગોમાં ફરી માલ વેચનારને ટેક્સ રિબેટ મળતું નથી અને એક જ વસ્તુ પર માલ ખરીદનાર પણ નંબર આવ્યા બાદ ટેક્સ ભરે છે અને વેચનાર પણ ભરે છે. વેપારીઓએ આ ડબલ ટેક્સમાંથી છુટકારો મેળવવા સરકારને વિનંતી કરી છે.
PNBએ એફડીના રેટ વધાર્યા
પંજાબ નેશનલ બેંકે એક મહિનામાં બીજી વાર એફડી પર વ્યાજ દરો વધાર્યા છે. આ વખતે બેંકે 80 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આવા સંજોગોમાં હવે એફડીમાં રોકાણ કરનારાને વધુ રિટર્ન મળશે. આ વધારો 2 કરોડથી ઓછી રકમની એફડી માટે છે. નવા દરો 8 જાન્યુઆરી 2024થી લાગૂ થઇ ગયા છે. અગાઉ પીએનબીએ 1 જાન્યુઆરીએ કેટલીક મુદતની થાપણો પર 45 બીપીએસ સુધીનો વધારો કર્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો