હવે એપથી ભૂદેવનું બુકિંગ
અમદાવાદ સહિત રાજ્યભરમાં પૂજા, લગ્ન, હવન સહિત તમામ પ્રકારના કર્મકાંડ કરવા માટે લોકોને ભૂદેવની જરૂર પડે છે. ઘણી વાર ભૂદેવ શોધવા છતાં લોકોને મળતા નથી. આ પરિસ્થિતિમાંથી છુટકારો મળી રહે તે માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા મોબાઇલ એપ્લિકેશન ધ મહારાજ લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં હાલ રાજ્યભરના તમામ કર્મકાંડી ભૂદેવોનું નામ, ફોન નંબર, વિસ્તાર સહિત અન્ય વિગત સાથે રજિસ્ટ્રેશન કરાશે. ત્યાર બાદ કોઈ પણ વ્યક્તિ એપની મદદથી ભૂદેવને શોધી તેમને કર્મકાંડ માટે ઘરે બોલાવી શકશે.
નવા GST નિયમ
વચગાળાના બજેટમાં જીએસટી સંબંધિત કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી એક જ પાન નંબરના આધારે જુદા જુદા રાજ્યમાં શાખા ધરાવનારા વેપારીએ આઇએસડી નંબર લેવો પડશે. અગાઉ આવા વ્યવહાર હોય ત્યારે ક્રોસ ચાર્જ થકી સપ્લાય ઓફ સર્વિસ દર્શાવવામાં આવતી હતી. જેમાં મુખ્યત્વે ફક્ત કોમન ક્રેડિટ સર્વિસને નિયમ મુજબ વહેંચવાની રહેશે જેમાં સોફ્ટવેર, એડવોકેટ ફી પર ભરેલો આરસીએમ, કોમન સર્વિસસ, એએમસી સર્વિસિસ, એચઆર સર્વિસિસ વગેરે આઇએસડી રજિસ્ટ્રેશન લઇ જીએસટી પોર્ટલના માધ્યમથી નિયમ મુજબ રિટર્ન ભરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રહેશે.
GST ચોરીમાં ગુજરાત ક્યાં?
નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવા અથવા મેળવવાની શંકા ધરાવતા જોખમી કરદાતાઓ શોધી કાઢવા માટે જીએસટી અધિકારીઓ બિઝનેસ ઇન્ટેલિજન્સ અને ફ્રોડ એનાલિટિક્સ જેવા ડેટા એનાલિટિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા હોવાની સોમવારે સંસદમાં માહિતી અપાઇ હતી. રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે એપ્રિલથી ડિસેમ્બર 2023 દરમિયાન કેન્દ્રીય અધિકારીઓએ જીએસટી ચોરી કર્યાના 14,597 કેસ નોંધ્યા હતા. તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 2716 અને બીજા ક્રમે ગુજરાતમાં 2589 કેસ નોંધાયા હતા.
Paytmના કર્મચારીઓને આશ્વાસન
Paytmમાં ચાલી રહેલી ગરબડને કારણે કર્મચારીઓના મનમાં નોકરી ગુમાવવાનો ડર છે. આ અંગે Paytmના ફાઉન્ડર અને CEO વિજય શેખર શર્માએ દરેક સાથે વાત કરી અને કહ્યું કે નોકરીને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે ભૂલ ક્યાં થઈ ગઇ. છેવટે કેમ અમારી પેટીએમ પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકે આટલી મોટી કાર્યવાહી કરી? જો કે, તેમણે કોન્ફરન્સ કોલ દરમિયાન કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેઓ બધા Paytm પરિવારનો ભાગ છે અને તેમની નોકરી વિશે ચિંતા કરવાની કંઈ નથી. કંપની તમારું ધ્યાન રાખશે. આ કોલમાં વિજય શેખર શર્મા ઉપરાંત Paytm પ્રેસિડેન્ટ અને COO ભાવેશ ગુપ્તા, Paytm પેમેન્ટ્સ બેંકના CEO સુરિન્દર ચાવલા સહિત લગભગ 900 કર્મચારીઓ સામેલ હતા.
જૂની કર વ્યવસ્થા નાબૂદ નહીં થાય
જૂની કર વ્યવસ્થા નાબૂદ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે સરકારની જૂની ટેક્સ વ્યવસ્થાને તબક્કાવાર રીતે દૂર કરવાની કોઈ યોજના નથી. જો કે, સરકાર ન્યૂ ટેક્સ રીજિમ કે જે કોર્પોરેટ ટેક્સ હોય કે પર્સનલ ઇનકમ ટેક્સ, બંને માટે ખૂબ જ સરળ છે તેને પ્રમોટ કરવાથી નહીં અચકાય. તેમણે કહ્યું, આ જ કારણ છે કે સરકારે નવી કર વ્યવસ્થાને ખૂબ જ આકર્ષક બનાવી છે. નવી ટેક્સ રીજિમને ડિફોલ્ટ સ્કીમ બનાવ્યા બાદ, લોકો એ નક્કી કરી શકશે કે જૂની કે નવી કર વ્યવસ્થામાં તેમના માટે કઇ સારી છે.
i20નું નવું વેરિયન્ટ લોન્ચ
Hyundai મોટર કંપનીએ તેની લોકપ્રિય હેચબેક i20નું નવું Sportz વેરિયન્ટ મોડલ લોન્ચ કર્યું છે. નવું ઓપ્શનલ વેરિઅન્ટ સ્પોર્ટ્સ ટ્રીમ પર આધારિત છે, જે સિંગલ અને ડ્યુઅલ ટોન કલર ઓપ્શન સાથે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે. નવા વેરિઅન્ટની કિંમત 8.73 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેની કિંમત સ્ટાન્ડર્ડ સ્પોર્ટ્ઝ ટ્રીમ કરતાં 35,000 રૂપિયા વધુ છે. તેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 7 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે ટોપ એન્ડ વેરિઅન્ટમાં 11 લાખ 21 હજાર રૂપિયા સુધી જાય છે. સેગમેન્ટમાં તેનો મુકાબલો ટાટા અલ્ટ્રોઝ, મારુતિ બલેનો અને ટોયોટા ગ્લાન્ઝા સાથે છે.
HDFC બેંકે કર્યું આ કામ
HDFC બેંકે તેના બન્ને બિઝનેસને મર્જ કર્યા બાદ વધુ એક મોટું પગલું ભર્યું છે. RBI એ HDFC ને IndusInd Bank માં 9.50 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. ઇન્ડસઇન્ડ બેંકે પણ સોમવારે શેરબજારને આ માહિતી આપી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આ એક્વિઝિશનથી ઈન્ડસઈન્ડના ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો