લોન મોંઘી નહીં થાય
ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ બે દિવસ સુધી ચાલેલી મોનેટરી પોલિસી કમિટિ એટલે કે MPC મીટિંગ બાદ શુક્રવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે. RBIએ વ્યાજ દરોને 6.5 ટકા પર જ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ છે કે લોન મોંઘી નહીં થાય અને તમારી EMI પણ વધશે નહીં. પોલિસીની જાહેરાત દરમિયાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી કાબૂમાં આવી ગઈ છે, પરંતુ હજુ સુધી કામ પૂરું નથી થયું. દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના સંકેતો બતાવી રહી છે, ઘણી કેન્દ્રીય બેંકોએ વ્યાજ દરો સ્થિર રાખ્યા છે, પરંતુ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત છે.
આમના માટે UPI લિમિટ વધી
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે… આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓના દરેક વ્યવહાર માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી રહી છે. જેનાથી શિક્ષણ અને હેલ્થકેર સેક્ટર માટે UPI ટ્રાન્ઝેક્શનને ફાયદો થશે. તો મોનેટરી પોલિસી મીટિંગમાં રિકરિંગ નેચરના પેમેન્ટ માટે ઇ-મેન્ડેટ બદલવાની ભલામણ કરવામાં આવી છે. આ ફેરફાર અંતર્ગત, રિકરિંગ ટ્રાન્ઝેક્શન્સની UPI લિમિટ 1 લાખ રૂપિયા પ્રતિ ટાન્ઝેક્શન્સ સુધી વધારવામાં આવી રહી છે… આવા UPI પેમેન્ટની મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની આરબીઆઇ ગર્વનરે કરી છે. મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન માટે રિકરિંગ યુપીઆઇ પેમેન્ટ, વીમા પોલિસી પ્રીમિયમ અને ક્રેડિટ કાર્ડના રિપેમન્ટ માટે UPIની લિમિટ વધારવામાં આવશે.
પાંચ કો.ઓ.બેંકને દંડ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમોના ઉલ્લંઘન બદલ પાંચ સહકારી બેંકો સામે કડક કાર્યવાહી કરી છે. તેમાંથી ઉત્તર પ્રદેશમાં એક બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. તેમજ ચાર બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈએ યુપીની સીતાપુર સ્થિત અર્બન કોઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. આરબીઆઈના જણાવ્યા મુજબ, બેંક પાસે ન તો કામગીરી માટે પૂરતી મૂડી બચી હતી, ન તો તેની કમાણી કરવાની કોઈ આશા હતી… આરબીઆઈએ ચાર સહકારી બેંકો પર દંડ પણ લગાવ્યો છે. જેમાં રાજર્ષિ શાહુ સહકારી બેંક, પ્રાથમિક શિક્ષક સહકારી બેંક, પાટણ સહકારી બેંક અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંકના નામનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણને એક-એક લાખ રૂપિયાનો દંડ અને એક સહકારી બેંકને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સરકારી બેંકના કર્મચારીઓ આનંદો
સરકારી બેંકના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને યુનિયનોની સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે વેતન સમજૂતી પર સહમતિ બની ગઇ છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન અને યુનિયનોએ 5 વર્ષ માટે પગારમાં 17 ટકાનો સુધારો કરવા સંમતિ દર્શાવી છે. આ પગાર વધારો 1 નવેમ્બર, 2022 થી પેન્ડિંગ હતો અને તેના માટે એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે… પગાર કરાર હેઠળ મળતા લાભોમાં 17 ટકા પગાર વધારો 1 નવેમ્બર, 2022 થી લાગુ થશે. આમાં, બેઝિક + ડીએ પર 3 ટકા લોડિંગનો લાભ મળશે. પેન્શન રિવિઝનની સાથે 5 દિવસ કામ કરવાનો નિયમ પણ લાગુ થશે. હવે આ કેસ નાણા મંત્રાલયની કોર્ટમાં છે.
ગૂગલે હટાવી 17 એપ્સ
ટેક જાયન્ટ ગૂગલે પ્લે સ્ટોર પરથી લોન આપતી 17 એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ યુઝર્સને છેતરતી હતી. આમાં સ્પાય માલવેર મળી આવ્યું છે. સાયબર સિક્યોરિટી ફર્મ ESETના એક રિસર્ચ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઘણી છેતરપિંડી કરનાર ઈન્સ્ટન્ટ લોન એપ્સ એન્ડ્રોઈડ યુઝર્સને ટાર્ગેટ કરી રહી છે. રિપોર્ટમાં 18 એપ્સની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી ગૂગલે 17 એપ્સને હટાવી દીધી છે, જ્યારે એક એપના ડેવલપર્સે ગૂગલના ધોરણો અનુસાર તેમની પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ કારણથી તેને પ્લે સ્ટોર પરથી નથી હટાવાઇ. આ એપનું સંચાલન મેક્સિકો, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન, કોલંબિયા, પેરુ, ફિલિપાઇન્સ, ઇજિપ્ત, કેન્યા, નાઇજીરિયા અને સિંગાપોર સહિત ભારતમાં થાય છે.
ઇથેનોલ માટે શેરડીનો રસ નહીં વપરાય
સરકારે ગુરુવારે તમામ સુગર મિલો અને ડિસ્ટિલરીઓને ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ ન કરવા નિર્દેશ આપ્યો છે જેથી સ્થાનિક વપરાશ માટે ખાંડનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરી શકાય અને ભાવ નિયંત્રણમાં રહે. જોકે, ખાદ્ય મંત્રાલયે તમામ સુગર મિલો અને ડિસ્ટિલરીઝના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે બી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સપ્લાય કરવાનું ચાલુ રહેશે.
કોકાકોલા સાણંદમાં પ્લાન્ટ નાંખશે
ગુજરાત રોકાણકારો માટે ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. કોકાકોલા 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને સાણંદ નજીક એક બેવરેજ પ્લાન્ટ સ્થાપી રહી છે. સીધા વિદેશી મૂડી રોકાણના ભાગરૂપે કોકાકોલાની સબસીડરી ઇન્ટરનેશનલ રીફ્રેશમેન્ટ ઇન્ડીયા પ્રા.લી. મારફત આ મુડી રોકાણ ધ કોકાકોલા કંપની દ્વારા કરવામાં આવશે. રાજય સરકારના સુત્રોના જણાવ્યા મુજબ આ માટે સાણંદ પાસે 1.6 લાખ સ્કવેર મીટર જમીન કોકાકોલા કંપની માટે એલોટ કરવામાં આવી છે અને આગામી એક વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે. આ પ્લાન્ટમાં કંપની તેના પીણાના મુળ બેવરેજ બેઝ ઉપરાંત કોન્સન્ટ્રેટ તૈયાર કરશે. આ પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટેડ હશે અને તેમાં રોબોટીક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે ઉત્પાદન પ્રક્રિયાનું ડિવાઇસ આધારીત મોનિટરીંગ અને કંટ્રોલ સાથે સ્ટોરેજ તેમજ અન્ય સિસ્ટમ પણ ઓટોમેટીક હશે. એકવાર પ્લાન્ટ કાર્યરત થઇ ગયા બાદ લગભગ 1000 જેટલા લોકોનો નોકરી મળશે જ્યારે પ્લાન્ટ શરૂ થયા બાદ તેમાં કુલ 400 લોકોને નોકરી મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો