Money9 Gujarati:
સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રૂપ દ્વારા શેરની કિંમતમાં ચેડાં કરવાના આરોપોની તપાસ પૂરી કરવા માટે સેબીને 14 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. 17 મે, બુધવારના રોજ અદાણી-હિન્ડનબર્ગ કેસની સુનાવણીમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના વડપણ હેઠળની ખંડપીઠે માર્કેટ રેગ્યુલેટર સેબીને ઈન્વેસ્ટિગેશનનો અપડેટેડ સ્ટેટ રિપોર્ટ ફાઈલ કરવાની સૂચના આપી છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ તપાસ પૂરી કરવા માટે છ મહિનાનું એક્સટેન્શન માંગ્યું હતું. જોકે, કોર્ટે જણાવ્યું હતું કે, તપાસ પૂરી કરવા માટે વધુ સમય ના આપી શકાય, પહેલેથી જ પાંચ મહિના મળી ગયા છે. સેબીની દલીલ હતી કે, અદાણી ગ્રૂપ સામે થયેલા આરોપોની તપાસ કરવા માટે વધુ સમયની જરૂર છે, કારણ કે, ગ્રૂપની લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓનું માળખું જટિલ છે. અન્ય દેશોના નિયમનકારો સાથે મળીને તપાસ કરવાની હોવાથી વધારે સમય લાગે છે.
કોર્ટે જસ્ટિસ એ. એમ. સપ્રે કમિટીનો રિપોર્ટ આ કેસમાં સામેલ પાર્ટીઝને ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ આપ્યો છે, જેથી તેઓ આ કેસમાં મદદરૂપ થઈ શકે. અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ સામે સ્ટોક મેન્યુપુલેશનના આરોપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે 2 માર્ચે છ-સભ્યોની કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો અને આ કમિટીએ કોર્ટમાં તેનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. હવે સેબીના રિપોર્ટની પ્રતીક્ષા છે. સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી 11 જુલાઈ પર મુલતવી રાખી છે.
અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 17 મે, બુધવારના રોજ બપોરના ટ્રેડિંગમાં 0.18 ટકા માઈનસમાં રૂ.1,886ના સ્તરે મૂવ થઈ રહ્યો છે. 24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટાં ગાબડાં પડ્યાં હતા અને શેરની કિંમત 80 ટકા સુધી ઘટી ગઈ હતી. જોકે, બાદમાં માર્ચ મહિનામાં અમેરિકન ઈન્વેસ્ટર GQG પાર્ટનર્સ દ્વારા અદાણીની કેટલીક કંપનીમાં ડિસ્કાઉન્ટ ભાવે હિસ્સો ખરીદવામાં આવ્યા બાદ, તેના શેર થોડા રિકવર થયા છે. જોકે, જાન્યુઆરીના ભાવની તુલનાએ હજુ પણ અદાણી ગ્રૂપના શેર 50 ટકા નીચે ચાલી રહ્યાં છે.
અદાણી ગ્રૂપ રોકાણકારોનો ભરોસો પાછો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. 13-મે શનિવારના રોજ, અમદાવાદ હેડક્વાર્ટર ખાતે મળેલી બેઠકમાં અદાણી ગ્રૂપની 3 કંપનીઓના બોર્ડે હિસ્સો વેચીને 2.5 અબજ ડૉલર જેટલું ફંડ મેળવવાની દરખાસ્તને મંજૂરી પણ આપી હતી. હવે, રોકાણકારોની નજર અદાણી ગ્રૂપની આ હિલચાલ પર છે, કારણ કે, મોટા ગજાનાં રોકાણકારો અદાણી ગ્રૂપના શેર ડિસ્કાઉન્ટ ભાવે ખરીદશે, તો અદાણી ગ્રૂપ તેમને કેટલું ડિસ્કાઉન્ટ આપે છે, તે જોવાનું મહત્ત્વનું છે.
પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, તાજેતરનાં વર્ષોમાં અદાણી ગ્રૂપ સામે ઘણી બધી ફરિયાદો થઈ છે, છતાં સેબી દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં છેલ્લાં 1 વર્ષમાં અકલ્પનીય વધારો થયો હતો, અને ત્યારે જ ચેતી જવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મોરેશિયસની સરકારે હિન્ડનબર્ગના આરોપોનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે, તેમના દેશમાં અદાણી ગ્રૂપની કોઈ શેલ કંપની નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો