MONEY9: જો લોટ, બ્રેડ અને બિસ્કિટના ભાવ ફરી વધવા લાગે અને સરકાર કોઈ પગલાં ના ભરે તો, તમે ગુસ્સે ના થતા, કારણ કે, આ ભાવવધારો અટકાવવા માટે સરકાર પાસે હવે બહુ આછા વિકલ્પ બચ્યા છે. અત્યારે તો, હોલસેલ માર્કેટમાં ઘઉંના ભાવ વધવાનું શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશના ઘણા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 10 ટકાથી પણ વધુ ઉપર ગયા છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના યાર્ડમાં પણ જુલાઈમાં ઘઉંના ભાવ વધ્યા છે.
સરકાર પાસે છે મર્યાદિત ઘઉં અગાઉ તો, હોલસેલ માર્કેટમાં ભાવ વધે તો તેને અંકુશમાં લેવા માટે સરકાર પોતાના સ્ટૉકમાંથી ઓપન માર્કેટમાં ઘઉં વેચતી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તો સરકાર પાસે જ બહુ ઓછો જથ્થો છે કારણ કે, ઘઉંની સરકારી ખરીદી 57 ટકા ઓછી થઈ છે.
શું કહે છે નિયમ નિયમ અનુસાર તો, પહેલી જુલાઈ સુધીમાં સરકાર પાસે ઑપરેશન અને સ્ટ્રેટેજિક જરૂરિયાતને પહોંચી વળવા માટે 275.80 લાખ ટન ઘઉંનો જથ્થો હોવો જરૂરી છે અને આ વખતે સરકાર પાસે 285.10 લાખ ટન ઘઉંનો જથ્થો પડ્યો હોવાના આંકડા પ્રાપ્ત થયા છે. એટલે કે, નિયમ કરતાં માત્ર 10 લાખ ટન વધારે ઘઉં છે. આ જથ્થો છેલ્લાં 14 વર્ષનો સૌથી ઓછો સ્ટૉક છે. 2021ની પહેલી જુલાઈ સુધીમાં સરકારી વખારોમાં 600 લાખ ટનથી પણ વધારે ઘઉં ભરેલાં હતા.
નિકાસ પર પ્રતિબંધ ભારતીય માર્કેટમાં ઘઉંનો સપ્લાય વધે તે હેતુસર સરકારે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ નાખ્યો હતો. પરંતુ 13 મે પહેલાં જે જથ્થાની નિકાસ માટે ડીલ થઈ હતી, તેની નિકાસ કરવાની છૂટ આપવામાં આવી છે અને આવા નિકાસલાયક ઘઉંનો જથ્થો 16 લાખ ટનનો છે.
ઘઉં માર્કેટની પરિસ્થિતિ ચાલુ વર્ષના એપ્રિલ અને મે મહિનામાં ભારતમાંથી 26 લાખ ટનથી પણ વધારે ઘઉંની નિકાસ થઈ હતી, જે ગયા વર્ષની સરખામણીએ 4 ગણી વધુ નિકાસ છે. નિકાસમાં થયેલી આ વૃદ્ધિને કારણે ભારતનાં સ્થાનિક માર્કેટમાં સપ્લાય મર્યાદિત થઈ ગયો છે. એક બાજુ વૈશ્વિક માર્કેટમાં પણ ઘઉંનું ઓછું ઉત્પાદન થવાનો અંદાજ છે અને આવા સમયે જ ભારતમાં ઘઉંના ઓછા સપ્લાયે ચિંતા વધારી છે. ઓછામાં પૂરું ઉત્પાદન કરતાં માંગ વધારે રહેવાની શક્યતા પણ છે.
વૈશ્વિક માર્કેટની સ્થિતિ અમેરિકાના કૃષિ વિભાગે અંદાજ બાંધ્યો છે કે, ચાલુ વર્ષે સમગ્ર દુનિયામાં 77.16 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થશે, જે ગયા વર્ષ કરતાં 74 લાખ ટન ઓછું છે. આ વર્ષે આખી દુનિયા 78.42 કરોડ ટન ઘઉં સફાચટ કરી જશે તેવો અંદાજ છે, એટલે કે, વૈશ્વિક સ્તરે પણ ઉત્પાદન કરતાં માંગ વધારે રહેવાની શક્યતા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વૈશ્વિક માર્કેટમાં રશિયા અને યુક્રેન ઘઉંનો મોટા પ્રમાણમાં સપ્લાય કરે છે અને બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી આ સપ્લાય ખોરવાયો છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રસંઘની દરમિયાનગીરી બાદ બંને દેશે નિકાસ માટે સમજૂતી કરાર કર્યા છે. બંને બાખડતા હતા એટલે બ્લેક સી રૂટ દ્વારા નિકાસ થતી નહોતી પરંતુ હવે, બંને દેશ બ્લેક સી રૂટ દ્વારા ઘઉંની નિકાસ કરવા માટે રાજી થઈ ગયા છે. આ સોદો થવાથી વૈશ્વિક માર્કેટમાં ઘઉંના ભાવ ઘટવાનું શરૂ થઈ ગયું છે.
ભારતીયોને ક્યારે મળશે લાભ જુલાઈના પ્રારંભે વૈશ્વિક માર્કેટમાં એક ટન ઘઉંનો ભાવ 335 ડૉલર હતો, જે સોદા બાદ ઘટીને 325 ડૉલર સુધી પહોંચ્યો હતો. વૈશ્વિક માર્કેટમાં ઘઉંના ભાવમાં થયેલા આ ઘટાડાનો લાભ ભારતીયોને ત્યારે જ મળશે જ્યારે આપણે વિદેશમાંથી ઘઉંની આયાત કરીશું. પરંતુ અત્યારે 40 ટકા આયાત જકાતને જોતાં તો, આવી શક્યતા દેખાતી નથી. એટલે કે, સ્થાનિક માર્કેટમાં ઘઉંનો સપ્લાય કેવો રહે છે તેના આધારે જ કિંમત નક્કી થશે અને ભારતીય માર્કેટમાં અત્યારે ઘઉંનો સપ્લાય વધવાની કોઈ શક્યતા દેખાતી નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો