MONEY9: અદાણી ગ્રૂપના શેર્સમાં રોકાણ કરનારા છેલ્લાં બે વર્ષમાં ધૂમ કમાયા છે. પરંતુ, જો તમારી પાસે પણ અદાણી ગ્રૂપના શેર હોય તો હવે, સાવધાન થઈ જવાનો સમય આવી ગયો છે. સાવધાન થવાના ત્રણ કારણ છે, એક છે અદાણીનું વધતું દેવું, બીજું છે, વૈશ્વિક બ્રોકરેજ હાઉસિસે વેલ્યુએશનને લઈને વ્યક્ત કરેલી ચિંતા અને ત્રીજું કારણ છે, બિઝનેસને મેનેજ કરવાની અદાણીની રીતભાત.
તાજેતરનો રિપોર્ટ તાજેતરમાં જ અમેરિકાના ફિચ ગ્રૂપની માર્કેટ રિસર્ચ કંપની ક્રેડિટ સાઈટે અદાણી ગ્રૂપના કેપિટલ મેનેજમેન્ટ પ્લાન સામે ગંભીર સવાલો કર્યા હતા અને એક રિપોર્ટ જાહેર કરીને અદાણીના વધતા ઋણ સામે ચિંતા વ્યક્ત કરી હતી. ક્રેડિટસાઈટે 23 ઓગસ્ટે જાહેર કરેલા રિપોર્ટને પગલે તે દિવસે અદાણી ગ્રૂપના તમામ શેર્સ 3 ટકાથી 7 ટકા તૂટ્યા હતા.
બે વર્ષમાં વળતર છેલ્લાં બે વર્ષમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સે 42 ટકા વળતર આપ્યું છે, જેની સામે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર્સમાં 1 હજાર 300 ટકાથી પણ વધુ રિટર્ન છૂટ્યું છે. અદાણી ટોટલ ગેસના શેરમાં 2020ના પ્રારંભિક મહિનાથી અત્યાર સુધીમાં 1 હજાર 900 ટકા જ્યારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 900 ટકા રિટર્ન છૂટ્યું છે. એટલે કે, 2020ના શરૂઆતના મહિનામાં જો તમે અદાણી ગ્રૂપના કોઈ પણ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો, આજે તમારા રોકાણ પર 9 લાખ રૂપિયાથી લઈને 19 લાખ રૂપિયાનું વળતર મળ્યું હોત.
ચર્ચાતો સવાલ તો શું, આગામી સમયમાં પણ અદાણી ગ્રૂપના શેરમાં આવું રિટર્ન છૂટશે? શું અદાણીના શેર્સમાં રોકાણ હવે સલામત છે? આ સવાલોના જવાબ ક્રેડિટસાઈટના તાજા રિપોર્ટ દ્વારા મળી શકે એમ છે. રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રૂપે જુદા-જુદા બિઝનેસમાં ખૂબ આક્રમકતા દાખવીને રોકાણ કર્યું છે અને જરૂર કરતાં વધારે પડતો ફાયદો ઉઠાવ્યો છે, જે જોખમી સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, વધતું દેવું પણ અદાણી ગ્રૂપ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ભવિષ્યમાં અદાણી ગ્રૂપે ડિફોલ્ટ થવાનો વારો પણ આવી શકે છે.
એક્સપર્ટનો અભિપ્રાય આ અંગે શેર ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ અને રિસર્ચ હેડ રવિ સિંહનું કહેવું છે કે, અદાણી ગ્રૂપના શેર્સ પર ક્રેડિટસાઈટના રિપોર્ટની નેગેટિવ અસર પડી શકે છે. આ અસર હાલ પૂરતી જોવા મળશે, પરંતુ લાંબા ગાળે તેની ખાસ અસર નહીં રહે. અદાણી ગ્રૂપની કંપનીઓએ તાજેતરમાં સારા ત્રિમાસિક પરિણામ જાહેર કર્યાં છે. અદાણી પાવરનો શેર આગામી સમયમાં ઘટે તેવી શક્યતા લાગે છે. રવિ સિંહે અદાણી ટ્રાન્સમિશન માટે ડિસેમ્બર સુધીમાં 4 હજાર રૂપિયાનો, અદાણી એન્ટરપ્રાઈઝિસ માટે 3 હજાર 300 રૂપિયાનો, અદાણી વિલમર માટે 750 રૂપિયાનો અને અદાણી ગ્રીન માટે 2 હજાર 500 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો