Jioને 42 લાખ, Airtelને માત્ર 7.5 લાખ નવા ગ્રાહક મળ્યાં
ભારતનાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સ્થિતિ મજબૂત થઈ રહી છે. વોડાફોન આઈડિયા અને BSNLના વાયરલેસ ગ્રાહકો ઘટી રહ્યાં છે, જેનો સીધો ફાયદો જિયો અને એરટેલને મળી રહ્યો છે.
ભારતનાં મોબાઈલ માર્કેટમાં રિલાયન્સ જિયોનો દબદબો છે. જાન્યુઆરી 2024માં મુકેશ અંબાણીની કંપની જિયોએ 42 લાખ નવા વાયરલેસ ગ્રાહકો ઉમેર્યાં હતા. હવે જિયોના કુલ ગ્રાહકોની સંખ્યા 46.4 કરોડ થઈ ગઈ છે. આમાં Jio 5G યુઝર્સની સંખ્યા 10 કરોડથી પણ વધારે છે. વોડાફોન આઈડિયાના ગ્રાહકોમાં સતત ઘટાડો થવાથી જિયો અને એરટેલને ફાયદો થઈ રહ્યો છે અને ભારતનાં ટેલિકોમ માર્કેટમાં આ બંને કંપની વધુ મજબૂત બની રહી છે.
એરટેલ અને વોડાફોન આઈડિયાની સ્થિતિ
હરીફ કંપની ભારતી એરટેલે જાન્યુઆરીમાં માત્ર 7.5 લાખ નવા ગ્રાહક ઉમેર્યા હતા અને હવે તેના કુલ ગ્રાહકની સંખ્યા 38.25 કરોડ થઈ છે. ભારતી એરટેલના 5G ગ્રાહકનો આંકડો 7.5 કરોડ છે. ત્રીજા નંબરે વોડાફોન આઈડિયા છે. 15 લાખ ગ્રાહકોએ જાન્યુઆરી મહિનામાં કંપનીના પ્લાન બંધ કર્યા હતા, જેના લીધે હવે તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 22.15 કરોડે પહોંચી છે. સરકારી કંપની BSNLના ગ્રાહકોમાં પણ 11.8 લાખનો ઘટાડો થયો હતો અને હવે તેના ગ્રાહકો ઘટીને 9.06 કરોડ થઈ ગયા છે.
Reliance Jioની સતત આગેકૂચ
રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. કંપનીમાં દર મહિને મોટી સંખ્યામાં નવા વાયરલેસ ગ્રાહકો જોડાઈ રહ્યા છે. નોંધનીય છે કે રિલાયન્સ જિયો સાથે જોડાનારા નવા વાયરલેસ ગ્રાહકોની આ સંખ્યા અત્યાર સુધીની સૌથી મોટી છે. અગાઉ, કંપનીએ જુલાઈ 2023 માં 39 લાખ વાયરલેસ ગ્રાહકો ઉમેર્યા હતા. જોકે, આ દરમિયાન વોડાફોન આઈડિયા સતત નુકસાનનો સામનો કરી રહી છે. આ મહિને કંપનીએ 15 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે જ્યારે જુલાઈ 2023ના ડેટા અનુસાર, કંપનીએ 13 લાખથી વધુ વપરાશકર્તાઓ ગુમાવ્યા છે.
Published - April 2, 2024, 06:16 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો